શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Modified: બુધવાર, 15 જુલાઈ 2015 (14:48 IST)

રથયાત્રામાં મોસાળે જમણની ચાલી રહી છે તડામાર તૈયારીઓ

સરસપુરની પોળોમાં મોટા રસોડા ઉપરાંત અનેક નાના રસોડા પણ ચાલે છે જ્યાં લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંપરાગતરીતે આતિથ્ય પુરુ પાડતી આ પોળમાં અત્યારે માહોલ જોતા બને તેવો છો. એકબાજુ મામેરીની તૈયારીઓ લગબગ પુરી કરવામાં આવી છે જ્યારે બીજીબાજુ  5 લાખ લોકોના જમણવાર માટે પણ કામગીરી મોટેપાયે ચાલી રહી છે. રસોડા અત્યારથી જ  ધમધમવા લાગ્યા છે. મહાપ્રસાદ માટે લાડુ બનવા શરૂ થઈ ગયા છે.  આ વિસ્તારના લોકો દ્વારા રથયાત્રામાં સામેલ થયેલા ભક્તો ઉપરાંત ભજન મંડળીઓ, અખાડા વાળા, ટ્રકોમાં બેસનાર, સાધુસંતો સહિત તમામ લોકોને સ્વાદિષ્ટ ભોજન મળી રહે તે માટે તમામ પોળમાં વ્યવસ્થા કરે છે.

4 હજારથી વધુ યુવકો સેવા આપશે

સરસપુર પોટલિયા, બાપુનગર રખિયાલ વોર્ડ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ થયેલા 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓને ભાવથી પિરસવા માટે  4 હજારથી વધુ યુવકો સેવા આપી રહ્યા છે. તેઓ રસોડાને લગતી તમામ સેવાઓ સંભાળશે.

સૌથી જૂનું રૂડીમાનું રસોડું 115 વર્ષથી ધમધમે છે

સરસપુર વિસ્તારમાં આવેલું સમલપુર રૂડીમાનું રસોડું સૌથી જૂનું રસોડું છે. જ્યાં છેલ્લા 115 વર્ષથી સતત લોકો દ્વારા દર વર્ષે રથાયાત્રાના ભક્તો માટે રસોડું તૈયાર કરવામાં આવે છે. આ રસોડામાં આ વર્ષે 10 હજારથી વધુ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


સરસપુર ભગવાનનું મોસાળુ કેવી રીતે બન્યું ?
 
137 વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રા ખુબ જ નાના પાયે શરૂ થઈ હતી. નરસિંહદાસજી મહારાજે પહેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કર્યા હતા, તે રથયાત્રામાં સાધુસંતો ભાગ લેતા હતા. સરસપુરમાં આવેલ રણછોડજી મંદિરમાં તમામ સાધુસંતોનું રસોડુ રાખવામાં આવ્યું હતું, ત્યારથી સરસપુર ભગવાન જગન્નાથજીનું મોસાળ ગણાય છે. હવે રણછોડજી મંદિરમાં દર વર્ષે ભગવાનનું મોસાળુ કરાય છે અને આજની તારીખે 20 વર્ષ સુધીના મોસાળાનું બુકિંગ થઈ ગયું છે. અને અત્યારે સરસપુરની તમામ પોળોના રહિશોએ રથયાત્રામાં ભાગ લેનારા તમામ ભાવિક ભક્તોને પ્રેમથી સદાવ્રતથી જમાડે છે. લાખ્ખોની સંખ્યામાં આવેલા રથયાત્રીકોને પ્રેમથી પ્રસાદી આપીને પછી જ વિદાય કરાય છે. અહીંયા ભગવાનના મોસાળા જેવુ અદભૂત વાતાવરણ જોવા મળે છે.

ડોક્ટરોની ટીમ-એમ્બુલન્સ હાજર રહેશે

સરસપુર ખાતે રથયાત્રા પહોંચે ત્યારે ત્યાં કોઈ પણ આકસ્મિક સ્થિતિમાં કોઈને ઈજા કે અન્ય દુર્ઘટનાને પહોંચી વળવા માટે ડોક્ટરોની વિશેષ ટીમ તૈયાર રાખવામાં આવશે. જ્યારે શારદાબહેન હોસ્પિટલમાં પણ વિશેષ વ્યવસ્થાની સાથે ડોક્ટરોની ટીમ એલર્ટ રાખવામાં આવશે. આ ઉપરાંત ઘાયલને લઈ જવા માટે 108ની એમ્બુલંસ પણ તૈયાર રાખવામાં આવી છે.