બુધવાર, 17 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. બજેટ 2008
Written By વેબ દુનિયા|

રેલવે બજેટમાં આજે લાલુનું ભાષણ શરૂ..

રીઝર્વેશનમાં બે વર્ષમાં લાબી લાઇનો હવે નહી હોય - લાલુ યાદવ

W.DW.D

નવી દિલ્હી(વેબદુનિયા) રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવે આજે રેલવે બજેટ માટેનું ભાષણ શરુ કર્યુ છે અને તેમણે ભારતના સૌથી વિશાળ જાહેર એકમની સફળતા માટે પોતાની જ અનોખી રણનીતિ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. લાલુએ જણાવ્યું હતું કે અમે મુસાફરી અને નુર દરોમાં વધારો કર્યા વિના અબજો રૂપિયાનો નફો કર્યો છે. દરેક વ્યક્તિ અમારી પ્રશંસા કરી રહી છે. સામાન્ય માનવી આ સિધ્ધિઓથી સંતુષ્ટ છે જ્યારે અમારા વિરોધીઓ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યાં છે.

તેમણે જણાવ્યું હતું કે જે રીતે આજે મોબાઈલ સેવાનો કરોડો લોકો લાભ લઈ રહ્યાં છે તે જ રીતે આજે ગરીબો પણ યુપીએ સરકારના કાર્યકાળમાં રેલવેનો લાભ લેતા થયા છે. અમે દરો વધારવા પર નહીં પણ મહેસુલ વધારવા પર ધ્યાન આપ્યું છે.

એનડીએ સરકારની આકરી ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે ભુતપૂર્વ સરકારના કાર્યકાળમાં ભારતીય રેલવે પર સંકટના વાદળો ઘેરાયા હતાં. આજે રેલવે એ સૌથી સફળ જાહેર એકમ છે. તેમણે આ સફળતાનો શ્રેય ભારતીય રેલવેના 14 લાખ રેલવે કર્મચારીઓને પણ આપ્યો હતો.

લાલુને સપનાઓના સોદાગર કહેવામાં આવે છે ત્યારે તે અંગે તેમણે જણાવ્યું હતું કે લોકો એમ કહે છે કે લાલુ સપનાઓ બતાવે છે પરંતુ અમે તે સપનાઓ સાકાર કરી બતાવ્યાં છે. અમે પીક સીઝન અને રીન સીઝન માટે અલગઅલગ નુર દરો નક્કી કરીને નુર ભાડા દ્વારા રૂ. 2000 કરોડની મહેસુલ ઉભી કરી હતી.

ખાસ કરીને તેમણે ખાનગી ક્ષેત્રની ભાગીદારીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે શીપીંગ કંપનીઓને હરીફ માનવાની જગ્યાએ તેમને કન્ટેનર ચલાવવાની મંજુરી આપીને તેમને ભાગીદાર બનાવ્યાં હતાં.

ટીકીટ માટે કલાકો સુઘી ઉભા રહેતાં મુસાફરોની સમસ્યાનો અંત લાવતાં લાલુએ જણાવ્યું હતું કે બે વર્ષમાં ટીકીટ માટેની લાંબી કતારો નહીં હોય. ગલી મહોલ્લાઓમાં પણ રેલવે ટીકીટ મળશે. ઈ-ટીકીટનો એક લાખ લોકો ઉપયોગ ગયા વર્ષે કર્યો હતો પરંતુ આ વર્ષે ત્રણ લાખ લોકો ઈટીકિટનો ઉપયોગ કરશે. ઈટીકીટથી વેઈટિંગ ટીકિટ પણ મળશે.

ટ્રેનોમાં ગંદકીની સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસસર લાલુએ જણાવ્યું હતું કે ચાલુ ગાડીએ પણ ટ્રેનોમાં સફાઈ કામગીરી કરવામાં આવશે. 2010 સુધીમાં રાજધાનીમાં એલએસડી કોચ હશે.

રેલવે મંત્રી લાલુ પ્રસાદ દ્વારા રજૂ કરવામાં આવેલા રેલ બજેટના મુખ્ય અંશો -
- 10 નવા ગરીબ રથો ચાલશે..
- લખનૌઉ થી નવી દિલ્હી નવી ટ્રેન
- સૂરત-મુજરફ્ફરપુર સાપ્તાહિકમાં એક વખત..
-36 રેલવે સ્ટેશનો ખાતે મલ્ટી લેવલ પાર્કિંગ
-50 મોટા સ્ટેશન ખાતે લીફ્ટની સુવિધા
-રાજધાની અને શતાબ્દીમાં ચાલુ ગાડીએ સફાઈ
-ખાસ ગ્રીન ટોયલેટ વ્યવસ્થા
-રૂ. 25,000 કરોડનો નફો
-ભવિષ્યમાં સ્ટેનલેસ સ્ટીલના જ વેગનનું ઉત્પાદન કરવામાં આવશે
-વેગનના ઉત્પાદન માટે વિદેશી કંપનીઓ સાથે વાતચીત
-2008-09માં સીમેન્ટ ટેરીફનો લક્ષ્યાંક 200 મીલીયન ટન
-વેગનોની સંખ્યા 40થી વધારીને 58 કરવામાં આવશે