શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : મંગળવાર, 18 ઑક્ટોબર 2016 (13:43 IST)

દિવાળીની ઉજવણી કરવાની હોંશ - જાણો કેવી રીતે ઘર સજાવશો

દરેકને પર્વોત્સવ દિવાળીની પોતપોતાની રીતે ઉજવણી કરવાની હોંશ હોય છે. એક તરફ શ્રીમંતો દિવાળી ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે. તો બીજી બાજુ મધ્યમ વર્ગનાં લોકો પોતાના બજેટ પ્રમાણે દિવાળીની ઉજવણી કરે છે. ઉલ્લાસ અને આનંદના પર્વને યાદગાર બનાવવા બધાંને પોતપાતાના ઘરની પોતીકી રીતે સજાવટ કરવાની હોંશ હોય છે. ફટાકડાં, જાતજાતની અને ભાતભાતની વાનગી બનાવવાની તૈયારીમાં ગૃહિણીઓ લાગી જાય છે. ઘણાંને એકાદ બે વર્ષે આખા ઘરનું નવેસરથી પેઈન્ટિંગ કરાવવાનો શોખ હોય છે. તેઓ નવરાત્રિનું સમાપન થયા પછી આખા ઘરનું પેઈન્ટિંગ કરાવતા હોય છે. એમ કરાવવા પાછળ કદાચ આખા ઘરની સાફસફાઈ થવા ઉપરાંત ઘર ચકાચક લાગે તેવી તેમની નેમ હોઈ શકે. દર બે-ચાર વર્ષે નવેસરથી પેઈન્ટિંગ કરાવવાનું મધ્યમવર્ગના લોકોને પરવડતું નથી હોતું. પણ તેઓ મનગમતા વૉલપેપરથી સજાવટ કરી જ શકે.


વૉલ પેપર્સની સજાવટ: આ વર્ષે દિવાળીની સજાવટમાં વૉલપેપર્સની ધૂમ મચી છે. લોકો પોત પોતાની રાશિ પ્રમાણે ઘર સજાવટમાં વૉલપેપરનો ઉપયોગ કરે છે. વૉલપેપરની સજાવટ સુંદર અને ઍલિગન્ટ લાગે છે.

જુદા જુદા વૉલપેપર્સમાં બાર ઝોડિયાક સાઈન્સવાળાં પેપરની સજાવટની બોલબાલા જણાય છે. વૉલ પેપરમાં દેવી દેવતાનાં મનોરમ્ય ચિત્રો જેમ કે રિદ્ધિસિદ્ધિનાં દેવ ગણેશજી, લક્ષ્મીજી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોબાઈલના સુશોભન માટે મોબાઈલ વૉલપેપર, સ્ટિકર્સ, કુદરતનું મહાત્મ્ય સમજાવતાં વૉલપેપર્સ,પ્લેનેટ્સ વૉલપેપરથી બાળકોનાં રૂમની અનેરી સજાવટ કરી શકો. લિવિંગ રૂમમાં દેવી દેવતાના ચિત્રોવાળાં વૉલ પેપર માર્કેટમાં મળે છે. વૉલપેપરના ઉપયોગથી ઘરની સજાવટ નિખરી ઊઠે છે. પર્વોત્સવે આવનાર મહેમાન પણ સજાવટ નિહાળીને દંગ થઈ જશે. ઘરની બહાર ટાંગેલી નેમપ્લેટની આસપાસ ઊનનાં ફૂમતાં લગાવીને સુશોભન કરો. કુદરતી દૃશ્યોનાં દિલ ખુશ ચિત્રો ફ્રેમમાં મઢાવીને દિવાલની સજાવટ કરી શકાય.
આગળ દિવાળીમાં કોડિયાની સજાવટ 


ઘર સજાવટ તમારા બજેટને અનુરૂપ પણ કરી જ શકો. એમાં જરૂર હોય છે અસરકારક અને કિફાયતી બની રહે તેવા આઈડિયાની અજમાયેશની.


દિવાળીમાં માટીનાં કોડિયાં બજારમાંથી લાવીને તેના પર મનગમતા રંગની ડિઝાઈન દોરીને ઉપર થોડી જરી ચિટકાડી શકો. દિવા પર ચમકતી સ્ટીક ચિટકાડી શકો. એથી દિવાને નવુું લૂક મળશે. રંગબેરંગી કાગળના દીવા બનાવી તેનું તોરણ દ્વાર પર લટકાવી શકો. બારણાંની બહાર હારબંધ ગોઠવેલા દીવાની આસપાસ ચારોટી અને અન્ય રંગોના મિશ્રણની મનગમતા આકારની રંગોળીની સજાવટ કરી શકો. ફ્લેટની બાલ્કનીમાં કાગળના નાનાં નાનાં ફાનસ બનાવીને હારબંધ લટકાવી શકો. હવે તો મીણના દીવા પણ મળે છે.

પેપર બબલ્સનો ઉપયોગ કરીને બલ્બ ચેન બનાવી શકો. રંગબેરંગી કાગળ ચોરસ આકારમાં કાપો. તેને સ્ટાર, ત્રિકોણ, હોડી જેવો આકાર આપો. ગોળાકારમાં કાપીને પછી બલ્બની આજુબાજુ દોરાથી વીંટાળો. લિવિંગ રૂમમાં ભૂરો, બેડરૂમમાં ગુલાબી, બાલ્કનીમાં લાલ અને ઘરના દ્વારની બહાર નવરંગના ઝિણા બલ્બનું તોરણ લગાવી ઝગમગાવી શકો.

રૂમમાં કાર્પેટ હોય તો દીવાલના રંગ સાથે કોન્ટ્રાસ રંગ ચાહો તો પસંદ કરી શકો. બલ્બ ચેન બાલ્કનીમાં લગાવશો તો આખી બાલ્કની ઝળાંહળાં થઈ જશે.
ચોકલેટ બોક્સ કેવી રીતે તૈયાર કરશો 



આજકાલ શુભેચ્છા કાર્ડનો ઉપયોગ જો કે ઓછો થઈ ગયો છે. તેમ છતાં સ્વજનો માટે હાથે બનાવેલાં કાર્ડ તૈયાર કરવાનો શોખ હોય તો ગ્લિટર પેપર પર દિવાળીની શુભેચ્છા આપતાં સંદેશ લખી દિવાનું ચિત્ર ચિટકાડી શકો. ઉપર સહેજ જરી ચિપકાવો. કાર્ડની ઉપર સાટીનની રિબન લગાવી શકો. ફ્લાવર વાઝમાં પૂજા પહેલાં રંગબેરંગી ફૂલોની સજાવટ કરો. એની આસપાસ મનપસંદ આકારની રંગોળી કરો. ફૂલોની સુવાસથી ઘર મહેંકી ઊઠવાની સાથે મન તરબતર થઈ જશે.


ચૉકલેટ બોક્સ: પાતળા પૂઠાંને મનગમતા આકારમાં કાપી ઉપર લાલ, લીલો, સોનેરી, ચંદેરી વગેરે રંગનાં કાગળ ચિપકાવીને સુશોભિત કરો. બોક્સના આકાર પ્રમાણે ચૉકલેટ્સ રાખીને પેક કરો. રિબનથી સજાવો.
આગળ દિવાળીની થાળીની સજાવટ 



પૂજા આરતીની થાળીની સજાવટ: પૂજા ઘરમાં ઘણાં પર્વોત્સવે ચાંદીના દીવાનો ઉપયોગ કરે છે. એ પાછળનો હેતુ એવો છે કે લક્ષ્મી પૂજનની રાતે લક્ષ્મીજી ઘરમાં પધારે ત્યારે ચાંદીના દિવાનો પ્રકાશ હોય તો તેઓ ભક્તો પર કૃપા વરસાવે છે. ઘણાં ચાંદીની થાળીમાં પૂજન-અર્ચનની સામગ્રી રાખે છે. પૂજન કર્યા પછી ચાંદીની થાળીમાં આરતી મૂકી એની આસપાસ તાજાં ફૂલોની રંગોળી કરીને અબીલ, ગુલાલ, અષ્ટગંધથી તેનું સુશોભન કરે છે. રાતે ઝગમગતી આરતીમાં પ્રજ્વલિત દીવાનો પ્રકાશ આખા ઘરમાં રેલાતાં શાંતિની અનુભૂતિ થાય છે.