ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : શનિવાર, 16 ડિસેમ્બર 2017 (10:56 IST)

જો ગુજરાતમાં ફરીથી બીજેપીની સરકાર બની તો આંદોલનકારી ત્રિપુટીનું શું થશે?

ગુજરાતમાં ભાજપની સરકાર સામે પડેલા ત્રણ આંદોલનકારી નેતાઓના જોરે આ વખતની ચૂંટણીનું પરિણામ કંઈ ઓર આવશે એવી ચર્ચાઓ ચારેકોર જામી હતી પણ એક્ઝિટ પોલમાં ભાજપની જીત હોવાથી ત્રણેય આંદોલનકારીઓની પરિસ્થિતિ શું હશે હવે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગુજરાતમાં જો ફરી એકવાર ભાજપની સરકાર આવશે તો હાર્દિક પટેલનું ભાવિ ડામાડોળ થઇ શકે છે. રાજ્યમાં એક્ઝિટ પોલ જેવા પરિણામ આવ્યા તો હાર્દિક પટેલ જ નહીં, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણીના સપનાં પણ રોળાઇ શકે છે.  ગુજરાતમાં 18મી ડિસેમ્બરે પરિણામ જો કોંગ્રેસની ફેવરમાં આવ્યું અને રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનતી હશે તો આ ત્રણેય યુવાનો કોંગ્રેસમાં સુપર પાવર બની શકે છે.  પરંતુ જો ભાજપની સરકાર બની તો હાર્દિકની જેલયાત્રા ફરી શરૂ થવાના ચાન્સિસ જોવા મળે છે. ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભાજપની સરકાર શાસન કરે છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની કસોટી થવાની છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શાખ દાવ પર લાગેલી છે. આ ચૂંટણીની બીજી ઇફેક્ટ એ થશે કે- જો કોંગ્રેસની સરકાર આવશે તો મોદી માટે 2019ની વૈતરણી કઠીન બની શકે છે પરંતુ જો ભાજપની સરકાર બનશે તો 2019માં ફરી પાંચ વર્ષ મોદી પાવર આવી શકે છે. બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષપદે જેમની વરણી થઇ છે તે રાહુલ ગાંધી ગુજરાતની ચૂંટણીમાં પાકટ રાજકારણી તરીકે ઉભરી રહ્યાં છે પરંતુ નસીબ તેમને યારી આપતું નથી. ગુજરાતમાં જો કોંગ્રેસ ચૂંટણી જીતી જશે તો રાહુલ ગાંધી નેશનલ લેવલે તેમની ઇમેજને વધારે મજબૂત બનાવી શકશે અન્યથા તેમની ઉગતી કારકિર્દીમાં ગુજરાત આડખિલી બન્યું છે તેમ માની શકાય છે.