શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 26 ડિસેમ્બર 2017 (11:45 IST)

હાર્દિક પટેલનીઅગ્નિ પરિક્ષા , 30મી એ પાસની મીટિંગમાં હલ્લાબોલ થાય તેવી સંભાવના

તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામનું એનાલિસિસ કરવા માટે હાર્દિક સહિતના આગેવાનો 30 ડિસેમ્બરે બોટાદમાં એકઠા થશે. આ ઉપરાંત, ચૂંટણીઓમાં ઈવીએમના ઉપયોગ સામે વિરોધ કરવાની રણનીતિ પણ આ ચિંતન શિબિરમાં ઘડવામાં આવશે. આ ચિંતન શિબિર તોફાની બની રહે તેવી શક્યતા છે, કારણકે પાસના અનેક આગેવાનો ચૂંટણીના પરિણામોને લઈને હાર્દિકથી નારાજ છે.

બોટાદના પાસ કન્વિનર દિલિપ સાબવાએ જણાવ્યું હતું કે, હાર્દિક સહિતના તમામ પાસના આગેવાનોને આ શિબિર માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, લગભગ 2500 જેટલા આગેવાનોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આટલા પ્રયાસો બાદ પણ ભાજપની આ ચૂંટણીમાં જીત કઈ રીતે થઈ તે અંગે મનોમંથન કરવામાં આવશે. અમારો મુખ્ય એજન્ડા ઈવીએમનો વિરોધ કરવાની નીતિ ઘડવાનો રહેશે.  તેમણે એમ પણ કહ્યું હતું કે, ઈવીએમ સાથે કઈ રીતે ચેડા કરવા શક્ય છે તે જાણવા માટે તેઓ સ્વીડનથી એક્સપર્ટને બોલાવી શકે છે. સાબવાએ કહ્યું હતું કે, કોંગ્રેસ જનાક્રોશને મતમાં તબદિલ કરવામાં કેમ નિષ્ફળ ગઈ તે અંગે પણ મનોમંથન કરવામાં આવશે. આ ઉપરાંત, પાટીદારોના રોષનો ભાજપ કે કોંગ્રેસ રાજકીય ફાયદો ન ઉઠાવી જાય તે પણ ચોક્કસ કરવામાં આવશે.અમે ભાજપનો સાથ છોડી ચૂક્યા છીએ, પરંતુ જો કોંગ્રેસ પણ અમારો રાજકીય ઉપયોગ જ કરશે તો અમે આમ આદમી પાર્ટી કે પછી એનસીપી જેવા ત્રીજા વિકલ્પને પણ અપનાવી શકીએ છીએ તેમ પણ તેમણે કહ્યું હતું. પાસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સંગઠનમાં અનેક લોકો કોંગ્રેસ દ્વારા કરાયેલી ટિકિટ ફાળવણીથી નારાજ છે. આ ઉપરાંત, કોંગ્રેસને ખૂલીને ટેકો આપવાના હાર્દિકના નિર્ણય સામે પણ આગેવાનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.