ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By વેબ દુનિયા|

ગુજરાતના મનોરમ્ય દરિયાકિનારા

P.R

દરિયા કિનારા પર બેસીને સુર્યોદય તથા સુર્યાસ્તનુ મનોરમ્ય દ્રશ્ય નિહાળવુ એક લાહવો હોય છે. સપ્તાહના બિઝી શિડ્યુલમાંથી થોડો સમય કાઢીને દરિયાની ઉછળતી લહેરોને જોવી આંખોને ઠંડક અને મનને શાંત બનાવે છે.

દરિયા કિનારાના મનમોહક દ્રશ્યો જોવા માટે ગુજરાતીઓને ગોવા, મુંબઈ કે પછી કોઈ પોર્ટબ્લેર જવાની અને મસમોટો ખર્ચ કરવાની જરૂર નથી. ગુજરાતમાં સુંદર અને સૌથી મોટો દરિયા કિનારાવાળો વિસ્તાર છે. તે લગભગ 1600 કિલોમીટરના વિસ્તાર સુધી ફેલાયેલો છે. રાજ્યમાં બેટ દ્વારકા, ચોરવાડ, કચ્છ, ખંભાત, દીવ-દમણ વગેરે જગ્યાએ ખુબ જ સુંદર દરિયાકિનારા છે.

ખંભાતનો અખાત ભાવનગરના તળજા ગામથી માત્ર 10 કિલોમીટર દૂર છે. ત્યાં ગોપનાથ કરીને એક નાનકડુ ગામ આવેલ છે, અહીંયા પ્રખ્યાત ગોપનાથ મહાદેવનું મંદિર ભાવિક-ભક્તોને આકર્ષીત કરે છે. ઉપરાંત અહીં ખુબ જ મનોરમ્ય દરિયા કિનારો છે. અહીં યુરોપીયન પદ્ધતીથી બનાવેલી હવેલીઓ અને કુટીરોની નજીક દરિયા કિનારો અખાતના સૌદર્યમાં ઉમેરો કરે છે. પક્ષીઓને નિહાળવા માટેનું આ સુંદર સ્થળ છે.

અહીં પહોચવા માટે નજીકનું હવાઈમથક ભાવનગર છે. મુંબઈથી અમદાવાદ થઈને વાયા વિરમગામ 788 કિ.મી. ના અંતરે આવેલ છે. જમીન માર્ગ પણ સારો હોવાથી ખાનગી વાહન દ્વારા અને રાજ્ય પરિવહનની બસો હોવાથી ત્યાં પહોચવું અત્યંત સરળ છે.
P.R

બેટ દ્વારકા

દ્વારકાની પાસે અને નૌકા દ્વારા દરિયાની અંદર થઈને 30 કિલોમીટરની મુસાફરી બાદ પહોચતાં આ સ્થળ ખુબ જ સુંદર છે. અહીં ભગવાન રણછોડરાયનું મંદિર આવેલ છે. આ સ્થળ જામનગરથી 150 કિલોમીટર દૂર છે. બેટ દ્વારકાનો દરિયો પણ ખુબ જ સુંદર હોવાથી તે પણ પ્રાવાસીઓને આકર્ષે છે.

અહીં પહોચવા માટે જામનગરથી મુંબઈએ જોડતાં જુદા જુદા હવાઈમથકો છે. રેલ્વે માર્ગ પણ સીધો અમદાવાદને મળે છે. જમીન માર્ગ સારો હોવાથી ખાનગી વાહન અને રાજ્ય નિગમની બસો દ્વારા પણ જઈ શકો છો.

દીવ

અહમદનગરની પાસે આવેલ દીવનો ટાપુ ખુબ જ સુંદર અને પ્રવાસીઓને આકર્ષિત કરનાર છે. આ દરિયાકિનારો દેશની અંદર આવેલા ખુબ જ સુંદર દરિયા કિનારાઓમાંનો એક છે. આ ટાપુ પર પોર્ટુગીઝ દેવળો પણ છે. આ દ્વીપ ખુબ જ શાંત અને રળિયામણો છે. દીવના દરિયાકિનારાની લંબાઈ લગભગ 21 કિ.મી. જેટલી છે. અહીં આવીને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઈ જાય છે. અહીંયા ટાપુ પર સૂર્યપ્રકાશ, રેતી અને ભૂરા પાણીઓ ખુબ જ સુંદર સંગમ છે. અહીંયા બારેમાસ વાતાવરણ ખુશનુમા રહે છે.

અહીંયા પહોચવા માટે નજીકનું હવાઈમથક જુનાગઢ છે. રેલ્વે માર્ગ રાજકોટ, વેરાવળ અને અમદાવાદને જોડે છે. જમીન માર્ગ દ્વારા ખાનગી વાહન અને રાજ્ય પરિવહનની બસો સરળતાથી ઉપલબ્ધ છે.