શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By વેબ દુનિયા|

ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ગિરનાર

P.R

ગુજરાતનો સૌથી ઉંચામાં ઉંચો પર્વત ગિરનાર છે જે જુનાગઢ જીલ્લાની અંદર આવેલ છે. ત્યાં પર્વતોની હારમાળા આવેલ છે. આ હારમાળાની અંદર ગિરનાર સૌથી ઉંચો છે જેની ઉંચાઈ આશરે 3660 ફુટ જેટલી છે. ગિરનાર ચડવા માટે 9,999 પગથિયા બનાવેલ છે અને ગિરનારના મુખ્ય પાંચ પર્વતો છે જેમની પર લગભગ 866 જેટલા મંદિર આવેલ છે.

વળી આ હિંદુ અને જૈન બંને માટે પવિત્ર છે કેમકે બંને ધર્મના મંદિરો આ પર્વત પર આવેલ છે. અહીં ભગવાન નેમિનાથનું મંદિર ખુબ જ પ્રખ્યાત છે જેનું બાંધકામ 1958 પહેલાં થયું હતું. આ મંદિરની અંદર ભગવાન નેમિનાથની કાળા આરસની પ્રતિમા છે જેમની આંખો રત્નથી જડવામાં આવી છે. ત્યાંથી થોડાક ઉપર ચડતાં અંબાજી માતાનું ખુબ જ સુંદર મંદિર આવેલ છે. ત્યાંથી આગળ મલ્લિનાથ મંદિર આવેલ છે જે વસ્તુપાળ અને તેજપાળ દ્વારા બંધાવવામાં આવ્યું છે. સૌથી ટોચ પર દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. અહીંયા ભગવાન પાર્શ્વનાથનું મંદિર પણ છે.

દર વર્ષે લાખો લોકો ગિરનાર પર્વતની પરિક્રમા કરે છે. ગિરનાર પર ચડવા માટે સવારનો સમય સૌથી અનુકૂળ રહે છે અને આખો ગિરનાર ચડીને આવતાં લગભગ 5 થી 7 કલાક લાગે છે. આ સિવાય ગિરનારની અંદર ભતૃહરિની ગુફા, સોરઠ મહેલ, સૂર્ય કુંડ, ભીમ કુંડ વગેરે જોવા લાયક સ્થળો છે. અહીંયા એક ગૌમુખી કુંડ પણ આવેલ છે જેની અંદર ઝરણાંમાંથી પાણી આવે છે.

અહીં પહોચવા માટે સૌથી નજીકનું હવાઈ મથક જૂનાગઢ છે 35 કિ.મી. ના અંતરે આવેલ છે. રેલ્વે માર્ગ દ્વારા પણ અહીં જઈ શકાય છે જે ગિરનાર એક્સપ્રેસ મુંબઈને જોડે છે. સડક માર્ગ દ્વારા જવા માટે અહીં ખાનગી અને રાજ્ય સરકારની બસો પણ ઉપલબ્ધ છે.