શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By વેબ દુનિયા|

ગુજરાતનું નવું પ્રવાસન સ્થળ - ગાયકવાડી શાસનની પોલીસ ચોકીઓ !!

P.R
કદાચ ભારતમાં પ્રથમવાર, પોલીસ સ્ટેશનને ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવાની યોજના

- ગાયકવાડી શાસનની પથ્થર અને લાકડાની આઠ ચોકીઓ અને જુના સયાજીગંજ તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનનું રિસ્ટોરેશન કરાશે

ગાયકવાડી શાસનમાં બળદ - ઊંટથી વહન કરાતી વ્હીલ વાળી ચોકીઓ હતી

- વણઝારા અને અન્ય બહારની વસતિની સુરક્ષા અને તેના પર નજર રાખવા મુવીંગ પોલીસ ચોકીઓ રખાતી હતી

રજવાડી શાસનની કલા અને સ્થાપત્યની નગરી ગણાતા વડોદરામાં ગાયકવાડી શાસનના સ્થાપત્યને જાળવવાના પ્રયાસના ભાગ રૃપે વડોદરા શહેર પોલીસે ૧૦૦ વર્ષથી વધુ સમયની આઠેક પોલીસ ચોકીઓ અને રાવપુરા તેમજ સયાજીગંજના બે પોલીસ સ્ટેશનને ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

વડોદરામાં ગાયકવાડી શાસન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ અસરકારક હતી. પોલીસને પણ ખૂબ જ સત્તા અપાઈ હતી અને તેને કારણે ગુનેગારો ઉપર ભારે ધાક હતી.
ગાયકવાડી સમયની ગવાહી આપતી લાકડા અને પથ્થરની બેનમૂન પોલીસ ચોકીઓ અને પોલીસ સ્ટેશન આજે પણ મૌજૂદ છે.

કલા અને સ્થાપત્યની નગરી ગણાતા વડોદરામાં પોલીસ ચોકીઓ પણ આગવી સુઝબુઝથી બનાવવામાં આવતી હતી અને તે જ કારણસર આવી ચોકીઓનું સમારકામ કરીને તેને ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવાનું શહેર પોલીસ કમિશનર સતિષ શર્માએ નક્કી કર્યુ છે.

આ માટે જાહેર સાહસો અને અન્ય દાતાઓની મદદ પણ લેવામાં આવનાર છે.
ગાયકવાડી શાસન સમયની ૧૦૦ વર્ષ જુની હોય તેવી આઠ પોલીસચોકીઓમાં સયાજી હોસ્પિટલના ગેટ સામેનું મહિલા પોલીસ સ્ટેશન, પાણીગેટ શાકમાર્કેટ સામેની ગંજખાના ચોકી, લહેરીપુરા, દરવાજા પાસેની લહેરીપુરા ચોકી, મદનઝાંપા રોડ પરની પથ્થર ગેટ ચોકી, માર્કેટ પાસેની ચોકી, દાંડીયા બજાર ચાર રસ્તા નજીકની બાબાજીપુરા ચોકી, રાવપુરા મેઇન રોડ પર ટાવર પાસેની શીયાપુરા ચોકી અને પ્રતાપનગર બ્રીજ નીચેની પ્રતાપનગર પોલીસ ચોકીનો સમાવેશ થાય છે.

જ્યારે, રાવપુરા, મેઇન રોડ પરના ખાદી ગ્રામોદ્યોગ ભંડાર પાસેના રાવપુરા પોલીસ સ્ટેશન અને સયાજીગંજ ટાવરની નીચેવાળા જૂના સયાજીગંજ પોલીસ સ્ટેશન (હાલના ટ્રાફિક પોલીસ સ્ટેશન) નો સમાવેશ થાય છે.ગાયકવાડી શાસનમાં મુવીંગ પોલીસ ચોકીઓ પણ એક આગવી વિશેષતા હતા.

ગાયકવાડી પરિવારના જિતેન્દ્રસિંગ ગાયકવાડે આ અંગે જણાવ્યું હતું કે, સયાજીરાવ મહારાજા આગવી સુઝબુઝથી કાર્ય કરતા હતા. વડોદરામાં વણઝારા અને બહારની વસતિ પણ આવતી હતી અને તેમને સુરક્ષા મળે તેમજ તેમના પર નજર પણ રહે તે હેતુસર વ્હીલ વાળી મુવીંગ પોલીસ ચોકીઓ પણ બનાવવામાં આવતી હતી. આવી પોલીસ ચોકીઓ ઉંટ કે બળદથી લાવવા- લઇ જવામાં આવતી હતી.

ગાયકવાડી સમયમાં પથ્થર અને લાકડાની પોલીસ ચોકીઓ પાછળના જુદા-જુદા કારણ મનાય છે. લાકડાની ચોકીઓનું કારણ મુખ્યત્વે તેમાં ઝડપભેર ફેરફાર કરી શકાય તે માટેનું હતુ. જયારે પથ્થરની ચોકીઓમાં મોગલાઇ સ્થાપત્યની છાંટ દેખાય છે. આ ઉપરાંત પથ્થરની કોટડીઓ મજબુત હોવાને કારણે ગુનેગારોને તેમાં પુરી રાખવા માટે પણ ઉપયોગ થતો હતો.