શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 18 ઑગસ્ટ 2018 (14:02 IST)

અમદાવાદ આવાગમન કરતી 18થી વધુ ફ્લાઇટ મોડી પડી, મુસાફરોને હાલાકી

અમદાવાદમાં ભારે વરસાદને પગલે ફ્લાઇટના શેડયૂલ ઉપર પણ અસર પડી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવાગમન કરતી ૧૮થી વધારે ફ્લાઇટ  ૫ કલાક સુધી મોડી પડતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. ૧૫ મિનિટથી વધુની ફ્લાઇટ ગણવામાં આવે તો કુલ ૪૮ ફ્લાઇટના શેડયૂલ ખોરવાયા હતા. ફ્લાઇટ સૌથી વધારે મોડી પડી તેમાં અમદાવાદ-દોહાની કતાર એરવેઝનો સમાવેશ થાય છે.

દોહા-અમદાવાદની કતાર એરવેઝની ફ્લાઇટ પણ ૪ કલાક મોડી પડી હતી. આ ઉપરાંત  ખાસ કરીને સવારના ૧૦ થી ૧૧ સુધી ફ્લાઇટના શેડયૂલ ઉપર સૌથી વધુ અસર પડી હતી. અમદાવાદ એરપોર્ટના ડિરેક્ટર મનોજ ગંગલે જણાવ્યું હતું કે, 'ભારે વરસાદને લીધે  મુસાફરોને કોઇ અગવડનો સામનો કરવો પડે નહીં માટે  એરપોર્ટ આવતા અગાઉ શેડયૂલ ચકાસી લેવાની સલાહ આપવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ-હૈદરાબાદની ગો-એરની ફ્લાઇટ રદ કરાઇ હતી.