શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 9 માર્ચ 2015 (17:27 IST)

બજેટને સારું ગણવું કે ખરાબ?

વર્તમાન બજેટ પહેલીવાર રાજકારણને બદલે અર્થકારણને મહત્ત્વ આપતું બજેટ છે. વિશાળ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ બજેટમાં અનેક રીતે નવી ભાત ઉપસાવવા પ્રયત્ન થયો છે. ભલે જાહેરાત બજેટ પૂર્વે થઇ ગઇ, પરંતુ રાજ્યોને કેન્દ્રના કરવેરામાંથી હવે ૩૨ને બદલે ૪૨ ટકા રકમની ફાળવણી થનાર છે.

આથી દર વર્ષે ગુજરાતને રૂા. ૪ હજાર કરોડ અને મહારાષ્ટ્રને રૂા. ૯ હજાર કરોડ જેટલી વધારાની રકમ મળશે. જો વિશ્ર્લેષણ કરવામાં આવે તો આ રકમ નાની નથી. આટલી રકમથી અનેક હોસ્પિટલ, શાળા, શિક્ષણસંસ્થા અને ખેતીવાડીને પાણી મળી શકે તેવું છે. રકમનો ઉપયોગ પ્રજાલક્ષી કાર્ય માટે થાય તે જોવાની ફરજ હવે રાજ્યોની છે.

બિહાર-ઓરિસ્સા અને પશ્ર્ચિમ બંગાળને કેટલીક વિશેષ રકમ આરોગ્ય ક્ષેત્રે ફાળવવામાં આવી છે. પટણાને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ- એટલે કે એ આઇઆઈએમએસ કે જે ઉચ્ચ કક્ષાની ગુણવતા ધરાવતી સ્પેશ્યલાઇઝ્ડ મેડિકલ સર્વિસ પૂરી પાડશે. તેની ફાળવણી કોઇ માગણી વગર જ કરવામાં આવી છે.

રાજકારણ વગરનું અર્થકારણ-આવું પહેલીવાર બની રહ્યું છે તેની નોંધ લેવી રહી. તેની તુલનામાં અગાઉ જે કંઇ થયું છે તેનું પોસ્ટમોર્ટમ કરવાની પણ જરૂર છે. કચ્છ-સૌરાષ્ટ્ર સૌથી લાંબો સાગરકાંઠો ધરાવે છે. આથી જહાજ બનાવવાનું શીપયાર્ડ ત્યાં હોવું જોઇએ છતાં ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન ૧૯૭૪માં તે શીપયાર્ડ કોચીનને કેરળમાં ફાળવી દેવાયું હતું.

કારણ કે કેરળમાં ચૂંટણી જીતવી હતી. આવી ગણતરી હવે બંધ થઇ રહી છે. કોર્પોરેટ ટેક્સ ઘટાડવામાં આવતા મોટી કંપનીઓના નફામાં દેખીતી રીતે જ વધારો થવાનો છે. કારણ કે તેટલી રકમ કર તરીકે ઓછી જવાની છે. આ રકમનો ઉપયોગ કંપનીઓ ગ્રામ્ય વિસ્તારમાં સામાજિક જવાબદારીના ભાગરૂપે વાપરે તે જરૂરી છે.

મુંબઈ શેરબજારમાં નોંધાયેલી અને માતબર નફો કરતી કંપનીઓ જો ગ્રામ્ય વિસ્તારમાં માળખાકીય સુવિધા ઊભી કરવા વ્યવસ્થિત કાર્ય કરે તો આ પ્રમાણેના કાર્ય ટોચની અગ્રતા ધરાવે છે.

(૧) જળસંચયના કાર્ય દ્વારા નદી, તળાવ, વાવ, કૂવા, જળાશય ઊંડાં કરવા જેથી પાણીનો ઉપયોગ ખેતીમાં વધે.

(૨) વનીકરણ દ્વારા નદીના કાંઠે તેમ જ ગોચરમાં ઘાસ ઉગાડવું- વૃક્ષો રોપવા અને આયુર્વેદમૂલ્ય ધરાવતાં વૃક્ષ- વનસ્પતિને પ્રોત્સાહન.

(૩) ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જેથી રોગચાળો પ્રસરે નહીં અને પ્રજાની આરોગ્ય ક્ષમતામાં વધારો થાય.

(૪) શાળા- શિક્ષણ સંસ્થામાં પાકા મકાન- ઓરડા- શિક્ષણની સુવિધા વધે તે માટે રોકાણ કરવું.

(૫) પશુઓના આરોગ્ય પાછળ ખર્ચ કરવો કારણ કે ખેતીવાડીનો આધાર બળદ ગાય, ઘેટા બકરા છે. તેમનું આરોગ્ય, સારસંભાળ સમાજ માટે આવશ્યક બાબત છે તેઓ પણ અર્થતંત્રનો મહત્ત્વનો હિસ્સો છે.

(૬) ગોપાલનમાં મહિલાઓને આર્થિક સહાય કરવાથી પ્રત્યેક મહિલા નાના ગામમાં દર મહિને દૂધ દ્વારા રૂા. ૩ થી ૪ હજારની આવક વધારી શકે છે. ગ્રામ્ય મહિલા સશક્તિકરણ માટે આથી શ્રેષ્ઠ બીજો કોઇ પ્રોજેક્ટ નથી.

(૭) બાળકો અને મહિલાઓની સુખાકારી- આરોગ્ય અને કલ્યાણ માટેની કામગીરીમાં ફંડ આપવું. બાળકો માટે રમકડા બૅન્કને પ્રોત્સાહન આપવું. ફંડની ફાળવણી કંપનીઓ કરી શકે છે.

આવી રીતે જો થોડા પ્રોજેક્ટ સફળતાપૂર્વક અમલી બને તો દેશભરનાં લાખો ગામડામાં કંઇક ચમક જોવા મળે.

કોર્પોરેટ ક્ષેત્રની સામાજિક જવાબદારી હવેથી કાયદા પ્રમાણે ફરજિયાત બની છે. તેવે વખતે દરેક કંપની સભાનતાપૂર્વક જાગ્રત રહીને કામ ઉપાડે તો પરિણામ અવશ્ય મળે. કોર્પોરેટ ક્ષેત્રને કાચો માલ ગ્રામ્ય વિસ્તારમાંથી મળે છે. તેઓ પ્રક્રિયા કરીને તેમાંથી નફો રળે છે. આથી તેમની જવાબદારી છે કે નફામાંથી રકમ ફાળવીને ગ્રામ્યવિસ્તારમાં સંપત્તિ સર્જન કરે.

પ્રત્યેક સાંસદને બે આદર્શગ્રામ તરીકે વિકસાવવા તેને દત્તક લેવાની યોજના પણ છે. ઘણા સાંસદોએ તેનો અમલ પણ શરૂ કર્યો છે. ચૂંટાયેલા સાંસદોએ એ વાત ધ્યાનમાં લેવી રહી કે તેમની પ્રત્યેક કામગીરીનું પ્રજા દ્વારા સામાજિક ઓડિટ થઇ રહ્યું છે. તેમના પ્રત્યેક નિર્ણય અને હિલચાલ પર પ્રજાની નજર છે. તેઓ પ્રજાલક્ષી બને તે જરૂરી છે.

બજેટમાં બીજી ઘણી બાબતો છે જે લાંબા ગાળે આકાર લેશે. કાળાં નાણાંને વ્યવહારમાં મૂકવા અને લાવવા એક યોજના આવી રહી છે. જેનાથી અર્થતંત્રના ચક્કર ફરવા લાગશે. ઉત્પાદન અને રોજગારી એ બંને એકબીજા સાથે સંકળાયેલી બાબત છે.

હાલમાં દરેક રાજ્ય પાસે રોજગાર વધારવા પૂરતી રકમ છે. હવે તેનો ઉપયોગ કઇ રીતે કરવો તે તેમણે વિચારવાની જરૂર છે. બજેટ એટલે માત્ર આંકડા અને હકીકતને બદલે સાચા અર્થમાં વ્યક્તિ- સમાજનો ઉત્કર્ષ કરે, પ્રગતિ થાય તેવી ભૂમિકા હોવી જોઇએ. બજેટમાં માત્ર આવકવેરામાં છૂટછાટ હોય તો જ બજેટ સારું એ માનસિકતાથી બહાર આવવાની જરૂર છે.