ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 5 ઑગસ્ટ 2014 (12:40 IST)

ભારતની પ્રથમ બાળ બૈંકે એકત્ર કર્યા અઢી કરોડ જેટલી માતબર રકમ

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં બાળકો બાલ્યાવસ્થાથી જ બચતનું મહત્ત્વ સમજે અને કરકસરયુક્ત બને એવા શુભ આશય સાથે આજથી પાંચ વર્ષ પહેલાં શૂન્યથી ૧૮ વર્ષના બાળકો માટે શરૃ કરાયેલ ભારતની પ્રથમ બાળ બેંક 'બાલગોપાલ બચત અને ધિરાણ સહકારી મંડળી' આજે એક વટવૃક્ષ સમાન બની રહી છે. આ બેંક આજે સાત હજાર જેટલા બાળ સભાસદો અને અઢી કરોડ જેલટી માતબર રકમની થાપણ ધરાવે છે કે જે બાળકોની એક-બે પાંચ રૃપિયાની મામુલી રકમની બચતમાંથી ભેગા થયા છે. આ બાળ બેંકની ઇડર સહિત જિલ્લાના ચાર તાલુકાઓમાં શાખાઓ પણ શરૃ થઇ છે.

બાલ ગોપાલ બચત અને ધીરાણ સહકારી મંડળીનો ઉદ્ભવ એક નાનકડા પ્રસંગ બાદ થયો હતો. જેમાં આ મંડળીના સ્થાપક એવા ઇડર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલના એક મિત્રના નાનકડા પુત્રએ ઘરમાં રહેલ પૈસા ભરવાનો માટીનો ગલ્લો તોડી નાખી તેમાં રહેલ બચતની રકમ ખાણી પીણીની ફાલતુચીજો પાછળ ઉડાવી દેતાં, તેઓને બાળકો માટે કંઇક કરવાનો વિચાર સ્ફુર્યો હતો. જેમાં બાળક બચતનું મહત્ત્વ સમજે અને કરકસરયુક્ત બને તેમજ ભવિષ્ય સલામત બનાવે.

ત્યારબાદ ટૂંક જ સમયમાં તેઓએ અન્ય થોડા મિત્રો સાથે મળી ભારતની પ્રથમ બાળ બેંક 'બાલ ગોપાલ બચત અને ધીરાણ સહકારી મંડળીની સ્થાપના કરી હતી.'

આ મંડળીમાં શૂન્યથી ૧૮ વર્ષના બાળકો સભાસદ થઇ શકે. સભાસદ થનાર તમામ બાળકોને એક તાળાવાળો ગલ્લો મળે. જે ગલ્લામાં બાળકોએ પોકેટ મની કે અન્ય રીતે મળતી રૃપિયા બે રૃપિયા કે પાંચ રૃપિયાની રકમ નાખવાની અને એક નિશ્ચિત દિવસે મંડળીના કર્મચારી બાળકના ઘરે જઇ જમાથયેલ રકમ લાવી બાળ બેંકમાં જમા કરી દેવાની. આ પ્રકારે એક રૃપિયા બે રૃપિયા કરીને ઇડર તાલુકાના ૭૦૦૦ જેટલા બાળ સભાસદો મળી હાલમાં માસિક દસ લાખ રૃપિયાની બચત કરે છે. ચેલ્લાપાંચ વર્ષ દરમ્યાનની બાળકોની બચત અઢી કરોડે પહોંચી છે. આ બાળ બેંકના કેટલાય સભાસદો ધોરણ-૧૨ પાસ કરશે ત્યાં સુધીમાં લાખો પતિ બની ગયા હશે. વળી જીંદગી ભરનો બચત અને કરકસરનો ગુણ મેળવશે તે નફામાં. તાજેતરમાં જ ઉમેદગઢ ખાતે બાળ સભાસદોને લંચબોક્સ અને બચત સર્ટી વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ રાજ્ય સભાના સાંસદ મનસુખ ભાઈ માંડવીયા અને જિલ્લાના સાંસદ દિપસિંહ રાઠોડ બાળ બેંકના અંગેના બાળકોના પ્રતિભાવ સાંભળી પ્રભાવિત થયા હતા. એક બાળકે બાળ બેંકમાં કરેલ બચતથી અકાળે અવસાન પામેલ બાપના કારજ પાણીનો ખર્ચો કર્યાની વાત કરતાં જ ગમગીની છવાઈ ગઇ હતી.

આ બાળ બેંકના સ્થાપક અશ્વિનભાઈ પટેલે આગામી દિવસોમાં એક લાખ બાળ સભાસદો અને ૧૦૦ કરોડની થાપણો કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.