બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 11 ઑક્ટોબર 2014 (14:29 IST)

ભારતમાં પ્રતિબંધિત પોટેશિયમ ક્‍લોરેટ્‍સનો ઉપયોગ થતો હોવાથી ચાઈનીઝ ફટાકડાં સસ્તા

ભારતમાં ફટાકડાનું સૌથી વધુ ઉત્‍પાદન કરતાં તામિલનાડુના શિવાકાશી નગરમાં આ વર્ષની દિવાળીએ પાંચ લાખ પરિવારો અંધકારમાં ધકેલાઈ જશે, જેનું કારણ ચાઈનીઝ ફટાકડાંની મોટાપાયે થતી આયાત છે. બે વર્ષ પહેલાં ચાઈનીઝ ફટાકડાંની આયાત ગેરકાયદે થતી હતી તેથી તેનો માલ છુટોછવાયો ભારતમાં પ્રવેશતો હતો પરંતુ આ વર્ષે તો ચાઈનીઝ ફટાકડાંનું આક્રમણ ઘરઆંગણાના ફટાકડાં ઉદ્યોગને ભયમાં મૂકી દે એવી ભીતિ સર્જાઈ છે.

   ચાઈનીઝ ફટાકડાંના કેટલાંક કન્‍ટેનર્સ ગુપ્તપણે આયાત થયાં છે જેના કારણે આ વર્ષે લગભગ ૩૫ ટકા ઘરઆંગણાના ઉત્‍પાદનોનું વેચાણ જ થયું નથી. હાલના સંજોગોમાં ચાઈનીઝ ફટાકડાંના કારણે ભારતના રૂ. ૬૦૦૦ કરોડના ફટાકડાં ઉદ્યોગ સમક્ષ ભય ઉભો થાય એવી સ્‍થિતિ સર્જાઈ છે. ઈન્‍ડસ્‍ટ્રીના નિષ્‍ણાતોના અંદાજ પ્રમાણે ગુપ્ત રીતે ૨૦૦૦ કન્‍ટેનર્સમાં ગુપ્ત રીતે આયાત થયેલા ચાઈનીઝ ફટાકડાં રૂ. ૬૦૦ કરોડ જેટલી કિંમતના છે. આ મામલે કેન્‍દ્ર સરકાર કહે છે કે ફટાકડાંની ગેરકાયદે આયાત અંગે કાર્યવાહી કરાશે એવી ચેતવણી આપતી જાહેરાતો વર્તમાનપત્રોમાં પ્રકાશિત કરવા માટે ઈસ્‍યુ કરાઈ છે પરંતુ હજુ સુધી આવી કોઈ જાહેરાત ખરા અર્થમાં જોવા મળી નથી.

   અગાઉ કેન્‍દ્ર સરકાર ચાઈનીઝ ફટાકડાંના કન્‍ટેનર જપ્ત કરતી હતી પરંતુ એ ચાઈનીઝ ફટાકડાંનો નાશ કરવાના બદલે દંડ વસૂલીને ગેરકાયદે આયાતકારોને પાછા આપી દેતી હતી. ત્‍યારબાદ એ ફટાકડાં ગુપચુપ રીતે બજારોમાં પહોંચી જતાં હતાં. તેમણે એમ પણ જણાવ્‍યું હતું કે નાગપુર ખાતેના વિસ્‍ફોટકોના ચીફ કંટ્રોલરે જપ્ત થયેલા ફટકડાંનો નાશ કરવાની મંજૂરી આપવાની હોય છે જે આજદિન સુધી આપવામાં આવી નથી.

   ભારતનું સૌથી વિશાળ ફટાકડાં ઉત્‍પાદન માટેનું નગર ગણાતું શિવાકાશી ‘કુટ્ટી' કે ‘મિનિ જાપાન' તરીકે પણ ઓળખાય છે. દેશભરમાં વપરાતા લગભગ ૯૦ ટકા ફટાકડાં શિવાકાશીમાં જ બને છે. આ ઉપરાંત ૮૦ ટકા માચિસ પણ અહીં બને છે. ફટાકડાંની આયાત માટે કેન્‍દ્ર સરકાર તરફથી લાયસન્‍સની જરૂર પડે છે પરંતુ હજુ સુધી કોઈને આવું આયાત લાયસન્‍સ આપવામાં આવ્‍યું નથી. ભારતના ફટાકડાં ઉદ્યોગને ચાઈનીઝ ફટાકડાંનો ડર એટલા માટે લાગી રહ્યો છે કે તેઓને મળતાં ફટાકડાંના ઓર્ડર્સમાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૨ની તુલનામાં આ વર્ષે દિવાળીના ઓર્ડર્સમાં ધરખમ ઘટાડો થયો છે.

   ઉદ્યોગના નિષ્‍ણાતો કહે છે કે આગામી વર્ષે તો એવી સ્‍થિતિ હશે કે રાજય કે કેન્‍દ્ર સરકાર ફટાકડાંની ગેરકાયદે આયાત પર કડક પગલાં લેશે તો જ ઘરઆંગણાનો ઉદ્યોગ બચી શકશે. ચાઈનીઝ ફટાકડાંની માંગ તે સસ્‍તા હોવાથી વધુ હોય છે. પરંતુ એ ફટાકડાં બનાવવામાં પોટેશિયમ ક્‍લોરેટ્‍સનો ઉપયોગ કરવામાં આવે છે જેના પર ભારતમાં પ્રતિબંધ છે. ભારતમાં ફટાકડાં ઉત્‍પાદકો રૂ. ૭૦ પ્રતિ કિલોએ મળતાં પોટેશિયમ નાઈટ્રેટ અને રૂ. ૨૫૦ પ્રતિ કિગ્રાના એલ્‍યુમિનિયમ પાઉડરનો ઉપયોગ કરે છે. પરંતુ ચીનમાં ડ્ડ૨૫માં એક કિગ્રા મળતાં પોટેશિયમ ક્‍લોરેટ્‍સનો ઉપયોગ ફટાકડાં બનાવવામાં થાય છે. પોટેશિયમ ક્‍લોરેટ્‍સમાંથી બનેલા ફટાકડાંને સાચવવા જોખમી હોય છે. આ ઉપરાંત તેનાથી ધ્‍વનિ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન પણ થાય છે. ચાઈનીઝ ફટાકડાં ભારતમાં વિવિધ સ્‍થળોએથી જેમકે નવી મુંબઈ, ટુટિકોરિન વગેરેથી આવે છે