ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 31 જાન્યુઆરી 2015 (14:36 IST)

ભારતીય મહિલા બેંકની હાલત ખરાબ, અન્ય બેંકમાં ભેળવી દેવાશે?

મહિલાઓના ઉત્થાન માટે ૧૦૦૦ કરોડની મુડીથી શરૃ કરવામાં આવેલી ભારત સરકારની સંપુર્ણ માલીકીની ભારતીય મહિલા બેંક સરકાર બદલાય જતાં અવગણનાનો સામનો કરી રહી છે. યુપીએ સરકારે પોતાના અંતિમ બજેટમાં આ બેંકની જાહેરાત કરી હતી અને બહુ ઉતાવળે ભુતપુર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જન્મદિવસે દેશભરમાં ૪૦ શાખાઓ ખોલવામાં આવી હતી. જો કે બાદમાં કેન્દ્રમાં સરકાર બદલાય જતાં અત્યારે નાણાં મંત્રાલયમાં આ બેંકનો કોઈ ભાવ પુછતું નથી. આ બેંકની સી જી રોડ પર આવેલી એક માત્ર શાખામાં દોઢ વર્ષમાં છ હજાર થાપણદારોના ખાતા ખુલ્યા છે જેમાંથી પાંચ હજાર જનધન યોજના હેઠળ ખુલ્યા છે. બીજી તરફ અત્યાર સુધીમાં માત્ર ૬૭ મહિલાઓને આ બેંકે ધિરાણ આપ્યું છે જે બ્યુટીપાર્લર જેવી પ્રવૃતિઓ માટે અપાયું છે.

આ બેંકનો હેતુ ગ્રામીણ અને શહેરી મહિલાઓને સરળતાથી પોતાના ધંધા-ઉદ્યોગ માટે ધિરાણ આપવાનો છે. સપ્ટેમ્બર ૨૦૧૩માં શરૃ થયેલી આ બેંકની શાખા અમદાવાદમાં સી.જી. રોડ પર છે જે સંપુર્ણ કોમર્શીયલ વિસ્તાર છે જયાં આસપાસ કોઈ આર્થિક વિકાસથી વંચિત મહિલાઓ નથી. આ બેંક કેટલીંક સામાજિક સંસ્થાઓ અને સેલ્ફ હેલ્પ ગુ્રપની મહિલાઓ પાસેથી ૫૦-૧૦૦ રૃપિયાના રિકરીંગ ડિપોઝીટના ખાતાઓ ખોલાવે છે. આ બેંકમાં એક-બે સિનિયરને બાદ કરતાં મોટાભાગનો સ્ટાફ પણ અન્ય રાષ્ટ્રીયકૃત બેંકમાંથી ડેપ્યુટેશન પર થોડા સમય માટે આવે છે.

આ બેંકનું એક માત્ર એટીએમ બેંકની શાખાની અંદર જ છે. બેંકની ગુજરાતમાં બીજી શાખા વડોદરામાં છે પરંતુ અમદાવાદમાં બીજી કોઈ શાખાનું આયોજન નથી. આ બેંકના થાપણદારોને અન્ય બેંકમાં ભેળવીને આ બેંક બંધ કરી દેવાશે કે ચાલુ રખાશે તે અંગે કર્મચારીઓમાં આશંકા સેવાઈ રહી છે.