મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ, , ગુરુવાર, 30 જૂન 2016 (11:46 IST)

સાતમા પગાર પંચને લીધે ગુજરાત પર 6000 કરોડનો બોજો પડશે

કેન્દ્ર સરકાર દ્વારા સાતમા પગારપંચને મંજુરી આપી દેવામાં આવી છે જેને લઈ સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ત્યારે આ સાતમા પગાર પંચને લીધે ગુજરાત સરકાર પર વાર્ષિક ૬ હજાર કરોડ રુપિયાનો બોજો પડશે. જ્યારે ગુજરાતમાં કાર્યરત ૬.૬૮ લાખ કર્મચારીઓને આ પગાર વધારાનો લાભ મળશે. આ સાતમા પગાર પંચને કેન્દ્ર સરકારની મંજુરી મળ્યા બાદ ગુજરાતના નાણાં મંત્રી સૌરભ પટેલે જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકાર બાદ હવે રાજ્ય સરકાર પણ ટૂંક સમયમાં જ પોતાના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપશે.

આ માટે વિચારણા હાથ ધરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યુ હતું કે,  ગુજરાત સરકાર અત્યારે ૪.૧૮ લાખ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન ચુકવી રહી છે. આ ઉપરાંત અત્યારે સરકારના પંચાયતી વિભાગમાં ૧.૯૧ લાખ લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં ૭.૫૦ લાખ અને ગ્રાન્ટ ઈન એડના ૮૦ હજાર કર્મચારી કાર્યરત છે.જે મળીને કુલ રાજ્ય સરકારના ૮.૬૭ લાખ કર્મચારીઓને નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન રુપિયા ૨૮ હજાર કરોડ રુપિયા પગાર પેટે ચુકવાયા હતા.

જો તેમાં સાતમા પગાર પંચનો અમલ કરવામાં આવશે તો સરકાર પર વધુ છ હજાર કરોડ રુપિયાનો બોજો પડશે.ઉલ્લેખનીય છે કે, છઠ્ઠા પગાર પંચ મામલે કેન્દ્રમાં અમલ બાદ ગુજરાતમાં તેના અમલમાં વિલંબ થયો હતો. જેને લઈ રાજ્ય સરકારની આકરી ઝાટકણી પણ કાઢવામાં આવી હતી. જોકે તે સમયે કેન્દ્રમાં યુપીએ અને રાજ્યમાં ભાજપની સરકાર કાર્યરત હોવાથી આ વિલંબ થયો હોવાનુ સામે આવ્યુ હતું. જોકે આ વખતે કેન્દ્ર અને રાજ્યમાં બન્નેમાં ભાજપની સરકાર કાર્યરત હોવાથી કેન્દ્રએ સાતમા પગારપંચનો અમલ શરુ કરતા રાજ્ય સરકાર પણ ટૂંકમાં તે અમલ શરુ કરે તેવી શક્યતા છે