શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 7 એપ્રિલ 2015 (16:52 IST)

સાવધાન!...કેરી સાથે ધીમું ઝેર તો પેટમાં પધરાવતા નથી ને?!

ફળોના રાજા ‘કેરી’ની સિઝન શહેરમાં દેખા દઈ રહી છે. કાળુપુર અને નરોડા ફ્રૂટ માર્કેટમાં બીજા રાજ્યોમાંથી કેરીની ટ્રકો ઠલવાવા માંડી છે, ત્યારે કેરી સાથે સાથે કેલ્શિયમ કાર્બાઈડનું દૂષણ પણ બજારમાં આવી ગયું છે.

મોસમના તરંગી મિજાજને લીધે કેરીનો પાક કુદરતી રીતે સ્વસ્થ્ય ઉતરી નથી અને બજારમાં અમદાવાદીઓ નફાખોર વેપારીઓની ચાલાકીને લીધે કાર્બાઈડથી પકવેલ કેરી આરોગી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ અંગે કશા જ પગલા લેતું ન હોવાની પણ રાવ ઊઠી હતી.

કેલ્શિયમ કાર્બાઈડથી કેરી પકવવી ફૂડ સેફ્ટી ઍક્ટ હેઠળ ગુનો ગણાય છે. તેમ છતાંય કાર્બાઈડથી કેરી પકવવી એ શહેરમાં આમ વાત થઈ ગઈ છે. શહેરમાં આંધ્રપ્રદેશ, કેરળથી ધીમે ધીમે કેરીઓની ટ્રકો આવી રહી છે, જેમાં કેરીમાં કાર્બાઈડની પડીકી મૂકવામાં આવે છે, જેથી અમદાવાદ પહોંચે ત્યાં સુધીના ત્રણ દિવસમાં કેરી કાર્બાઈડથી પાકી જાય છે. આ રીતે પકવેલી કેરીથી કૅન્સર જેવા ભયાનક રોગો થતા હોવા છતાં આરોગ્ય વિભાગના સૂત્રોએ આ વિશે જણાવ્યું હતું કે, શહેરમાં ગરમીનો પારો વધતા લોકોને ચેતવણી આપવા સાથે આરોગ્ય વિભાગે હિટ એકશન પ્લાન અમલમાં મૂક્યો છે પરંતુ કાર્બાઈડના મામલે કોઈ ખાસ આયોજન કરવામાં આવ્યું નથી. આ અંગે ખાલી કાર્બાઈડથી પકવેલી કેરી ન ખાવા જાહેર જનતાને અપીલ કરવામાં આવશે. ગયા વર્ષે મનપાએ બજારમાં છૂટક વેપારીઓ અને કેરીના ગોડાઉનમાં દરોડા પાડીને ૨૦ કિલોથી વધુનો કાર્બાઈડનો જથ્થો પકડી પાડ્યો હતો, જે વેપારીઓ પાસેથી કાર્બાઈડ પકડાયા હતા તેમને આરોગ્ય વિભાગે રૂ. બેથી ત્રણ હજારનો દંડ કરી છોડી મૂક્યા હતા. જો ગોડાઉન બહું મોટું હોય તો રૂ. પાંચ હજાર સુધીનો જ દંડ કરવામાં આવ્યો હતો.

ફૂડ સેફ્ટી ઍક્ટ હેઠળ ઇથિલિન ગેસથી કેરી પકવવાની છૂટ આપવામાં આવી છે, જેને પગલે કાળુપુરમાં ઇથિલિન ગેસથી કેરી પકવવા માટેની ખાસ ચેમ્બર તૈયાર કરાઈ છે. કારખાનાઓમાં વેલ્ડિંગ કામમાં વપરાતા કાર્બાઈડના એક કિલો ડબાની કિંમત માત્ર રૂ. ૧૫૦૦ હોય છે. આ કાર્બાઈડથી પકવેલી કેરીઓથી વેપારીઓ ધૂમ કમાણી કરે છે.