ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 સપ્ટેમ્બર 2014 (17:24 IST)

સિંગાપોર ભારતમાં મૂડી ઠાલવનારો વિશ્ર્વનો સૌથી મોટો રોકાણકાર દેશ

વિદેશી મૂડીરોકાણની વાત આવે એટલે મનમાં અમેરિકા, યુરોપ કે જાપાન જેવા દેશના નામો આપણાં મનમાં રમતાં હોય છે. જોકે, જાણીને આશ્ર્ચર્ય થશે કે, દેશમાં સૌથી વધુ વિદેશી રોકાણ અમેરિકા, બ્રિટન, જર્મની કે જાપાનનું નહીં પરંતુ આ દેશો સામે સાવ ટચુકડાં લાગે એવા સિંગાપોરનું છે.

રિઝર્વ બેન્કના આંકડા મુજબ નાણાકિય વર્ષ ૨૦૦૯-૧૦થી વર્ષ ૨૦૧૨-૧૩ સુધી સતત ચાર વર્ષ ભારતમાં આવનાર એફડીઆઈ મામલે મોરેશિયસ મોખરે રહ્યો હતો. જોકે, હવે આ સ્થાન સિંગાપોરે પચાવી પાડ્યું છે. જાણીને આશ્ર્ચર્ય થશે કે આ રેસમાં અમેરિકા, જાપાન, જર્મની અને બ્રિટન તો ક્યાંય પાછળ છે!

એ વાત ખરી કે અત્યાર સુધી એફડીઆઇના મામલે અવ્વલ સ્થાન મોરિશિયસનું હતું, પરંતુ તેને માત કરીને હવે સિંગાપોર ભારતમાં મૂડી ઠાલવનારો વિશ્ર્વનો સૌથી મોટો રોકાણકાર દેશ બન્યો છે.

અલબત્ત, પાછલાં ચાર વર્ષથી એફડીઆઈ મામલે મોરેશિયસ મોખરે હતો, પરંતુ આપણાં દેશની બદલાઇ રહેલી પરિસ્થિતિમાં વિકાસની વધુ સંભાવના જણાતાં સિંગાપોર, મોરેશિયસને પાછળ મૂકીને ભારતમાં સૌથી મોટોે સીધા વિદેશી રોકાણ (એફડીઆઈ) કરનાર દેશ બન્યો છે.

રિઝર્વ બેન્કના આંકડા મુજબ નાણાકીય વર્ષ ૨૦૦૯-૧૦થી વર્ષ ૨૦૧૨-૧૩ સુધી સતત ચાર વર્ષ ભારતમાં આવનાર ફોરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે એફડીઆઈ મામલે મોરેશિયસ મોખરે અડીખમ રહ્યો હતો.

જોકે, પાછલા વર્ષથી દરમિયાન કોઇપણ કારણસર મોરેશિયસથી મોટા રોકાણમાં ઘટાડો થવા માંડય્ો હતો અને સિંગાપુરથી રોકાણમાં વધારો નોંધાવા લાગ્યો હતો.

પરિણામે ભારતમાં એફડીઆઈ મામલે સિંગાપોર ટોચના સ્થાને પહોચી ગયું છે. વર્ષ ૨૦૧૨-૧૩માં મોરેશિયસનું રોકાણ ૮૦૫.૯ કરોડ ડોલરના સ્તરે નોંધાયું હતું,

નિરીક્ષકો માને છે કે આગામી વર્ષોમાં પણ આ દેશ ભારતમાં વધુ નાણાં ઠાલવશે. ગયા વર્ષ મોરેશિયસનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ ઘટીને ૩૬૯.૫ કરોડ ડોલર થયુ હતું જ્યારે સિંગાપુરનું એફડીઆઈ ૧૭૫ ટકા વધ્યું હતું.

એ જ રીતે, ૪૪૧.૫ કરોડ ડોલરના એફડીઆઈ સાથે જાપાન ત્રીજા સ્થાને રહ્યુ હતું! જ્યારે ૧૧૫.૭ કરોડના ડોલરના રોકાણ સાથે હોલેન્ડ ચોથા ક્રમે હતુ

એ જ રીતે, યુરોપના વિકાસનું એન્જિન ગણાય એવો દેશ જર્મની ૬૫ કરોડ ડોલરના એફડીઆઈ સાથે પાંચમાં ક્રમે રહ્યો હતો! બીજી તરફ અમરિકાથી ૬૧.૭ કરોડ ડોલરનું એફડીઆઈ આવ્યુ જ્યારે બ્રિટનથી માત્ર ૧૧.૧ કરોડ ડોલરનું રોકાણ આવ્યુ હતું.

અહીં એ વાત નોંધવા જેવી છે કે, ચાર વર્ષ પહેલા વર્ષ ૨૦૦૯-૧૦માં સિંગાપુરથી ૨૨૧.૮ કરોડ ડોલરની તુલનાએ મોરેશિયસનું એફડીઆઈ ૯૮૦.૧ કરોડ ડોલર એટલે કે અંદાજે ચારગણાથી વધુ હતું.

અમેરિકાનુ એફડીઆઈ પણ ત્યારે ૨૨૧.૨ કરોડ ડોલર હતું. ગતવર્ષે દરમિયાન કુલ એસડીઆઈમાં ઘટાડો થયો હતો. જે વર્ષ ૨૦૧૨-૧૩ ના ૧૮૨૮.૬ કરોડ ડોલર કરતા ઘટીને ૨૬૦૫.૪ કરોડ ડોલર રહ્યુ હતું.

હવે દેશના વડાપ્રધાન નરેન્દ૩ મોદીની જાપાનની મુલાકત સાથે જાપાને ભારતમાં લોકો ડોલર ઠાલવવાનું વચન આપ્યું છે, તે જોતાં અન્ય દેશો પણ ભારતમાં રોકાણ કરવા આકર્ષાય એ સ્વાભાવિક છે! આગે આગે ગોરખ જાગે!

સરકારના ત્રણ કરોડ ઘર રિયલ એસ્ટેટ પર દબાણ વધારશે:

રિયલ એસ્ટેટ સેકટરમાં લાંબા સમયથી મંદી છે અને તેને પરિણામે ઘરો કે ઇમારતો વેચાતી નથી, તેમ છતાં બિલ્ડર્સ અને ડેવલપર્સ આ ક્ષેત્રે વધતી માગ અને સ્થિર ભાવની ડંફાસો મારતા ફરે છે તથા ગ્રાહકોને ભવિષ્યમાં તક ચૂકી જવાનો ભય દેખાડવાના મિથ્યા પ્રયાસો કરતા રહે છે.

જોકે, આ ક્ષેત્રની પરિસ્થિતિનો ખ્યાલ બિલ્ડરો અને ડેવલપર્સ દ્વારા ચલાવવામાં આવતા જાહેરખબરોના મારા પરથી આવી શકે છે. આ ઉપરાંત હોમલોનની જાહેરાતોમાં થતી ડિસ્કાઉન્ટ રેટ અને અન્ય ઓફરોને જોતાં બેન્કોને પણ હોમલોનના લેનારા જડતા નહીં હોય એવું ચિત્ર ઉપસે છે.

હવે રિયલ એસ્ટેટ સેકટરના ખેલાડીઓને સરકારની સર્વને ઘર માટેની યોજનાને કારણે પણ ફટકો પડશે, કારણ કે, આ યોજના હેઠળ લાખો ઘર તૈયાર થતાં એક તરફ માગમાં ઘટાડો થશે અને બીજી તરફ બિલ્ડર્સ કે ડેવલપર્સ મનફાવે એવા ભાવ ઠઠાડી નહીં શકશે.

સરકારી નીતિનો લાભ અંતે ગ્રાહકોને મળે એવી શક્યતા છે. નીતિન ગડકરીના નેતૃત્ત્વ હેઠળ ગ્રામીણ વિકાસ મંત્રાલય ગ્રામીણ વિસ્તારોમાં બેઘર લોકોને ઘર બાંધી આપવા માટેનો પ્લાન તૈયાર કરી રહ્યું છે.

ઉપરોક્ત યોજના હેઠળ વર્ષ ૨૦૨૨ સુધીમાં ‘નેશનલ ગ્રામીણ આવાસ મિશન’ યોજના હેઠળ ગ્રામીણ વિકાસ મંત્રાલય ત્રણ કરોડ મકાનો બાંધવા માટે રૂ. ૩.૪૫ લાખ કરોડનો ખર્ચ કરશે.

ઉક્ત યોજનામાં દર વર્ષે આશરે રૂ. ૫૦,૦૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. નરેન્દ્ર મોદીના હાઉસિંગ ફોર ઓલ વિઝન હેઠળ આ યોજના તૈયાર કરવામાં આવી રહી છે, પાછલી કોંગ્રેસ સરકારની રુરલ એમ્પ્લોયમેન્ટ જનરેશન સ્કીમ કરતાં આ યોજનામાં ઘણો વધારે ખર્ચ કરવામાં આવશે.

જે લોકો પાસે પાકા મકાનો નથી તેમને ઘર મળી રહે તે હેતુથી ભાજપ સરકાર દ્વારા ઉક્ત યોજના શરું કરવામાં આવી છે, જ્યારે કોંગ્રેસ સરકારની ઇન્દિરા આવાસ યોજના હેઠળ માત્ર ગરીબી રેખા નીચે જીવતા કુટંબોને જ ઘર મળવાના હતા.

જોકે હવે ’નેશનલ ગ્રામીણ આવાસ મિશન’ ઇન્દિરા આવાસ યોજનાને રિપ્લેસ કરશે. ઇન્દિરા આવાસ યોજના હેઠળ ત્રણ દાયકામાં ૩૨૫ લાખ લોકોને ઘર મળ્યા છે, જેની પાછળ રૂપિયા એક લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સરવાળે ઘર મેળવવાનું સાવ સરળ ન બને તો પણ થોડા વર્ષો સુધી સાવ દુષ્કર બની શકે એવી પણ પરિસ્થિતિ નથી અને રિયલ એસ્ટેટના ખેલાડીઓ પર વધુ સ્પર્ધાત્મક બનવાનું દબાણ રહેશે.