શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 8 ઑક્ટોબર 2013 (11:36 IST)

સેન્સેક્સની જેમ શાક-બજારનાં ભાવ પણ દરરોજ બદલાય છે

P.R
ગુજરાતમાં ચોમાસુ ભલેને સોળ આની રહ્યું હોય પણ લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે. જેમાં છેલ્લાં એક પખવાડિયામાં શાકભાજીના ભાવમાં ૬૦ ટકા જેટલો તોતિંગ વધારો થયો છે. અમદાવાદની એપીએમસી માર્કેટમાં લીલા શાકભાજીની આવકમાં એકદમ ઘટાડો થયો છે. પરપ્રાંતમાંથી શાકભાજીની આવક ૬૦ ટકા જેટલી છે પણ પરિવહન ખર્ચ વધુ આવતો હોવાથી નીચા ભાવે શાકભાજી વેચવા માટે વેપારીઓ તૈયાર થતા નથી.

અમદાવાદમાં લીલા શાકભાજીના જથ્થાબંધ માર્કેટમાં બટાકાના ૨૦ કિલોના ભાવ રૂ. ૧૪૦થી ૨૯૦ જેટલા છે. જ્યારે છૂટક માર્કેટ અને ફેરિયાઓ દ્વારા રૂ. ૨૦ના ભાવે કિલો બટાકા વેચાઈ રહ્યા છે. જ્યારે ડુંગળીના ૨૦ કિલોના ભાવ ૫૦૦થી ૮૫૦ છે પણ છૂટક બજારમાં ડુંગળી કિલોના ૭૦થી ૮૦ના ભાવે વેચાઈ રહી છે. કોબીના ૨૦ કિલોના ભાવ જથ્થાબંધ માર્કેટમાં રૂ. ૨૪૦થી ૩૨૦ જેટલા છે પણ ફેરિયાઓ રૂ. ૩૦ના કિલોના ભાવે કોબી વેચી રહ્યા છે. ફલાવરના ભાવ ૨૦ કિલોના રૂ. ૧૬૦થી ૫૦૦ છે પણ છૂટક માર્કેટમાં રૂ. ૮૦નો ભાવ છે. આ ઉપરાંત જથ્થાબંધ માર્કેટમાં ૨૦ કિલોના ભાવ જોઈએ તો ટામેટા રૂ. ૧૮૦થી ૩૬૦, દૂધી ૨૦૦થી ૬૦૦, કાકડી ૨૦૦થી ૫૦૦, મરચા ૨૦૦થી ૩૬૦, લીંબુ ૩૦૦થી ૫૦૦ અને કારેલાના ભાવ ૩૦૦થી ૫૦૦ છે પણ આ તમામ શાકભાજી રૂ. ૪૦ના કિલોના ભાવે વેચાઈ રહી છે. આમ જથ્થાબંધના ભાવો કરતા છૂટક શાકભાજીના ભાવો બમણા છે. છૂટક શાકભાજીના બજાર પર કોઈ નિયંત્રણ જ નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જથ્થાબંધ માર્કેટમાં ૨૦ કિલોના ભાવો જોઈએ તો ટીંડોડાના ભાવ રૂ. ૪૦૦થી ૧૬૦૦, આદુના ભાવ રૂ. ૧૦૦૦થી ૧૨૦૦, કોથમીરના ભાવ રૂ. ૮૦૦થી ૧૬૦૦, ભીંડાના ભાવ રૂ. ૩૦૦થી ૬૫૦, ગવારનો ભાવ રૂ. ૪૦૦થી ૧૫૦૦, તુરિયાનો ભાવ રૂ. ૪૦૦થી ૮૦૦ અને પરવલનો ભાવ રૂ. ૬૦૦થી ૧૪૦૦ જેટલો છે. જ્યારે શાકભાજીના છૂટક બજારમાં અને ફેરિયાઓ દ્વારા ટીંડોડા રૂ. ૮૦ના કિલો, આદુ રૂ. ૧૦૦ કિલો, કોથમીરના કિલોના રૂ. ૨૦૦, ભીંડાના કિલોના રૂ. ૬૦, રવૈયાના કિલોના રૂ. ૬૦ અને બાકીના શાકભાજીના ભાવ રૂ. ૪૫થી ૭૦ના ભાવે વેચાઈ રહ્યા છે. શાકભાજીના વધતા જતા ભાવો અંગે ખેત ઉત્પન્ન બજાર સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ગામડાઓમાંથી આવતા લીલા શાકભાજીની આવકમાં અડધાથી પણ વધુ ઘટાડો થયો છે. આમ સ્થાનિક આવક ઘટી ગઈ છે અને અન્ય રાજ્યોમાંથી લીલા શાકભાજીની જે આવક છે એમાં પરિવહન ખર્ચ વધુ આવતો હોવાથી ઊંચા ભાવે વેચવામાં આવે છે. દિવાળી સુધી આવી પરિસ્થિતિ રહેશે પણ દિવાળી પછી ભાવોમાં ઘટાડો થશે.