શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 20 નવેમ્બર 2014 (16:17 IST)

પહેલુ સુખ તે નિરોગી કાયાઃ ઉઠો, જાગો અને કરો કસરત.. શિયાળામાં લાભદાયક ટિપ્સ

ઠંડીમાં સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવાથી ઠંડીને કારણે આવતી તકલીફોથી બચી શકાય છે. ઠંડીનો ચમકારો આવે તેની સાથે બાળકો, વડીલો અને જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમના સ્વાસ્થ્યની સંભાળ યોગ્ય રીતે લેવાય તો સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોમાં રાહત મેળવી શકાય છે.
 
જેમને સવારમાં વૉક માટે જવાનું પસંદ હોય તેમણે શિયાળામાં સમયમાં થોડો બદલાવ લાવવો જોઈએ. નિયમિત સમય કરતાં અડધો કલાક મોડા જવાનું રાખવાથી સવારના આછા સૂર્યકિરણોનો લાભ મેળવી શકાય છે. ઠંડીનું પ્રમાણ ઓછું થઈ જવાથી માથામાં ઠંડી ભરાઈ જતી નથી. જેથી શરદી અને માથાના દુખાવાથી બચી શકાય છે. કુમળો તડકો શરીરને મળવાથી ‘વિટામીન ડી’ પણ શરીરને મળી રહે છે. જેને કારણે શરીરમાં સ્ફૂર્તિ અનુભવાય છે.
 
શિયાળાની ઠંડીમાં ખુલ્લા પગે ઘાસ ઉપર કે જમીન ઉપર ચાલવાની આદત હોય તો તે છોડવી જોઈએ.
 
વાળ ધોયા હોય તો બરાબર સૂકાવ્યા બાદ જ ઘરની બહાર નીકળો.
 
સવારમાં ઉઠ્યા બાદ નરણા કોઠે ગરમ પાણી પીવાનું રાખો.
 
ઠંડી હવા કાનમાં કે માથામાં ભરાઈ ના જાય તે માટે કાન ઉપર મફલર, સ્કાર્ફ ઊનની ટોપી પહેરો. શિયાળામાં કાન અને છાતીને ગરમાવો યોગ્ય માત્રામાં મળે તેનું ધ્યાન રાખો.
 
કેટલીક વ્યક્તિઓને ૠતુ બદલાય તો પણ ઠંડા પાણીથી સ્નાન કરવાની આદત હોય છે. તેમ કરવાથી લાંબે ગાળે તબીયત બગડી શકે છે. ઠંડીમાં ગરમ પાણીથી સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે લાભદાયક ગણાય છે. જેને બહુ ગરમ પાણી પસંદ ના હોય તેમણે હૂંફાળા પાણીનો ઉપયોગ કરવો જોઈએ.
 
ઠંડીમાં લોહીની નળીઓ સંકોચાઈ જાય છે. જેને કારણે હૃદયમાં લોહી પહોંચાડનારી રક્તવાહિની ઉપર પણ દબાવ પડે છે. જેથી હાર્ટએટેકનો ખતરો વધી જાય છે. તેનાથી બચવા માટે તેલ, ઘી, માખણ, મીઠું વગેરેનું સેવન ઓછું કરવું જોઈએ. રોજનું ઓછામાં ઓછું ૪૫ મિનિટ ચાલવાથી લોહીનું પરિભ્રમણ શરીરમાં સારી રીતે થાય છે. ચાલતી વખતે પણ કારણ વગરના વિચારો કે ઉદ્વેગ કર્યા વગર શાંત મનથી ચાલવાથી ચોક્કસ પરિણામ મળી શકે છે.
 
સરસિયાના તેલમાં થોડું સિંઘવ મીઠું નાંખીને બરાબર ભેળવીને છાતી ઉપર લેપ કરવાથી ઠંડીમાં રાહત રહે છે
 
ઠંડીમાં પાચનક્રિયા નબળી હોય તેને કબજિયાતની તકલીફ વધી જાય છે. તેમણે પાણી વધુ પ્રમાણમાં પીવું જોઈએ.
 
શિયાળામાં માથાનો દુખાવો થાય તો દૂધમાં જાયફળ ઘસીને તેનો લેપ કરવાથી દુખાવામાં રાહત રહે છે.
 
ઠંડીમાં એલર્જીનું પ્રમાણ પણ વધી જતું હોય છે. તેમાં નાકમાંથી પાણી જવું, વારંવાર છીકો આવવી, નાકમાં ખંજવાળ આવવી જેને ‘નેઝલ બ્રોનકિઅલ એલર્જી’ તરીકે મેડિકલ ભાષામાં ઓળખવામાં આવે છે. એલર્જીથી બચવા માટે ઘરમાં ભેજવાળું વાતાવરણ હોય તો યોગ્ય પ્રમાણમાં સૂર્યપ્રકાશ ઘરમાં પ્રવેશે તે માટે બારીબારણાં ખુલ્લાં રાખો. ધુમ્રપાનથી બચો. ક્યારેય એકદમ ગરમ વાતાવરણમાંથી તરત જ ઠંડા વાતાવરણમાં જવું નહીં. જેને કારણે શર્દી થવાની શક્યતા વધી જાય છે.
 
શિયાળામાં ખાસ કરીને ગરમા ગરમ ભોજનનો સ્વાદ માણવો ઘણાને પસંદ હોય છે. ફરવા જવાનું પસંદ હોય છે. તો કેટલીક વ્યક્તિઓ ઠંડીમાં ઉદાસીનતા અનુભવે છે. ભૂખ ઓછી થવી, કારણ વગર ગુસ્સો આવવાની પ્રકૃતિ ધરાવે છે. જેને ‘વિંટર ડિપ્રેશન’ કહેવામાં આવે છે. યોગ, પ્રાણાયામ અને કસરત કરવાથી તણાવ ઓછો થાય છે. વિટામીન સી યોગ્ય માત્રામાં મળે તેવો આહાર લેવો.
 
ઠંડીમાં હાઈબ્લડ પ્રેશરની સમસ્યા વધતી હોય છે. તેનાથી બચવા માટે કચુંબર કે સલાડમાં મીઠાનો ઉપયોગ ટાળો. તળેલો, વધુ પડતો ખાટો ખોરાક લેવાનું ટાળો. દૂધી-ટમેટા, દૂધી-પાલક આંબળાનો જ્યૂસ બનાવીને પીઓ. ફણગાવેલા કઠોળ, આંબળાનો મુરબ્બાનો ઉપયોગ વધુ કરો.
 
શિયાળામાં કરેલ વ્યાયામ તમને એક વર્ષ માટે તરોતાજા રાખી શકે છે. તેથી જેટલો ચટપટો ખોરાક કે વસાણાની મજા માણો તેટલો વ્યાયામ પણ કરતા રહો. જે શરીરને સ્ફૂર્તિલું રાખે છે.
 
શિયાળામાં ક્યારેક ઠંડી વધુ પડે તો ક્યારેક ઓછી પડે, શરીરને અનુકુળ હોય તેવાં ગરમ કપડાં અચૂક પહેરો.
 
શિયાળામાં ઠંડા પીણાં, દહીં, લસ્સી, આઈસ્ક્રીમનું સેવન પ્રમાણમાં કરો.
 
ગરમ પાણીમાં મેથી, તુલસી અને અજમાના પાન નાંખીને સ્નાન કરવાથી ત્વચા કોમળ બને છે. પાણીમાં ગોળ અને કાળા મરીનો ભૂકો નાંખીને ઉકાળો બનાવીને ચા પીઓ. તુલસીના પાનનો રસ કાઢીને તેમાં સાકર ભેળવીને એક મહિના માટે તેનો ઉપયોગ કરો.
 
૩૦ ગ્રામ સૂંઠ પાઉડરને અડધો લિટર પાણીમાં ભેળવીને ઉકાળી લો. પાણીને ગાળીને દિવસમાં ચાર વખત પીવાથી સાંધાના દુ:ખાવામાં રાહત જોવા મળે છે.
 
શિયાળામાં વિવિધ વાનગીઓનો આસ્વાદ માણવાની સાથે મનગમતો વ્યાયામ કરવાથી ‘શરીરે સુખી તો, સુખી સર્વ વાતે, કહેવતને ન્યાય આપી શકશો.