વાજપેયી નબળા વડાપ્રધાન હતા જે મોદી પર કાબુ કરી શક્યા ન હતા
કેટલાંક દિવસો પહેલાં પોતાની વેબસાઈટ પર ભાજપના નેતા અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પ્રશંસા કરનારી કોંગ્રેસ પાર્ટીએ હવે પલટો માર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા સંજય ઝાએ અટલ બિહારી વાજપેયીને ભારતીય લોકશાહી ઈતિહાસના સૌથી નબળાં પીએમ ગણાવ્યા છે.
સોશિયલ વેબસાઈટ ટ્વિટર પર સંજય ઝાએ ટ્વિટ કર્યું હતું કે, અટલ બિહારી વાજપેયી સૌથી નબળા પ્રધાનમંત્રી હતા. તેઓ ગુજરાતમાં થયેલા રમખાણો બાદ મોદીને મુખ્યમંત્રી પદેથી હટાવવા માંગતા હતા પણ પક્ષની આગળ તેમને નમતું મૂકવું પડ્યું હતું.
કારગિલનો ઉલ્લેખ કરતાં તેમણે ટ્વિટ કર્યું હતું કે, વાજપેયીના રૂપમાં ભારતને સૌથી નબળા પ્રધાનમંત્રી મળ્યા હતા. જેમણે કારગિલમાં થયેલા દગા બાદ પણ પરવેજ મુશર્રફનું રેડ કાર્પેટ પર સ્વાગત કર્યું હતું. નબળા વડાપ્રધાન વાજપેયીએ પચાસ જવાનની શહીદીને અવગણીને પાકિસ્તાનના નવાઝ શરીફને ગળે લગાવ્યા હતા.
ગત સપ્તાહે કોંગ્રેસ દ્વારા અટલ બિહારી વાજપેયીના વખાણ કરતો લેખ પોતાની વેબસાઈટ પર મૂક્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, આજની તારીખમાં બીજેપીના કોઈપણ નેતા વાજપેયીના કદના નથી. બીજેપી વાજપેયીને ભૂલી ગઈ છે, જેમણે મોદીને ગુજરાતના સીએમ પદ પરથી હટાવવાની કોશિશ કરી હતી.