બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 18 એપ્રિલ 2015 (14:58 IST)

૧૮ એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડેઃ અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિરનો શિલાન્યાસ થયો હતો

વિશ્વભરમાં ૧૮ એપ્રિલને વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવામાં આવે છે. ૧૯૬૫માં શરૃ કરાયેલી હેરિટેજ ડેની ઉજવણીના આ વર્ષે પચાસ વર્ષ પુરા કરશે. દરેક દેશ, પ્રદેશ પાસે પોતાનો ઈતિહાય હોય છે તેમ અમદાવાદ પાસે પોતાના ઈતિહાસનું અસ્તિત્વ છે, ગૌરવ છે અને ઐતિહાસિક સંસ્કૃતિનો આબાદ જીવંત વારસો છે. અમદાવાદની દશેય દિશા ઐતિહાસિક રીતે ઉમદા મહત્વ ધરાવે છે. એટલી જ અમદાવાદની ગૌરવભરી બાબત એ પણ છે કે આ જ નગરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિરનો શિલાયન્સ થયો હતો. ખુદ સહજાનંદ સ્વામીએ કાલુપુરમાં સ્વામિનારાયણ મંદરિનો શુભારંભ કરાવેલો અને નરનારાયણ આદિ દેવોની પ્રાણ પ્રતિષ્ઠા કરાવેલી. ધર્મની સાથોસાથ સ્થાપત્ય, વાસ્તુશિલ્પ, બાંધકામની શૈલીની નજરે મંદરિનું વૈશ્વિક મહત્વ છે. મંદિરનું બાંધકામ આનંદાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીની દેખરેખ હેઠળ કરાવેલ અને મંદિરની રૃપરેખા ભુજના નારણજી ભાઈએ તૈયાર કરી હતી.
મંદિર પરિસરમાં શોભાયમાન કુંભી, સ્તંભ દંડ, મોવડ અને ભરણી, શિરાવતી, છદયા, ઉડુંબર-ઉમરો, બારશાખ, પ્રતિ, ઉત્તરંગ, મંગલ ચિહ્ન, ઝરૃખો, ટેકા, બારી, ગુરૃદ્વાર, પાટ અને ઓટલો સામાન્ય રીતે ઐતિહાસિક મંદિરોમાં જોવા મળે છે પણ અંહીની એ દરેક વસ્તુ આર્કિટેક્ચર વર્લ્ડનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પુરૃ પાડે છે. ધાર્મિક, આધ્યાત્મિક રીતે આ મંદિરનો ઈતિહાસ ભવ્ય છે પણ આ જ મંદિરમાં ગુલામીકાળમાં અંગ્રેજોની વિરૃદ્ધમાં ૧૯૫૭ની ચળવળની ઝાંખી ઉભી કરવામાં આવી હતી. આચાર્ય કેશવપ્રસાદજી મહારાજના સમયકાળમાં દિવ્ય સભામંડપ તૈયાર થયેલો. જો કે તેનો શુભારંભ આચાર્ય અયોધ્યાપ્રસાદજી મહારાજે ૧૮૫૬માં કરાવેલો અને તેને બનતાં પંદર વર્ષ જેટલો સમય લાગ્યો હતો. તે સમયે અંગ્રેજોઓ આકરા કાયદા-કાનૂન બનાવીને ભારતીય લોકોના માનસને ડરાવી દીધું હતું. ત્યારે સંતો અને મહારાજે ૧૮૫૭માં થયેલ આઝાદીના પ્રથમ આંદોલનને કોતરણી દ્વારા જીવતો કરવાનું નક્કી કર્યું હતું.
નરનારાયણ દેવના શિખરબંધ મંદિરની સામે સ્થિત સભામંડપ પહેલી નજરે તો સામાન્ય લાગે. પરંતુ, જો તેનું ધ્યાનપુર્વક નિરીક્ષણ કરવામાં આવે તો ગુલામીકાળના સમયની ઐતિહાસિક પરિસ્થિતિ, અસાધારણ ધ્યાન ખેંચે તેવા અજાણ્યા સત્યોને ઉજાગર કરે છે. જેમાં વીરોની તેજસ્વિતા અને ભારતીયપણાની પ્રભા ઝગમગાટ મારે છે. આ મંડપમાં કોતરણી દ્વારા તૈયાર કરાયેલા લાકડાના બાર સ્તંભ છે. જેમાં શરૃઆતના છ સ્વામિનારાયણ મંદિરોના બાંધકામની જેમ સહજ છે પણ સાતથી બાર સુધીના થાંભલાઓ કંઈક વિશિષ્ટ છે. ઝડપથી નજર પસાર કરો તો થાંભલાના ઉપરના ભાગે થાંભલીઓ બનાવવામાં આવી છે. જે ડાબી, જમણી અને મધ્ય એમ ત્રણ બાજુથી કોતરણી કરીને તૈયાર કરવામાં આવી છે. જેના પર દેવી-દેવતાઓ, પશુ-પંખીઓ, માણસો, અને ફુલઝાડની આકર્ષક કોતરણી કરાયેલી જોવા મળે છે. જો એ થાંભલીઓને ધ્યાનપુર્વક નિહાળવામાં આવે તો એ દેવી-દેવતાઓ, માણસો, પાખંડી, પોપટની વચ્ચે અંગ્રેજોની સામે બાંયો ચડાવનાર યોદ્ધાઓનો ઈતિહાસ તરવરવા લાગશે. એક થાંભલામાં સાપનું આસન કરીન ગરૃડરાજ બિરાજમાન છે. કમળના ફુલ અને તેની પાંખડીઓથી વિંટલાયેલ છે. આ કોતરણીનો ઝીણવટપુર્વક અભ્યાસ કરવામાં આવે તો મરાઠા યોદ્ધાઓ તલવાર લઈને અંગ્રેજોને હંફાવવા નીંકળેલા વીરોની પ્રતીતિ કરાવે છે. બીજા થાંભલામાં મરાઠી વીરતાને રજુ કરવામાં આવી છે. આગળના થાંભલામાં છ પોપટની વચ્ચે રાજદંડથી લઈને સ્વદેશ સફર કરતાં યોદ્ધાઓની ઝલક બતાવવામાં આવી છે અને એ જ દ્રશ્યને આગળના થાંભલામાં જોડવામાં આવ્યું છે. છેલ્લા થાંભલાઓમાં બ્રિટશરાજના માણસો બંદુકો પકડીને ઉભા છે અને તેને લડત આપવા ભારતીય યોદ્ધાઓ દ્રશ્યમાન થાય છે. આ બાબતે મહંત સ્વામીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ મંદિરનું અનેક રીતે મહત્વ છે. જ્યારે ભારતમાં અંગ્રેજોના કાયદાનું રાજ હતું ત્યારે તેની સામે લોકોમાં વીરતના રંગો પુરવા મહારાજશ્રી અને સંતોએ બ્રિટીશરોની હયાતીમાં જ સભામંડપમાં ૧૮૫૭ની ક્રાંતિકારી ચળવળને જીવંત રાખવા અસાધારણ રીતે તેને સ્તંભોમાં કંડારવામાં આવી હતી. આજે વિશ્વભરમાંથી મંદિરની સ્થાપત્ય કલા અને બાંધકામને જોવા અને સમજવા માટે હજારો લોકો આવે છે.