શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 27 જુલાઈ 2016 (14:42 IST)

2017 વિધાનસભાની ચૂંટણી પહેલા બધું સુધારી લેવા સરકાર અને આરએસએસની ચિંતન બેઠક યોજાઇ

ભાજપ અને આરએસએસ માટે ગુજરાત મહત્ત્વનું રાજ્ય છે અને તેથી ગુજરાતમાં જો ભાજપને નુકસાન થતું હોય તો તે આરએસએસને પણ પરવડી શકે નહીં કારણ કે સંઘ માટે ગુજરાત હિન્દુઓની રાજકીય લેબોરેટરી સમાન છે. છેલ્લા કેટલાય સમયથી લોકોની સરકાર સામેની નારાજગી વધતી જાય છે. ભ્રષ્ટાચાર પણ ચરમસીમાએ પહોંચ્યો છે.

પાટીદારોની નારાજગીને લીધે ભાજપને જિલ્લા-તાલુકા પંચાયતો ગુમાવવી પડી હતી. હજુ પણ પાટીદાર સમાજ સાથે ભાજપનો મનમેળ થયો નથી ત્યાં ઊના દલિત અત્યાચાર કાંડને પગલે દલિતો પણ ભાજપથી વિમુખ બન્યા છે. જો આવી જ સ્થિતિ રહી તો ભાજપને ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં પરાજય પણ મળી શકે તેમ હોય આ પ્રશ્ર્ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી ચિંતિત બનતા આખરે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ સાથે સંઘના અગ્રણીઓની મંગળવારે ચિંતન બેઠક યોજાઈ હતી જેમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને મળેલી બેઠકમાં આરએસએસના પ્રચારક અને ભાજપના મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા, પ્રાંત કાર્યવાહ યશવંત ચૌધરી તેમ જ ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી વગેરે ઉપસ્થિત રહીને વર્તમાન સ્થિતિ અંગે ચિંતન કરીને ગહન ચર્ચા કરી હતી. પાટીદારોના અનામત આંદોલનને લીધે ભાજપ સરકારની ઈમેજને ધક્કો પહોંચ્યો છે. હવે કોઈ પણ ભોગે પાટીદારોને રિઝવવા માટેના પ્રયાસો હાથ ધરવા તેમ જ દલિતકાંડના મુદ્દે સરકારે કડક પગલાં ભર્યાં છે. એવું દલિત સમાજમાં ઠસાવવાના પ્રયાસો કરવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં એવી ચર્ચા પણ કરવામાં આવી હતી કે, કૉંગ્રેસ વર્ગ-વિગ્રહ કરીને પણ ૨૦૧૭માં ગુજરાતનું શાસન સંભાળવા પ્રયાસો કરશે ત્યારે સરકારે વધારે સચેત બનવાની જરૂર ઉપરાંત ચૂંટણીને દોઢ વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિની કિસાન સંઘ તેમજ ભાજપના ફ્રન્ટલ એવા એબીવીપી, મહિલા મોરચો, ડૉક્ટરસેલ અનુજાતિ-જનજાતિ મોરચો વગેરેને વધુ સક્રિય કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સંઘ દ્વારા દલિત સમાજના સાધુ-સંતોની બેઠક પણ બોલાવવામાં આવશે. ભાજપ સામે આગામી ચૂંટણીમાં કૉંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીનો પણ પડકાર ઊભો થાય તેવી શક્યતા છે ત્યારે આ મુદ્દે પણ ગહન ચર્ચા કરવામાં આવી છે.

આ બેઠકમાં ગૌરક્ષા માટે કામ કરતા વિવિધ સંગઠનોને પણ સમજાવવાના પ્રયાસ કરવાની તાકિદ કરવામાં આવી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણીએ સંગઠન સ્તરે લેવાતા પગલાં અંગે ચર્ચા કરી હતી. વિરોધ પ્રદર્શનને ખાળવા અંગેની સ્ટ્રેટેજી અંગે પણ સંઘના પદાધિકારીઓએ સલાહ-સૂચનો આપ્યા હતા. ગાંધીનગર સચિવાલયના અધિકારીઓમાં પણ સીએમની સંઘના પદાધિકારીઓ સાથેની બેઠકને લીધે ચર્ચા જાગી હતી.