શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated : ગુરુવાર, 20 ઑગસ્ટ 2015 (15:11 IST)

અનામતની આગ :અનામતનો હતો શુભ આશય, પણ હવે સરકારે ગંભીરરૂપે વિચારવુ પડશે ?

ભારત દેશે આઝાદી અને તે પહેલાંથી એટલે કે બ્રિટીશકાળથી અનામતના મામલે કુણું વલણ દાખવેલું છે. આજે નોબત એ આવીને ઉભી થઈ ગઈ કે 100 ટકામાંથી 49 ટકા સુધીનો કોટા અનામતમાં જઈ રહ્યો છે. નોકરી, એડમિશન કે પછી સરકારી લાભોમાં અનામતનાં કારણે પછાત વર્ગને ઘણા ફાયદા થયા છે.

અનામતનો હતો શુભ આશય

રિઝર્વેશન આપવા પાછળ સરકારનો શુભ આશય એ હતો કે સૈકાઓથી કેટલીક જાતિઓ સામાજિક, આર્થિક અને વ્યવસાયિક રીતે પછાત રહી ગઈ હતી. સામાજિક સંતુલન રાખવા માટે સરકારે રિઝર્વેશનની સિસ્ટમ લાગુ કરી પછાત વર્ગોને ફાયદાઓ કરાવી આપ્યા.રિઝર્વેશનમાં બંધારણની જોગવાઈ-સંવૈધાનિક કાયદા, કેન્દ્ર સરકારના કાયદા, સ્થાનિક સરકારોના કાયદા અને નિયમો ધીમે ધીમે સુધારા-વધારા સાથે બનતા ગયા અને અમલમાં આવતા ગયા. શિડયુલ કાસ્ટ્સ (SC), શિડયુલ ટ્રાઈબ (ST), અધર બેકવર્ડ ક્લાસ (OBC) અને બેકવર્ડક્લાસ મુસ્લિમ (BC(M) એમ કોટા સિસ્ટમ લાગુ કરવામાં આવી.

અનામત અંગે સર્વ પ્રથમ ધરણા ગાંધીજીએ કર્યા

1933ના ઓગષ્ટ મહિનામાં બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર રમાસે મેકડોનાલ્ડે એવોર્ડ આપવાની ઘોષણા કરી. ખાસ કરીને કેટલાક ચોક્કસ લોકોને જાતિ આધારિત એવોર્ડ આપવામાં આવ્યા. દલિત, શીખ, ઈન્ડીયન ક્રિશ્ચિયન, એંગ્લો ઈન્ડીયન, યુરોપીયન વગેરેને વર્ગીકૃત કરી અલગ-અલગ ભાગમાં વહેંચી દેવામાં આવ્યા હતા.આ એવોર્ડ ભારે વિવાદાસ્પદ બન્યો હતો મહાત્મા ગાંધીએ આ એવોર્ડનો વિરોધ કર્યો હતો. ગાંધીજીએ ધરણા કર્યા. લાંબી મથામણનાં અંતે ડો.આંબેડકરનાં શરૂઆતનાં વિરોધ બાદ દલિત અને પછાત લોકોને જાતિ આધારિત અનામત આપવાનો ઠરાવવામાં આવ્યું. પૂના પેક્ટમાં ઠરાવ પાસ કરવામાં આવ્યો. આઝાદી બાદ પણ સંવિધાનમાં અનામતનો ઉલ્લેખ કરી અલાયદી જોગવાઈ કરવામાં આવી.

અનામત બની રાજકારણનો અખાડો, કોને કેટલા ટકા અનામત

1933થી લઈ 1947 સુધી અને  ભારત દેશ આઝાદ થયો ત્યારથી અનામતનાં મુદ્દે રાજકારણ રમાતું આવ્યું છે. આજે દેશ આઝાદ થયાને 68 વર્ષ પૂર્ણ થયા ત્યારે અનામતની આગ ફરી લપકારા મારી રહી છે. હાલમાં 49.5 ટકા અનામતની અમલવારી છે. એસસીને 15 ટકા, એસટીને 7.5 ટકા અને ઓબીસીને 27 ટકા અનામતની પોલીસી અમલમાં છે. કુલ 49.5 ટકા અનામત છે. જ્યારે 50.5 ટકા બેઠકો ઓપન કેટેગરીમાં મુકવામાં આવી છે. 2011માં કેન્દ્ર સરકારો ઓબીસી કોટાની અનામત ટકાવારી વધારી મુસ્લિમોને 4.5 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. પણ આચારસંહિતાના કારણે ચૂંટણી પંચે અનામત આપવાની જાહેરાતને ફગાવી દઈ નામંજુર કરી હતી.

મંડલ કમિશન, મોરારજી દેસાઈ અને વીપીસિંહની સરકાર

મંડલ કમિશનની રચના મોરારજી દેસાઈએ 1979માં કરી હતી. વીપીસિંહે 1989માં મંડલ કમિશનની ભલામણોની અમલવારી શરૂ કરાવતા દેશ ભડકે બળી ગયું હતું. વીપીસિંહની સરકાર વખતે જ સમગ્ર દેશ મંડલ કમિશનની આગમાં  હોમાઈ ગયો હતો. વીપીસિંહ સરકારે મંડલ કમિશનની ભલામણોનો સ્વીકાર કર્યો તો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.

રાજીવ ગોસ્વામીનું આત્મવિલોપન

દેશભરમાં અનામત વિરોધી આંદોલનની આગ ફેલાઈ જવા પામી હતી. ખાસ ઉલ્લેખનીય છે કે રાજીવ ગોસ્વામી નામના વિદ્યાર્થીએ આત્મવિલોપન કર્યું હતું. આ ઘટનાથી વીપીસિંહની સરકાર ભીંસમાં મુકાઈ ગઈ હતી. રાજીવ ગોસ્વામી અનામત વિરોધી આંદોલનનું આજે પણ પ્રતિક છે.

પાટીદાર આંદોલન
પાટીદાર આંદોલન પર આવીએ. આ આંદોલનની રાતોરાત તૈયાર થઈ. કોઈ આગોતરા આયોજન વગર મહેસાણાના યુવાન નામે હાર્દિક પટેલે પાટીદાર સમાજને જગાડી દીધો. ગુજરાત ભરમાં રેલીઓ કાઢવામાં આવી રહી છે. ગુજરાતે ચીમનભાઈ પટેલ વખતે 1974માં નવનિર્માણ આંદોલન જોયું છે. ઘનશ્યામ ઓઝાની જગ્યાએ ચીમનભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવાયા બાદ સરકરા પર ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા. ગુજરાતભરમાં ચીમનભાઈ સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા. આઝાદી પછી પહેલી વખત લોક આંદોલન થકી સરકારે જવું પડયું હોય તો તે ગુજરાતનું નવનિર્માણ આંદોલન છે. હવે ફરી એક વખત ગુજરાતમાં પાટીદાર આહલેક અને ત્રાડ પડી ચુકી છે.

હિસ્ટ્રી હીમ સેલ્ફ રિપીટ
એવું કહેવાય છે કે હિસ્ટ્રી હીમ સેલ્ફ રિપીટ. માત્ર કાળ અને ચહેરાઓ બદલાઈ જાય છે. પાટીદાર સમાજ કદાચ ગુજરાતમાં પરિવર્તનનો ચહેરો બની રહ્યો છે, એવો ભાસ હાલ થઈ રહ્યો છે. કોંગ્રેસનો ટેકો છે કે નહીં, ભાજપનાં અસંતુષ્ટોનો ટેકો છે કે નહીં એની ચર્ચા રાજકીય લોકોને કરવા દઈએ, છતાં પણ એક વાત કહેવા જેવી ખરી કે કોંગ્રેસની ગુજરાતમાં કોઈ હામ નથી. ભાજપના અસંતુષ્ટો પાસે એટલી તાકાત નથી. હાર્દિક પટેલ અનામતની ભેખ લઈને નીકળ્યો છે અને તેના એક જ બોલે સમાજ એકત્ર થઈ જાય છે. સુરતની કલેકટર ઓફિસ પરનો નજારો એવો હતો કે હાર્દિક પટેલ આવ્યો અને તેણે રેલીકારોને જવાનું કહ્યું તો રેલીકારોએ તેનો પડયો બોલ ઝિલ્યો હતો. આમાં ક્યાં ભાજપના અસંતુષ્ટો અને કોંગ્રેસનાં નેતાઓ આવ્યા?

પાટીદારોને અનામત નહીં મળે તો?
મૂળ મુદ્દાની વાત એ છે કે પાટીદારોએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે ભીખ નથી માંગતા, હક માંગીએ છીએ. જો સરકાર પાટીદારોને અનામત આપવામાં વિફળ ગઈ તો..? પ્રશ્ન પેચીદો છે. પાટીદારોને અનામત નહીં મળી તો આંદોલનની દિશા અનામત વિરોધી આંદોલનમાં ફેરવાઈ જવાની દહેશત અસ્થાને લેખી શકાય નહીં. અમને અનામત નહીં તો કોઈને પણ અનામત નહીં એવી માંગ પણ ઉભી થવાનો ડર રહેલો છે. જો એમ થાય તો ગુજરાતભરમાં અનામત તરફી અને અનામત વિરોધી એમ બે ધ્રુવો સામ-સામે ટકરાયા વગર રહેશે નહીં. સરકારે પુખ્ત રીતે વિચારવાની જરૂર છે. સામ-દામ-દંડ ભેદની નીતિ છોડી સરકારે પાટીદારોની માંગ અને તેના ઉપાય પર ગંભીરપણે વિચાર કરવાનો સમય પાકી ગયો છે.