શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated :અમદાવાદઃ , સોમવાર, 29 જૂન 2015 (15:02 IST)

વિસ્મય શાહના ભાવિનો ફેંસલો હવે 9 જુલાઈએ

શહેરના જજીજ બંગ્લોઝ નજીક 2013માં બિએમડબ્લ્યુથી હિટએન્ડ રન સર્જીને બે યુવકોનો ભોગ લેનાર કેસના મુખ્ય આરોપી વિસ્મય શાહની ટ્રાયલ ગ્રામ્ય કોર્ટના એડિશનલ કેશન્સ જજ સમક્ષ પૂર્ણ થઇ છે. ત્યારે આજે વિસ્મય શાહને કોર્ટ દ્વારા સજા સંભળાવી શકાય તેવી શક્યતાઓ હતી પરંતુ આજે બપોરે ચુકાદો ટળ્યો હતો. મિરઝાપુર કોર્ટે 9 જુલાઇએ ચુકાદો આપવાનું જણાવ્યું છે. ચુકાદો લખવાનો હોવાથી મુલતવી રહ્યો છે.. 
 
ચકચારી હિટ એન્ડ રન કેસની વિગત એવી છે કે, તા. ર૪-૦ર-ર૦૧૩ના રોજ જજીસ બંગલો રોડ ઉપર પુરઝડપે પસાર થતી બીએમડબલ્યુ કારે બે બાઇકસવારને અડફેટે લીધા હતા. જેમાં શિવમ્ પ્રેમભાઇ દવે (સાગર એપાર્ટમેન્ટ, બોડકદેવ, વસ્ત્રાપુર), રાહુલ ઘનશ્યામભાઇ પટેલ (શુભ લાભ સોસાયટી, ઘાટલોડિયા) બાઇકસવારનાં મોત થયાં હતાં. આ ઘટનામાં બીએમડબલ્યુ કાર હંકારતો વિસ્મય ઘટનાસ્થળેથી અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો. વસ્ત્રાપુર પોલીસે આ મુદ્દે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં વિસ્મય વિરુદ્ધમાં સઅપરાધ મનુષ્ય વધ( ૩૦૪ પાર્ટ ૨)મોટર વિહિકલ એક્ટ હેઠળ ફરિયાદ થઇ હતી.
 
આ ગુનામાં ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. પોલીસે કરેલી તપાસ ઉપર સવાલો ઊભા થતા તા. ર૭-૦ર-ર૦૧૩ના રોજ વિસ્મય શાહના નાટ્ય ઢબે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. ૧૩ મહિનાથી વિસ્મય જેલમાં બંધ હતો ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ર૦૧૪માં તેને જામીન આપ્યા હતા. ૧ર વખત કોર્ટે તેના જામીન રદ કર્યા હતા. ત્યારબાદ તેને જામીન મળ્યા હતા. આ કેસમાં પોલીસે તા. ૧ર-૦૪-ર૦૧૩ના રોજ ચાર્જશીટ ફાઇલ કરી હતી. અને ૩૧-૦૧-ર૦૧પએ ફરીથી સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ ફાઇલ કરી હતી. કેસમાં ૩૧ જેટલા સાક્ષીઓ અને પંચો છે. રપ જેટલા ડોક્યુમેન્ટ્રી પુરાવાઓ છે. જેમાં એફએસએલ રિપોર્ટ, ગાડીની સ્પીડ રિપોર્ટ વગેરેનો સમાવેશ થાય છે. 
 
પોલીસે બે નજરે જોનાર સાક્ષીઓ લલિત ગુપ્તા અને દિનેશ ચૌધરીનાં નિવેદનો લીધાં હતાં. તે બંને નજરે જોનાર સાક્ષીઓ કોર્ટ સમક્ષ પોતાની જુબાનીથી ફરી જતાં તેઓ હોસ્ટાઇલ જાહેર થયા છે. સવા બે વર્ષ પછી આ કેસનો આજે મીરજાપુર કોર્ટમાં ચુકાદો આવે તેવી શક્યતા હતી.  પરંતુ મિરઝાપુર કોર્ટ દ્વારા ચુકાદો લખવાનો બાકી હોવાથી 9 જુલાઇની તારીખ આપવામાં આવી છે. 9 જુલાઇએ વિસ્મયને સજા સંભળાવાય છે કે પછી નિર્દોષ છુટકારો થાય છે તેના પર સૌની નજર મંડરાયેલી છે. ત્યારે બંન્ને મૃતકોના પરિવારજનોને પણ ન્યાય મળે તેવી આશા છે.