શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 14 નવેમ્બર 2015 (14:13 IST)

ભાજપનાં મોડલ સ્ટેટ ગુજરાતમાં આબરૂના ધજાગરા ના થાય તેનાં માટે રણનીતિઓ બદલાઇ

બિહારની ચૂંટણીમાં ભાજપના કારમા પરાજય બાદ હવે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજય મેળવવો તે ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બની ગયો છે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું હોમસ્ટેટ ગુજરાત હોવાથી સ્થાનિક ચૂંટણીઓમાં પરાજય મળે તો દેશના રાજકારણ અને વૈશ્ર્વિક ફલક પર તેની અસર પડે તેમ છે તેમ જ ભાજપના અસંતુષ્ટ ગણાતા અગ્રણીઓને મોદી અને શાહ સામે વધુ બોલવાનો મોકો મળે, ભાજપની આબરૂના ધજીયા ઊડે એટલે ભાજપ કોઈ પણ ભોગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રણનીતિ તૈયાર કરવામાં લાગી ગયું છે. તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના હોમસ્ટેટની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને હાર મળે તો ભાજપને નાલોશીભરી સ્થિતિમાં મુકાવવું પડે તેમ છે.

દેશભરમાં પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનું વિકાસનું મોડેલ રજૂ કરી રહ્યા છે. જોકે બિહારની પ્રજાએ ગુજરાત મોડેલને સ્વીકાર્યું નહીં તે અલગ બાબત છે પણ ગુજરાતમાં પરાજય ભાજપને પરવડી શકે તેમ નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને સૌથી વધુ પાટીદાર ફેક્ટર નડી રહ્યું છે.

ભાજપ માટે રાત ટૂંકી અને વેશ જાજા છે એટલે ભાજપની થીન્ક ટેન્ક એવી રણનીતિ ઘડી રહ્યું છે કે પાટીદાર સમાજ પર આશા રાખ્યા વિના ઓબીસી અને એસસીએસટી સમાજને વિશ્ર્વાસમાં લઈને ચૂંટણીની વેતરણી પાર કરીને વિજયી મેળવવો. આ માટેની પડદા પાછળની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું કહેવાય છે જેમાં ઓબીસી સમાજની વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. તેમના માધ્યમથી નિવેદનો બહાર પાડીને ભાજપને મત આપવાની અપીલો પણ કરવામાં આવશે. ગુજરાતમાં ઓબીસીનો મતદાર વર્ગ પણ બહોળો છે. ભાજપની આ રણનીતિ કેળવી સફળ થશે તે તો ચૂંટણીનાં પરિણામો કહી બતાવશે.