શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (11:40 IST)

રૂ. ૧૨૧ કરોડના ખર્ચે નિર્માણ પામશે અદ્યતન સુવિધાઓ સાથેની વિઘાનસભા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના વિધાનસભા ગૃહને લોકશાહીનું સર્વોચ્ચ મંદિર ગણાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે દેવ મંદિરમાં થતા ઘંટનાદની ઊર્જાચેતના જેમ જ જનકલ્યાણ અને લોકહિતના કામોની ઉર્જા ચેતના ઉજાગર કરનારું આ ભવ્ય મંદિર બની રહે તેવું જનસેવા દાયિત્વ નિભાવીને લોકશાહી મૂલ્યોની ઉચ્ચતમ પરંપરા જાળવીએ. 

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વિધાનસભા- વિઠ્ઠલભાઈ પટેલ ભવનના રૂ. ૧૨૧ કરોડના ખર્ચે થનારા અદ્યતન નવિનીકરણનું ભૂમિપૂજન નાયબ મુખ્યંત્રી શ્રી નિતીનભાઈ પટેલ અને મંત્રીશ્રીઓ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સંપન્ન કર્યું હતું. 


તેમણે કહ્યું હતું કે, પ્રજાએ ચૂંટીને મોકલેલા જનપ્રતિનિધિઓ આ ભવનમાં પ્રજાની વેદના-સંવેદનાની ચર્ચાઓ કરે છે અને લોકપ્રશ્નોના નિવારણ સાથે જનહિત માટેના કાયદા કાનૂનો અહીં ઘડાય છે.  પ્રજાના પ્રતિનિધિઓના પરફોર્મન્સ અને તેની સમર્પિત ભાવનામાં વ્યાપક પ્રજાહિત-લોકકલ્યાણ સમાયેલું છે તેવો વિશ્વાસ અને શ્રદ્ધા દરેક નાગરિકમાં જાગે તેવું દાયિત્વ પ્રતિનિધિઓએ નિભાવવું આવશ્યક છે, તેમ તેમણે ઉમેર્યું હતું. 

શ્રી વિજયભાઈ રૂપાણીએ સંસદીય પદ્ધતિને ધબકતો પ્રવાહ અને વિપક્ષની ભૂમિકા, મીડિયા અને ન્યાયતંત્રને લોકશાહીના ચાર મુખ્ય આધારસ્તંભ ગણાવતા ઉમેર્યું કે આ ચાર પાયાથી જ લોકશાહીનું મંદિર શોભે છે. તેમાં કોઇની એકબીજા ઉપર સુપ્રીમસી ન હોય અને સૌ સાથે પ્રજાહિતને કેન્દ્રસ્થાને રાખીને ચાલે ત્યારે લોકશાહી સુરક્ષિત બને છે. 


મુખ્યમંત્રીશ્રીએ વર્તમાન વિધાનસભા ભવનમાં જે માળખાકીય સુવિધાઓ છે તેમાં સમયાનુકૂલ બદલાવ અને જરૂરિયાત આ ભવન નવિનીકરણમાં સમાવવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. ગુજરાતે લોકશાહીને વધુ મજબૂત અને સુદૃઢ બનાવવામાં પૂ. બાપુ, સરદાર વલ્લભભાઈ જેવા વીરસપૂતોની પરિપાટીએ જે પરંપરા જાળવી છે તેને સ્વીકારીને આગળ વધવાનો કોલ આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વિધાનસભા ભવનનું આ નવિનીકરણ આપણી ઉજ્જવળ પરંપરાને વધુ સુદૃઢ કરનારું બનશે.  

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વિધાનસભા ગૃહને લોકશાહીનું મંદિર ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિધાનસભામાં પ્રજાના સર્વાંગી વિકાસનું ચિંતન થાય છે. વિકાસની ઇમારતની પહેલી ઇંટ વિધાનસભામાં મુકાય છે, ત્યારે તેના નવિનીકરણથી સુવિધામાં વધારો થશે. અદ્યતન બિલ્ડીંગને કારણે તે આકર્ષણનું કેન્દ્ર પણ બનશે.  જણાવ્યું હતું કે આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ પટેલના નામ સાથે જોડાયેલ ગુજરાત વિધાનસભાએ સંસદીય પ્રણાલિમાં ઉદાહરણરૂપ કામગીરી બજાવી છે ત્યારે પ્રજાતંત્રના આ અગ્રીમ સ્થાનના નવિનીકરણથી આ સંસદીય પ્રણાલિ વધુ ને વધુ મજબૂત બનશે, વધુ ને વધુ પ્રજાલક્ષી બનશે. રાજ્ય સરકાર પ્રજાકીય કાર્યો માટે બંધાનારી ઇમારતો પણ ભવ્ય બને તેની કાળજી રાખે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. 

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી શંભુજી ઠાકોરે વિધાનસભા બિલ્ડીંગના રિનોવેશનના નિર્ણયની કામગીરીને આવકારતા કહ્યું કે, ગુજરાત સરકારે પારદર્શિતા, નિર્ણાયકતા, પ્રગતિશીલતા અને સંવેદનશીલતાના આધારસ્તંભો થકી સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર ચરિતાર્થ કર્યો છે. 

મુખ્યમંત્રીશ્રીએ ૧૦૦ દિવસના ટૂંકા ગાળામાં ૧૨૫થી વધુ જનહિતના નિર્ણયો કર્યાં છે, ત્યારે વિકાસની આ યાત્રામાં ગુજરાત વિધાનસભાનું રિનોવેશન કરવું અનિવાર્ય છે. ત્યારે રાજ્ય સરકારે આધુનિક યુગ મુજબ ટેક્નોલોજીથી સજ્જ વિધાનસભા સંકુલ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ કામ આગામી ૧ વર્ષમાં પૂર્ણ થશે. વર્ષ ૨૦૧૭માં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને નવીન ભવનમાં બેસવાનો લાભ મળશે.   


ગુજરાત વિધાનસભાના સચિવ શ્રી ડી.એમ.પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, લોકશાહીના મૂલ્યોના જતન માટે વિધાનસભાની ભૂમિકા અનિવાર્ય રહી છે. તેમણે ૧૯૬૦માં ગુજરાતની અલગ રાજ્ય તરીકેની રચના બાદ પ્રથમ વિધાનસભાથી લઇને વર્તમાન વિધાનસભાની રસપ્રદ તવારીખ આપી હતી. આ વિધાનસભાનું કામ એક વર્ષમાં પૂર્ણ થશે. પેપરલેસ એસેમ્બલી માટે પણ ખાસ ધ્યાન રખાશે.  

મુખ્યસચિવ શ્રી ડૉ.જે.એન.સિંહ, વરિષ્ઠ સચિવશ્રીઓ, વિધાનસભાના દંડકશ્રી અને ગાંધીનગરના નગરસેવકો તથા આમંત્રિતો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતાં.