ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 21 નવેમ્બર 2016 (15:02 IST)

કચ્છના રણોત્સવના બૂકિંગને ફટકો મોટાભાગના ટેન્ટ્સ ખાલીખમ

કેન્દ્ર સરકાર દ્વારા રૃ. ૫૦૦ અને રૃ ૧ હજારની જૂની ચલણી નોટ પર લાદવામાં આવેલા પ્રતિબંધને પગલે પ્રવાસન્ ક્ષેત્રને મોટો ફટકો પડયો છે અને તેમાંથી કચ્છ ખાતે યોજાતો રણોત્સવ પણ બાકાત રહ્યો નથી. ૧ નવેમ્બરથી શરૃ થયેલા રણોત્સવમાં આ વખતે  દર વર્ષ  કરતા ૨૦ ટકાથી ઓછું બૂકિંગ થયું છે.  ૨૦ ફેબુ્રઆરી સુધી યોજાનારા રણોત્સવમાં એક રાત-બે દિવસના પેકેજની કિંમત રૃપિયા ૫ હજારથી શરૃ થાય છે. આ અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર દિવાળીના વેકેશનને લીધે રણોત્સવના પેકેજ માટે શરૃઆત સારી રહી હતી અને નોંધપાત્ર બૂકિંગ થયા હતા. જોકે, ૮ નવેમ્બરે કેન્દ્ર સરકારે જારી કરેલી નોટબંદી બાદ બૂકિંગને મોટો ફટકો પડયો છે. જે લોકોએ દિવાળીના વેકેશન માટે એડવાન્સ બૂકિંગ કરાવ્યા હતા તેમણે પણ કેન્સલેશન કરાવી દીધા છે. હાલ સ્થિતિ એવી છે કે રણોત્સવમાં પ્રવાસીઓ ઓછા અને રવિવારની રજા દરમિયાન એક દિવસ માટે આવતા સ્થાનિકોનું પ્રમાણ વધારે હોય છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે 'નોટબંધીને કારણો લોકો હવે તેમાં જ વ્યસ્ત રહે તે સ્વાભાવિક છે. આ ઉપરાંત મોટી નોટના ચલણના અભાવે લોકો હાલ કરસકસર તરફ વળ્યા છે. જેના લીધે હાલ રણોત્સવના  મોટાભાગના ટેન્ટ્સ ખાલીખમ જ જોવા મળી રહ્યા છે. સ્થિતિ થાળે પડશે તેમ સફેદ રણ જોવા માટે સહેલાણીઓની સંખ્યા વધવા લાગશે તેવો આશાવાદ છે.