શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 27 સપ્ટેમ્બર 2014 (11:45 IST)

સાંસદ વિઠ્ઠલભાઇએ પોતાની વિધવા પુત્રવધુનાં પુનઃ લગ્ન કરાવી 100 કરોડની મિલ્કત કરિયાવરમાં આપી

આજના પ્રવર્તમાન સમાજમાં કજીયા, કંકાશ, મિલ્‍કતોના ઝગડા, સાસરે આવતી પુત્રવધુને સાસરિયાનો ત્રાસ કાયમી સમસ્‍યાઓ બની ગઇ છે ત્‍યારે પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાએ પુત્રવધુને પોતાની પુત્રી સમજતા આ મૂઠી ઉંચેરા માનવીએ સમાજને એક નવી દિશા આપવા જે નિર્ણય કર્યો છે તે અગાઉના કોઇ રાજા રજવાડીયોએ પણ નથી કર્યો આ સામાજિક ઘટના લોકો વર્ષોવર્ષ યાદ રાખશે.

વિઠ્ઠલભાઇ રાદડીયાએ વિધવા પુત્રવધુના પિતા બનીને આજે ધામ ધૂમ પૂર્વક પુનઃલગ્ન કરાવ્યા છે. સ્‍વ.પુત્ર કલ્‍પેશના ભાગે આવતી આશરે ૧૦૦ કરોડની મિલ્‍કત પુત્રવધુના કરિયાવરમાં આપી છે. સ્‍વ. કલ્‍પેશ માટે સુરતમાં નવનિર્મિત કરોડો રૂપિયાનો બંગલો પણ પુત્રવધુને આજે લગ્નપ્રસંગે ભેટ આપી દીધો છે. જેતપુર તાલુકાના જાંબુડી ગામે વિઠ્ઠલભાઈના પુત્ર સ્‍વ.કલ્‍પેશની માલિકીની 200 વીઘા ખેતીની જમીન પણ પુત્રવધુ મનીષાને લગ્ન પ્રસંગે ન્‍યોછાવર કીર દીધી છે જેની ઠેર ઠેર પ્રસંશા થઇ રહી છે.

વિઠ્ઠલભાઇ રાદડીયાના પુત્ર કલ્‍પેશ (કાનો)નું તાજેતરમાં અવસાન થતા નાની વયે તેમના પત્‍નિ મનીષા વિધવા બન્‍યા સ્‍વ.કલ્‍પેશ 5 વર્ષનો એક પુત્ર અને 3 વર્ષની પુત્રી પણ છે, આ અસહ્ય ઘટનામાં તેમના સસરા વિઠ્ઠલભાઇ રાદડીયા પિતાની ભૂમિકામાં ગં.સ્‍વ.મનીષાને પુત્રી તરીકે સ્‍વીકારીને આજે તા.26-09-2014ના રોજ જામકંડોરણાના સામાન્‍ય પરિવારના અમૃતભાઇ ચોવટીયાના પુત્ર હાર્દિક સાથે પુનઃ લગ્ન કરાવી રહ્યા છે. મનીષા અને હાર્દિક લગ્નપછી સુરતમાં નવા બંગલામાંજ સ્‍થાયી થશે.

આજે યોજાઈ રહેલા લગ્ન પ્રસંગે સ્‍વ.કલ્‍પેશના મોટાભાઇ,ગુજરાત રાજયના પ્રવાસન મંત્રી જયેશભાઇ રાદડીયા, રાજકીય મહાનુભાવો સહકારી ક્ષેત્રના આગેવાનોએ હાજરી આપી હતી.