ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 25 ઑક્ટોબર 2016 (11:59 IST)

નર્મદા ડેમની મુખ્ય કેનાલનાં ગેટ બંધ કરવા ટોળું ધસી આવ્યું, પોલીસે કરી અટકાયત

કેવડિયા ખાતે સોમવારે સવારે ડેમ વિસ્થાપિતોનું ઉપવાસ આંદોલન 101 દિવસમાં પ્રવેશતા તેઓ આક્રમક બની ગયા હતા. નર્મદા મુખ્ય કેનાલનાં ગેટ બંધ કરવા 500થી વધુ અસરગ્રસ્તોનું ટોળુ ધસી જતા જિલ્લા પોલીસ તંત્ર અને ડેમ સુરક્ષા કર્મીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું. કેવડિયા પોલીસે 200 આંદોલનકારીઓની અટકાયત કરી હતી. ગત 15 જુલાઈથી નર્મદાના ત્રણ રાજ્ય ના અસરગ્રસ્તો કેવડિયા કોલોની ખાતે ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે. છેલ્લા 101 દિવસથી આ અસરગ્રસ્તો  નિગમ ની કચેરીના કમ્પાઉન્ડમાં ઉપવાસ આંદોલન પર છે છતાં તંત્ર દ્વારા આ આંદોલનકારીઓની કોઈ દરકાર ન કરાતા સોમવારે આ અસરગ્રસ્તોએ નર્મદા બંધની મુખ્ય કેનાલમાંથી ગુજરાતભરમાં જતા પાણીને અટકાવવા મુખ્ય કેનાલના  ગેટ ને બંધ કરવા કૂચ કરી હતી.અસરગ્રસ્તોનું 500 થી વધુનું ટોળુ ગેટ બંધ કરવા જીરો પોઇન્ટ એચ.આર.પાસે પહોંચી જતા પોલીસે અટકાવતા એક તબક્કે ઘર્ષણ સર્જાયુ હતું. પોલીસ અને એસઆરપી જવાનો સાથેના સંઘર્ષ બાદ આ કોશિશ અસફળ રહી અને પોલીસે આ આંદોલનકારીઓ ને  કેનાલ પરથી પાછા વાળ્યાં હતા. કેવડિયા પોલીસ મથકે અટકાયત કરી 200 આંદોલનકારીઓને લઇ જવાતા અસરગ્રસ્તોએ ગાંધીનગરથી સરકારને અમને બહાર કાઢવા બોલાવોનો સૂર વ્યકત કરી પોતે પોલીસ સ્ટેશનમાંથી બહાર જવાનો નન્નો ભણ્યો હતો. બીજી તરફ ત્રણેય રાજયોનાં અસરગ્રસ્તોને કેવડિયા બોલાવી લઇ આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી. પોલીસની કલાકોની જહેમત માંડ મોડી સાંજે માંડ માંડ મામલો થાળે પડ્યો હતો.