શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 19 જુલાઈ 2014 (13:07 IST)

ઇદનાં દિવસે અમદાવાદમાં સાબરમતી નદીની મહાઆરતીનું આયોજન

હરિદ્વાર અને વારાણસીમાં ગંગા મૈયાની રોજ મહાઆરતી થાય છે તેવી જ રીતે અમદાવાદમાં પણ સાબરમતી નદીની મહાઆરતી કરવાનું નક્કી થયા બાદ હવે સંભવત: તા. ૨૯મી જુલાઇએ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના હસ્તે મહાઆરતીના શ્રી ગણેશ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મનપા અને ભગવાન જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

અષાઢ મહિનાની બીજની રથયાત્રા ટાણે શ્રી જગનન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ગંગા આરતીની તર્જ પર અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીની પણ મહાઆરતી કરવાની યોજના તૈયાર કરવામાં આવી હતી જેને લાંબા સમય સુધી આખરી ઓપ આપ્યા બાદ હવે તેનો અમલ કરવાની પણ તૈયારી શરૂ કરવામાં આવી છે. નદી પરના સરદાર બ્રિજ પાસેના સોમનાથ ભૂદરના તટ પર આ મહાઆરતીનું આયોજન કરવામાં આવશે. ૨૯મી જુલાઇના રોજ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ તેનો શુભારંભ કરાવશે. આ મહાઆરતીનું સંચાલન જગન્નાથ મંદિર દ્વારા કરવામાં આવશે, યોગાનુયોગે ૨૯મી જુલાઇની શ્રાવણી બીજના દિવસે મુસ્લિમ સમાજના ઇદ પર્વની પણ ઉજવણી થવાની છે. જો કે આ મહાઆરતીમાં સૌનો સાથ લેવામાં આવશે. આરતી પૂર્વે એકતા સમિતિની બેઠક પર થશે અને કોમી સદભાવ વચ્ચે આ મહાઆરતી થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આરતીમાં રાબેતા મુજબ ભાગ લઇ શકાશે.