મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ઈશરત એન્કાઉટર વિશે મોદીને અગાઉથી માહિતી હતી - તહેલકાનો તહલકો

P.R

ઈશરત જહા એનકાઉંટર મામલે ગુજરાતના મુખ્યમંત્રી મોદી અને તેમના નિકટસ્થ અમિત શાહની મુશ્કેલીઓ વધી શકે છે. તપાસ એજંસી સીબીઆઈએ મોદી અને અમિત શાહ પર શિકંજો કસવાની તૈયારી કરી લીધી છે. માહિતી મુજબ સીબીઆઈ પોતાની ચાર્જશીટમા અમિત શાહનુ નામ નાખી શકે છે, મતલબ તેમને આરોપી બનાવી શકે છે. સૂત્રોના હવાલાથી માહિતી મળી રહી છેકે આ બાબતે કેટલાક પોલીસોના નિવેદનને આધાર બનાવવામાં આવ્યો છે.

આ ખુલાસો તહેલકા નામની એક મેગેઝીન વેબસાઇટ દ્વારા આજે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આ ધડાકો કર્યો છે. આ મેગેઝીન મુજબ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ બાબતથી સારી રીતે માહિતગાર હતા કે ગુજરાત પોલીસ દ્વારા એક મહિલા સહિત ચાર જણાને એન્કાઉન્ટરમાં મારી નાંખવાનું ષડયંત્ર રચાયું છે. એક ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તપાસ એજન્સી સીબીઆઇને આ પ્રકારની માહિતી આપવામાં આવી છે કે તેમણે આઇબીના એ વખતના ઉચ્ચ અધિકારી રાજીન્દર કુમાર અને આઇપીએસ અધિકારી ડી. જી. વણઝારાની આ પ્રકારની વાતચીત કરતાં સાંભળ્યા હતા. સીબીઆઇ 4થી જુલાઇએ આ કેસમાં ચાર્જશીટ રજૂ કરવા જઇ રહી છે ત્યારે ચાર્જશીટમાં મોદી અંગેનો ઉલ્લેખ થવાની શક્યતા છે પરિણામે ભારે રાજકીય ખળભળાટ મચી જાય તો નવાઇ નહી.

પ્રાપ્ત માહિતી અનુસાર તહેલકા મેગેઝીન વેબસાઇટમાં આજે જાહેર કરવામાં આવ્યું હતું કે ઇશરત એન્કાઉન્ટરની મોદીને અગાઉથી જાણ હતી જ. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 164 હેઠળ મેજીસ્ટ્રેટ સમક્ષ એવી જુબાની આપી છે કે તેમણે આઇબી ઓફીસર રાજીન્દર કુમાર અને વણઝારાને એવી વાતચીત કરતાં સાંભળ્યા હતા કે જેમાં બન્ને એમ વાત કરી રહ્યા હતા કે સફેદ દાઢી અને કાળી દાઢીએ ચાર લોકોને મારી નાંખવાની મંજૂરી આપી છે. તહેલકાનો દાવો છે કે આ સફેદ દાઢી કોડવર્ડ મુખ્યમંત્રી મોદી માટે અને કાળી દાઢી કોડવર્ડ તત્કાલીન ગૃહરાજ્યમંત્રી અમિત શાહ માટે આ અધિકારીઓએ ઉપયોગમાં લીધો હતો. મોદી તે વખતે ગૃહવિભાગનો હવાલો સંભાળતા હતા. આજે પણ તેઓ ગૃહવિભાગનો હવાલો સંભાળે છે. સીબીઆઇએ ચાર્જશીટ રજૂ કરતી વખતે અદાલતને એવી રજૂઆત કરવાનું નક્કી કર્યું છે કે જે એક પોલીસ અધિકારીએ મેજીસ્ટ્રેટ સમક્ષ આ નિવેદન આપ્યું છે તેના આધારે તેઓ આ સમગ્ર ષડયંત્રમાં મોદીની ભૂમિકાને તપાસવા માંગે છે અને તેની મંજૂરી માંગશે. જો સીબીઆઇ તે વખતે આ પ્રકારની માંગણી કરે તો રાજકીય ક્ષેત્રે તેના મોટા પડઘા પડવાની પુરેપુરી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

સીબીઆઇ આ ચાર્જશીટમાં આઇબી ઓફિસર કુમારને આરોપી તરીકે દર્શાવશે. સીબીઆઇ પાસે 21 એવા પુરાવા છે કે જેમાં 14 આઇપીએસ અધિકારીઓ સહીત અન્ય લોકોએ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદનો આપ્યાં છે. સીબીઆઇ એવો પણ દાવો કરશે કે ઇશરતનો સાથી પ્રણેશ પીલ્લઇ ઉર્ફે જાવેદ અહેમદ શેખ વાસ્તવમાં આઇબી ઓફીસર રાજીન્દર કુમારનો બાતમીદાર હતો. અને રાજીન્દર કુમારે તેને અન્ય બે વ્યક્તિઓ સાથે સંબંધ બનાવવા પ્રોત્સાહિત કરીને તેમને ગુજરાત બોલાવ્યા હતા. તહેલકાએ અગાઉ સીબીઆઇના હવાલાથી એવો દાવો કર્યો હતો કે આઇબી ઓફિસર રાજીન્દર કુમારને જાણ હતી કે ઇશરત અને તેના સાથીઓ એન્કાઉન્ટર પહેલા ગુજરાત પોલીસની પાસે ગેરકાયદે કસ્ટડીમાં હતા અને એન્કાઉન્ટર પહેલા તેઓ પોતે ઇશરતને મળ્યા હતા. આશ્ચર્યજનક રીતે તહેલકાએ આજે જે માહિતી આપી છે તેમાં જીએલ સિંઘલ દ્વારા ગુપ્ત રીતે ટેપ કરાયેલી વાતચીતમાં બે મંત્રીઓના નામો જાહેર કર્યા છે જેમાં રાજ્યકક્ષાના મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના નામ છે. જો કે જી એલ સિંઘલે નવેમ્બર 2011માં ઓડીયો ટેપ રેકોર્ડ કરવાનો દાવો કર્યો છે પરંતુ નવેમ્બર 2011માં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા રાજ્ય સરકારમાં મંત્રી નહોતા. 2007ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ધોળકા બેઠક પરથી હારી ગયા હતા. ડીસેમ્બર-2012માં તેઓ ફરીથી જીત્યા હતા અને હાલમાં શિક્ષણ અને કાયદામંત્રી છે.