ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2015 (16:13 IST)

એએમટીએસની દરરોજ ઓછામાં ઓછી ૭૯ બસ રસ્તા પર ખોટવાઈ જાય છે

અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસની એક ઓળખાણ નાગરિકોમાં 'લાલ બસ' તરીકેની છે. જોકે 'લાલ બસ'ના મામલે હવે તો એએમટીએસની હાલત સાપ ગયા અને લિસોટા રહ્યાની જ છે. જ્યારે બસને એકદમ 'રફ' સ્પીડમાં હંકારતા ડ્રાઈવરોને લીધે ઉતારુઓમાં એએમટીએસ અમદાવાદ માથાફોડ ટાંટિયાતોડ સર્વિસ એવી અળખામણી રીતે પણ જાણીતી છે. જોકે સતત રસ્તા પર એક અથવા બીજા કારણસર અધવચ્ચે બંધ પડતી બસને કારણે એએમટીએસ સર્વિસ લોકોમાં અમદાવાદ મ્યુનિસિપલ બ્રેકડાઉન સર્વિસ તરીકે કુખ્યાત બની છે.

દાયકાઓ પહેલાં એએમટીએસની ખ્યા‌િત દેશભરમાં ફેલાયેલી હતી. શહેરની બસ સર્વિસ સેવાનો અભ્યાસ કરવા દૂર દૂરના રાજ્યના પ્રતિનિધિમંડળ અમદાવાદ  આવતા અને 'લાલ બસ'ની લોકપ્રિયતા, સમયપાલન, સ્વચ્છતા અને શિસ્તને જોઈને અચંબિત થતા હતા, પરંતુ કાળક્રમે એએમટીએસ ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બન્યું.

શહેરના જે વિસ્તારમાં બિલ્ડર સ્કીમ મૂકે ત્યાં બિલ્ડરોના લાભાર્થે બસ દોડવા લાગી? શિસ્તબદ્ધ સ્ટાફમાં યુનિયનબાજીના જાળાં બાઝ્યાં! વર્કશોપમાંથી નકલી સ્પેરપાર્ટ્સ પકડાવા લાગ્યા! ડીઝલ ચોરીના બનાવ વધ્યા! બસનો 'લાલ રંગ' પણ ભૂંસાઈ ગયો! એક તબક્કે તો એએમટીએસને બંધ કરવા માટેના તાળા પણ મંગાવી લેવાયાં!

તેમ છતાં મરવાના વાંકે શહેરમાં એએમટીએસ દોડી રહી છે. હાલના શાસકો નધણિયાતી બનેલી એએમટીએસ પર લગામ કસવાના પ્રયાસ કરી રહ્યા છે. જે નિષ્ફળ નિવડતા એએમટીએસમાં દૈનિક ખોટનું પ્રમાણ વધ્યું છે! આની સાથે સાથે એમએમટીએસ બસના બ્રેકડાઉનનું પ્રમાણ પણ વધ્યું છે!

છેલ્લે મળેલી એએમટીએસની ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં ખુદ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા બ્રેકડાઉન બસની સંખ્યાના મામલે રજૂ કરાયેલો રિપોર્ટ ભારે ચોંકાવનારો છે. ખુદ સત્તાવાળાઓએ રિપોર્ટમાં એવી કબૂલાત કરી છે કે દરરોજ ઓછામાં ઓછી ૭૯ બસ રસ્તા પર ખોટવાઈ જાય છે! અનેક વખત ઉતારુઓને બસમાંથી ઊતરીને બસને ધક્કા મારવા પડે છે તેમ છતાં બસ ચાલતી નથી!