શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 27 ઑગસ્ટ 2014 (16:38 IST)

ગાંધીજીનાં ગુજરાતમાં હથિયારો રાખવાનાં શોખ વધ્યા

ગુજરાતમાં સ્વરક્ષણ માટે હથિયારો રાખવાનો ક્રેઝ વધતો જાય છે. કેટલાક કિસ્સાઓમાં તો માત્ર શોખ ખાતર પણ હથિયારો રખાતા હોય છે. નાગરીકોના જાનમાલની રક્ષા માટે સરકાર પણ તેમને આ અંગેના પરવાના આપતી હોય છે. ચાલુ વર્ષે મે માસ સુધીમાં આવી કુલ ૭૪૬ અરજીઓ આવી હતી. ગત વર્ષની ૬૯૩ પડતર અરજીઓ મળીને કુલ ૧,૪૩૯ માંથી ૫૪૧ અરજીઓનો નિકાલ કરાયો નથી.ચાલુ વર્ષે સુરત શહેરમાં સૌથી વધુ ૫૭ અરજી આવી છે. બીજી બાજુ ચાલુ વર્ષે આ જ સમયગાળા દરમિયાન ગેરકાયદે હથિયાર રાખવાના કુલ ૨૭૮ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા હતા જેમાં ૩૪૦ ઘાતક હથિયારો સાથે ૩૭૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

રિવૉલ્વર, પિસ્તોલ અને રાઇફલ સહિતના હથિયારો નાગરીકોએ સ્વરક્ષણ માટે રાખવા હોય તો તેમને આર્મ્સ એક્ટ ૧૯૫૯ અને આર્મ્સ રૃલ્સ ૧૯૬૨ની જોગવાઇ મુજબ પરવાનગી અપાતી હોય છે.તે માટે જેતે પોલીસ કમિશનર અને ડીએસપીને અરજી કરવાની હોય છે.નિયમાનુંસારની ચકાસણી બાદ તેમને હથિયાર ધારણ કરવાનું લાઇસન્સ આપવામાં આવતું હોય છે.
ચાલુ વર્ષે મે માસ સુધીમાં કુલ ૫૭૫ અરજી આવી હતી.જેમાંથી ૫૪૧ અરજીઓ હજુ પેન્ડિંગ પડી છે.જેની ચકાસણી થઇ નથી.જામનગર જિલ્લામાં સૌથી વધુ ૯૮ અરજીઓ પડતર પડી છે.

હથિયારોના પરવાના આપવાની ગતી ખૂબજ મંદ હોવાથી અરજી કરનારે ભારે હાલકી સાથે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હોય છે.પરવાના રિન્યુ કરવાના કેસમાં પણ આ પ્રકારની હેરાનગતી ભોગવવી પડતી હોવાની બૂમ ઉઠવા પામી છે.
બીજીબાજુ પાક સંરક્ષણ માટે પણ હથિયારોના પરવાના અપાતા હોય છે.જેમાંથી ચાલુ વર્ષે કુલ ૧૬૨ અરજી આવી છે.પાટણમાંથી સૌથી વધુ ૬૪ અરજી આવી છે બીજાક્રમે અમરેલીમાંથી ૩૨ અરજી આવી છે.પાક સંરક્ષણ અંગેની કુલ ૧૬ અરજી પડતર રહેવા પામી છે.