શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 28 નવેમ્બર 2014 (10:20 IST)

ગુજરાતમાં પાંચ વર્ષમાં બળાત્કારના ૨૨૩૩ બનાવો

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં બળાત્કારના ૨૨૩૩ બનાવો બન્યા છે અને દર વર્ષે બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. બીજી બાજુ ધર્મ આધારિત મતોનું ધ્રુવીકરણ શક્ય છે એવા કિસ્સામાં ભાજપ, વીએચપી, આરએસએસ તૂટી પડે છે અને મતોની ખેતી કરે છે. સુરતના રાંદેર વિસ્તારમાં બળાત્કારની બનાવટી ફરિયાદમાં લઘુમતી સમાજના ૫૦ જેટલા નિર્દોષ યુવાનોને ફીટ કરી દેવાની કાર્યવાહીમાં ભાજપના કોણ કોણ પદાધિકારીઓ સંડોવાયા હતા તેની તપાસ માટે ગુરુવારે (આજે) સુરતના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે, તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું, કે, ભાજપ સરકારે દરેક જગ્યાએ આવા બનાવોની સીધી આગેવાની લઈને વૈમનસ્ય ઊભું કર્યું છે. ઉત્તરપ્રદેશ, બિહારમાં લવજેહાદના નામે ઉહાપોહ કરીને ભાજપ, આરએસએસ સાથે સંકળાયેલા હિન્દુ સંગઠને સખત બૂમો પાડી હતી પણ ન્યાયીક તપાસમાં સમગ્ર મામલો અલગ નીકળતા બૂમો પાડનારા સંગઠનો ચૂપ થઈ ગયા હતા. ગુજરાતમાં સુરત, વડોદરા, દાહોદ, રાજકોટ સહિત અનેક જગ્યાએ સામૂહિક બળાત્કારની જઘન્ય ઘટનાઓ બની પણ ભાજપ સરકારે સંપૂર્ણપણે મહિલાઓને ન્યાય મળે તે દિશામાં કોઈ નક્કર કામગીરી કરી નહીં અને સામાન્ય ઘટનાની જેમ જ પોલીસ તંત્રએ કામગીરી કરી. રાજ્યમાં બળાત્કારના વધતા જતા કિસ્સાઓમાં રાજ્ય સરકાર કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહી છે જ્યારે બીજી બાજુ સુરતની ઘટનામાં બનાવટી ફરિયાદ પાછળ કાવતરામાં કોણ કોણ સામેલ હતુ તેની તપાસ થવી જોઈએ. આ સંદર્ભે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે.

થોડા દિવસ પૂર્વે સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી પટેલ પરિણીતાએ મુસ્લિમ જ્ઞાતિના ૫૦ જેટલા લોકો સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જે હકીકતમાં ખોટી પુરવાર થઈ છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા કરનાર પતિએ દબાણ કરી પરિણીતા પાસે બળાત્કારની ખોટી ફરિયાદ કરાવડાવી હતી. હિન્દુ પરિણીતા પર વિધર્મીઓના બળાત્કારની ફરિયાદ થતા હિન્દુ સંગઠનો લવજેહાદના નામે રસ્તે ઊતરી આવ્યા હતા. કોંગ્રેસે આ પ્રકરણનો વિરોધ કર્યો હતો.