મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 2 મે 2015 (17:08 IST)

દક્ષિણ ગુજરાતમાં અક્કલકુવાના જંગલમાંથી એલિયન પરિવાર મળ્યો

એલિયન એટલે કે પરગ્રહવાસીઓ હંમેશનું કુતૂહલભરી ચર્ચાનો વિષય બની રહ્યા છે. પૃથ્વી સિવાયના ગ્રહો ઉપર જીવન છે કે કેમ એનું કોઇ પ્રમાણ હજુ વિજ્ઞાન મેળવી શક્યું નથી છતાં તે પ્રસંગોપાત ચર્ચામાં આવતાં રહે છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કંઇક આવી જ ચર્ચાએ જોર પકડયું છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં એલિયન પરિવારની ખાસ્સી ચર્ચા જામી છે.

અક્કલકુવાના જંગલમાંથી એલિયન પરિવાર મળ્યો છે અને એને સરકારે અભ્યાસ માટે આઇસોલેટ કર્યાની વાત સાથે તસવીરો પણ શેર અને ફોરવર્ડ કરવામાં આવી રહી છે. એલિયનના ફોટા અને તેની ડિબેટ સોશિયલ મીડિયામાં રીતસર વાયરલ બની છે.

એલિયનને લઇ સામાન્ય માનવીઓની સમજણ ખૂબ ટૂંકી છે. આદિ અનાદિ કાળથી ચાલી આવતી દેવ-દાનવોની વાતને પરગ્રહ ઉપર જીવન સાથે જોડી દઇ તેના અસ્તિત્વનો સ્વીકાર કરનારો ઘણો મોટો વર્ગ છે. જો કે, ખગોળ વિજ્ઞાનીઓ હજુ સુધી એલિયનના અસ્તિત્વને પ્રમાણિત કરી શક્યા નથી. જો અને તો વચ્ચે ચાલી આવતી આ પરગ્રહવાસીઓની ચર્ચાએ હાલ દક્ષિણ ગુજરાતમાં ફરી જોર પકડયું છે.

છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા ઉપર એલિયન પરિવારના ફોટોગ્રાફ્સ ફરી રહ્યા છે. એક તસવીર નર-માદાની જોડીની છે, તો બીજી તસવીરમાં માદા તેના ત્રણ સંતાનોને ખોળામાં સંતાડી હૂંફ આપતી નજરે પડે છે. મજાની વાત એ છે કે આ એલિયન પરિવાર મહારાષટ્રના નંદુરબાર અને અક્કલકુવા વચ્ચે આવેલા જંગલ વિસ્તારમાંથી મળ્યાની વાત પણ ફોટોગ્રાફ્સ સાથે ફોરવર્ડ કરવામાં આવી રહી છે.

આ એલિયન પરિવારને હાલ સરકાર દ્વારા અજાણ્યા સ્થળે સુરક્ષિત રાખવામાં આવ્યું છે. માનવ જેવો જ ચહેરો-મહોરો ધરાવતા પરગ્રહવાસીઓને નિષ્ણાતોના ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. તેઓ વચ્ચેના વ્યવહારો, બોલચાલની ભાષા ઉપર સંશોધન કરવામાં આવી રહ્યાની વાતોએ સોશિયલ મીડિયામાં જોર પકડયું છે. આધાર વિનાના હોવા છતાં લોકો કુતૂહલવશ આ ફોટોગ્રાફ્સ મેળવી, જોઇને ફોરવર્ડ કરી રહ્યા છે.