શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 30 જુલાઈ 2014 (12:18 IST)

નર્મદા ડેમ પાણીથી છલકાય તે પહેલા પર્યટકોથી ઊભરાયો

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ ખાતે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવક ચાલુ રહેતા ડેમમાં નર્મદા નીરનું જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. ડેમ છલકાવાને આડે લગભગ એક મીટરનું અંતર રહ્યું હોવાથી આગામી ૪૮ કલાકમાં સરદાર સરોવર ડેમ છલકાઈ જશે. તેવા ઉજળા સંકેતો મળ્યા છે. કેવડિયા સ્થિત સરદાર સરોવર ડેમ સાઈટ ખાતેના મંગળવારે સવારે ૧૦ વાગે ડેમસાઈટ ખાતે નર્મદાજળની સપાટી ૧૨૦.૭૭ મીટર નોંધાઈ હતી. તે સાંજે ૬ વાગે વધીને ૧૨૦.૮૨ મીટર થઈ હતી. જ્યારે ડેમ સાઈટ ખાતે છલતી સપાટી ૧૨૧.૯૨ મીટર હોવાથી ડેમ ઓવરફ્લો થવા માટે ૧.૧૦ મીટરની સપાટી બાકી રહી છે. નર્મદા ડેમ સાઈટ ખાતે સાંજે ૬ વાગે પાણીની આવક ૬૯૩૭૭ ક્યુસેક હતી.


જ્યારે પાણીની જાવક ૫૧૪૧૮ ક્યુસેક થઈ છે. હાલ નર્મદા ડેમ સાઈટ ખાતે ૬ ટર્બાઈન શરૂ કરવામાં આવતા કલાકે ૧૮૫ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. નર્મદા ડેમ સાઈટ ખાતે પાણીની આવકમાં ધીમો ઘટાડો થવાથી સપાટી સ્થિર થઈ રહી હોવાથી ઉપરવાસમાં આગામી ૪૮ કલાકમાં વરસાદ પડે તો ડેમસાઈટમાં પાણીની આવક વધી શકે તેમ છે. આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હોવાથી સરદાર સરોવર ડેમ ગણતરીના કલાકોમાં છલકાઈ જાય તેવા એંધાણ છે.

સરદાર ડેમ છલકાઈ જાય તેની કાગડોળે પર્યટકો રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન વડોદરા શહેરના માથા પરથી પૂરનું સંકટ દૂર થઈ ગયું છે. વિશ્ર્વામિત્રી નદીની સપાટી ઘટીને ૧૪.૬૦ ફૂટ નોંધાઈ હતી. જ્યારે આજવા સરોવર ખાતે જળસપાટી ૨૧૧.૮૦ ફૂટે સ્થિર થઈ છે. વડોદરા શહેરમાં મંગળવારે સમગ્ર દિવસ દરમિયાન એક ઇંચ, ડભોઈમાં દોઢ ઈંચ, કરજણમાં અડધો ઈંચ, વાઘોડિયામાં અડધો, સાવલીમાં પોણો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે ભરૂચના વાગરામાં ૩૦ મિ.મી. હાંસોટમાં ૧૧ મિ.મી વરસાદ પડ્યો હતો.