પાટીદારોને કારણે આનંદીબેન રાજકોટ ક્રિકેટ મેચ જોવા નહી જાય
18 ઓકટોબરે રાજકોટમાં ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી ડે-નાઇટ મેચમાં મેકિસમમ પાટીદારો હાજર રહે અને એ દરમ્યાન અનામતની તરફેણ કરે એવી જાહેરાત હાર્દિક પટેલે માત્ર એ ઇરાદે કરી કે એ મેચમાં ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ હાજર રહેવાનાં હતાં, પણ ગઇકાલે આનંદીબહેન પટેલે પોતે આ મેચમાં હાજર નહીં રહે એ સંદર્ભેનો મેસેજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને આપી દીધો છે. આનંદીબહેન પટેલ પહેલી વખત કોઇ ક્રિકેટ મેચમાં હાજર રહેવાનાં હતાં, પણ પાટીદારો દ્વારા વિરોધ થવાનો હોવાથી તેમણે આ મેચમાં હાજર રહેવાનું ટાળી દીધું છે.
આનંદીબહેને લીધેલા આ નિર્ણયથી હાર્દિક પટેલે નક્કી કરેલા પ્રોગ્રામમાં કોઇ ચેન્જ થવાનો નથી. હાર્દિક પટેલે કહયું હતું કે ‘રાજકોટની મેચમાં પાટીદારો અનામતની માગણી કરવા માટે હાજર રહેશે એ નકકી છે. માત્ર દક્ષિણ ગુજરાતથી પાંચેક હજાર પાટીદારો આ મેચ જોવા માટે રાજકોટ પહોંચશે. મેચ અમારા માટે અધિવેશન સમાન હશે.'