પ્રજાનો કેન્દ્ર સરકાર પ્રત્યેનો ભ્રમ ભાંગી ગયો - ગુજરાત પ્રદેશ કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની પ્રદેશ કારોબારીની મીટીંગ આજે પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાધેલાની ઉપસ્થિતિમાં મળી હતી. અર્જુન મોઢવાડીયાએ કારોબારીને સંબોધતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સભ્ય નોંધણી ઝુંબેશના ભાગરૂપે ડિસેમ્બર ૨૦૧૪ના અંત સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
પક્ષના ગમે તેવા વરિષ્ઠ આગેવાન હસે તો પણ તેઓએ સભ્યો નોંધી પોતાના વિસ્તારમાંથી ડેલીગેટ તરીકે આવવું પડશે. પ્રદેશ ડેલીગેટ તરીકે ચૂંટાયેલો આગેવાન જ પ્રદેશ હોદ્દેદાર બની શકશે.
અર્જુન મોઢવાડીયાએ ભાજપ સરકાર અને આરએસએસ દ્વારા નાના કુમળા બાળકો પર જુઠ્ઠો ઈતિહાસ, જુઠ્ઠી ભુગોળ વગેરેનો વિચારધારા બદલવાનો જે પ્રયાસ થઈ રહેલ છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરવા જણાવ્યું હતું. ભાજપના નેતાઓ પોતાના બાળકો સ્વનિર્ભર અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણાવે છે અને સામાન્ય-ગરીબ વર્ગના બાળકો સરકારી શાળાઓમાં ભણે છે તો સૌ પ્રથમ ભાજપના આગેવાનોએ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ આપી અને આવા અભ્યાસક્રમ ભણાવવા જોઈએ. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાધેલાએ જણાવ્યું હતું કે આગામી પેટા ચૂંટણીઓમાં પક્ષના આગેવાનોએ જ્યાં લાગતી વળગતી હોય તે જગ્યાએ જવાબદારી સ્વીકારી કામે લાગી જવું જોઈએ. થોડા સમય પહેલા જ ઉત્તરાખંડની પ્રજાનો કેન્દ્ર સરકાર પ્રત્યેનો ભ્રમ ટુંકા ગાળામાં જ ભાંગી ગયેલ છે તે જ રીતે ગુજરાતની પ્રજા પણ મોંધવારી અને સરકારના ભ્રષ્ટાચારથી વાજ આવી ગઈ છે જેથી પ્રજા ગમે તેવા શાસકને ફેંકી દેતી હોય છે. જેથી લોકજાગળતિના કાર્યક્રમો ઝડપથી લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવા જોઈએ. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે આપણે દરમહિને કારોબારીમાં મળીએ છીએ પરંતુ પક્ષના કાર્યક્રમોની અમલીકરણની જવાબદારી ફક્ત ઉપરના નેતાઓની નહીં પણ પાયાની કક્ષાએ કાર્યકર્તાઓની પણ એટલી જ થાય છે જેથી મીટીંગોમાં થયેલ કામગીરીના અમલીકરણથી મીઠા ફળ ચાખવા મળશે. કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજકીય પક્ષોમાં સત્તા એ સેવા માટેનું ઉત્તમ માધ્યમ છે જેથી સત્તા એટલી જ જરૂરી છે પરંતુ ભાજપ ધર્મના નામે સમાજનું ધ્રુવીકરણ કરી, સમાજના ભાગલા પાડી, કોમ-કોમ, ધર્મ-ધર્મ નાત-જાતના નામે મત મેળવી સત્તા હાંસલ કરવા માંગે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, આગામી વર્ષે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નપા-મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે.