મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , સોમવાર, 31 ઑગસ્ટ 2015 (15:22 IST)

સામાન્ય બાબતે માથા પર પથ્થર ઝીંકી યુવાની હત્યા

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલી વિક્રમ મિલના કમ્પાઉન્ડમાં ગઇકાલે મોડી રાતે એક યુવકની તેના જ પડોશીએ હત્યા કરી હોવાનો ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે. મકાન ખાલી કરાવવા જેવી સામાન્ય બાબતે આ હત્યા કરાઇ હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.  ગોમતીપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.  

ઉલ્લેખનીય છેકે ગોમતીપુર વિસ્તારમાં આવેલા વિક્રમ મિલ કમ્પાઉન્ડની બાજુમાં આવેલા ધુળાભાઇ પટેલની ચાલી પાસે સંતોષનગરના છાપરાંમાં રહેતા કનુજી શંકરભાઇ ઠાકોરની ગઇ કાલે તેના જ પડોશમાં રહેતા કિશોર માણેકરાવ પંગલે 15 થી 20 કિલોનો પથ્થર મારીને ઘાતકી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મરણ જનાર કનુજી ઠાકોર અને કિશોર પંગલ બન્ને વ્યક્તિઓની સંતોષનગરના છાપરાંમાં આવેલા મકાનના મુદ્દે છેલ્લા ઘણા સમયથી તકરાર ચલાતી હતી. ગઇકાલે મોડી રાતે બન્ને વ્યકિતઓ વિક્રમ મિલના કમ્પાઉન્ડમાં ભેગા થયા હતા. જ્યાં ઉશ્કેરાયેલા કિશોરે પંગલે કનુજી ઠાકોર ઉપર ટોમી વડે હુમલો કર્યો હતો. ત્યાર બાદ કિશોરે જમીન ઉપર લોહીથી લથપથ કનુજીને 15 થી 20 કિલોની પથ્થર ઉપાડીને તેના માથે મારતાં તેનુ કાસળ  નીકળી ગયું હતું.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મરનાર કનુજીની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યારે ગોમતીપુર પોલીસે કિશોર વિરુદ્ધમાં  હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે. એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોચીને લોહી વાળો પથ્થર અને ટોમી કબજે કરીને એફએસએલ કચેરીમાં ચકાસણી માટે મોકલી આપ્યાં છે.