શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાકારક છે નાળિયેર પાણી

P.R
આદિકાળથી મનુષ્ય નાળિયેર અને નાળિયેર પાણીનો ઉપયોગ પોતાની તંદુરસ્તી જાળવવા માટે કરતો આવેલ છે. ભયંકર રોગ જેવા કે કોલેરા, ટાઈફોઈડ, જાડા, ઉલ્ટી જેવા જીવલેણ રોગોમાં નાળિયેરીનું પાણી ગ્લુકોઝની ગરજ સારે છે એ વાત જગજાહેર છે. આ ઉપરાંત જુદા જુદા પ્રકારના રોગોમાં તે સીઘુ અથવા આડકતરી રીતે ખૂબ જ ઉપયોગી છે.

કાચા નાળિયેરના પાણીમાં રહેલા પોષક દ્રવ્યો તરીકે તેમજ દવાના ઉપયોગ તરીકે ખૂબ જ અગત્યતા ધરાવે છે. તે ઉનાળામાં તાજગી અને નિરોગીપણું આપે છે. તેમાંથી ૧૦૦ ગ્રામ પાણીમાંથી ૧૭૪ કિલો કેલરી શક્તિ મળે છે.

૭થી ૮ માસના કાચા નાળિયેરીના પાણીમાં કુલ શર્કરાનું પ્રમાણ ૫થી ૬ ગ્રામ (૧૦૦ મી.લી. પાણીમાં) જેટલું હોય છે. કે જેમાં ૯૫થી ૯૭ ટકા શર્કરા પરીવર્તનશીલ હોય છે. જેમાં પોટેશીયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જે ૫૦ ટકાથી પણ વધારે કુલ ખનીજ તત્વોમાંથી હોય છે.

નાળિયેરના પાણીમાં આશરે ૦.૧થી ૦.૧૮ ટકા પ્રોટીન હોય છે. જેમાં ખાસ કરીને એલેનાઈન, ગ્લુમેટીન, એલેનાઈન, સીસ્ટીન, સેરીનનું પ્રમાણ વધારે હોય છે કે જે ગાયના દૂધ કરતા વધારે હોય છે. તેમજ તેમાં એસ્કોરબીક એસીડ ૨.૨થી ૩.૭ મી.ગ્રા./૧૦૦ ગ્રામ પાણીમાંથી મળે છે. આમ કાચા નાળિયેરમાં ક્ષારો ખૂબ જ પ્રમાણમાં રહેલ છે.

નાળિયેર પાણીમાં રહેલ પ્રોટીન, ચરબી, શર્કરા (ગ્લુકોઝ, સુક્રોઝ, ફુક્ટોજ) વીટામીન્સ (સી અને બી) એમીનો એસીડ અને ગ્રોથ હોર્મોન્સના કારણે આ પાણીનો ઉપયોગ ‘તંદુરસ્તી વર્ધક’ પીણા તરીકે તેમજ બેવરેજ અને બીજા અન્ય ખોરાક બનાવવા ઉપયોગી છે.

કાચા નાળિયેરનું પાણી ખૂબ જ તરસ લાગવામાં, ઝાડા, કોલેરા વગેરેમાં ખાસ ઉપયોગી માલુમ પડેલ છે. નાળિયેરના પાણી સાથે ફળોના રસનો ઉપયોગ વાય, ગાંડપણ જેવા રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. ડ્રોપ્સી અને મુત્રાશયમના રોગોમાં પણ તે ખૂબ જ ઉપયોગી છે.

આ ઉપરાંત ઉલ્ટી, તાવ, જોન્ડીસ, ગેસ્ટ્રોટાઈટ્રીસ, ડીહાઈડ્રેશન જેવા રોગોમાં તેનો સેલાઈન ગ્લુકોઝ તરીકે ઉપયોગ કરી શકાય છે. શરીરનું ઉષ્ણતામાન જાળવવા, હૃદયના અવયવોને મજબૂત બનાવવા અને જ્યારે સનસ્ટોક (લુ લાગવાના સમયે) થાય ત્યારે કાચા નાળિયેરનું પાણી ખૂબ જ ઉપયોગી થાય છે. કાચા નાળિયેરનું પાણી એક ટોનીક તરીકે લેવાથી યૌવન ખીલી ઉઠે છે. તે માટે એક ગ્લાસ કાચા નાળિયેરના પાણીમાં એક ચમચો મધ ઉમેરી મીક્સ કરી સસ્તા ટોનીક તરીકે ઉપયોગ કરી શકાય છે કે જેનો ઉપયોગ ‘કામોત્તેજક ઔષધ’ તરીકે વાપરી શકાય છે. મૈથુન દ્વારા થયેલ ખરાબ અસરને તાત્કાલીક નાબુદ કરે છે અને નવયૌવન બક્ષે છે.

નાળિયેરીનું પાણી રમતવીરો માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પોટેશીયમ અને શર્કરા છે. તેનો ઉપયોગ હૃદયના ઉંચા દબાણમાં તેમજ કીડનીના રોગોમાં પ્રતિકારક શક્તિ આપવામાં ખૂબ જ ઉપયોગી બને છે.

નેચરલ બ્યુટી માટેના સોપ, લોશન તથા ક્રીમ બનાવવામાં પણ ખૂબ જ ઉપયોગી છે. ખીલ અને કાળા ડાઘા દૂર કરવા માટે ફ્રેસ વોશર તરીકે ઉપયોગી છે. ચહેરા પરની ચામડીની કરચલી પડતી અટકાવવામાં, સુકી ચામડી, ચામડી ફાટી જતી અટકાવવામાં મદદ કરે છે. નાળિયેરનું પાણી, હળદર પાઉડર અને ચંદનનો પાઉડર મેળવી સૌંદર્યવર્ધક ક્રીમ બનાવવામાં ઉપયોગી થાય છે.

કાચા નાળિયેરના પાણીમાં સાયટોકાઈનીન નામનો હોર્મસ હોવાથી જેનો પેશી સંવર્ધનમાં માઘ્યમ બનાવવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. વાગેલા ભાગમાંથી લોહી વહી જતું અટકાવવામાં પણ પાણીનો અસરકારક ઉપયોગ થાય છે. કોઈ માણસ ઉપરથી પડી ગયો હોય કે અકસ્માત થાય તેવા સમય બેભાનમાંથી ભાનમાં લાવવા તથા લોહીનું પરિભ્રમણ ઝડપી બનાવવામાં નાળિયેર પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

ટુંકમાં સબ દર્દ કી દવા, સબ પીણાનું એક પીણું તે નાળિયેરનું પાણી કહી શકાય તેથી તેને કલ્પવૃક્ષના ફળનું અમૃત પણ કહી શકાય છે.