શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય લેખ
Written By
Last Updated : શનિવાર, 31 ઑક્ટોબર 2015 (14:03 IST)

કરોડરજ્જુની બિમારીથી પીડાવ છો ?

આજની બદલાતી લાઇફ સ્ટાઇલમાં શરીરની આંતરીક રચના પણ બદલાઇ રહી છે. એક સમય હતો કે, પચાસ પછી જ અમુક બિમારીઓ ઘર કરતી જ્યારે વર્તમાન સમયમાં યુવાવસ્થાથી નાની મોટી બિમારીઓને આમંત્રણ મળી જાય છે જેનું એક માત્ર કારણ અત્યારની ભાગદોડવાળી જિંદગી અને આહાર પ્રણાલી છે. 
 
શરીર એક નાજુક અંગ છે. જો તેને સાચવવામાં ના આવે તો ખાસ કરીને મણકા અને કરોડરજ્જુની અનેક બિમારીનો ભોગ માનવી બને છે. જેમાં હાલના સમયમાં ગાદી ખસી જવી, કમરની દબાતી નસ, ડોકનો દુખાવો, ચાલવાની તકલીફ, ફ્રેકચર, મણકાનુ ટીબી-કેન્સર, હાડકામાં કેન્સર જેવી અનેક બિમારીનો ભોગ લોકો બની રહ્યા છે. સ્પાઇનના દર્દો અનેક છે માત્ર નામ જુદા-જુદા હોય છે, પણ જો પાણી પહેલા જ પાળ બાંધવામાં આવે તો સ્પાઇનની સમસ્યાનો ઉકેલ લાવી શકાય.
 
 
આ અંગે વધુ માહિતી આપતા સ્ટર્લિંગ હોસ્પિટલના ડો.અમીષ સંઘવી જણાવે છે કે સૌ પ્રથમ તો લોકોએ જીવન શૈલીમાં ફેરફાર કરવો અનિવાર્ય છે. આ ઉપરાંત કામ કરવાની પધ્ધતિમાં બદલાવ આવશ્યક છે જેમ કે કમરને ટટાર રાખીને બેસવું, ઓફિસના સમયમાં કે કામ કરતી વેળાએ કમરને સપોટ આપવો, કેલશિયમ યુકત આહાર લેવો, વધુ પડતું વજન ન ઉચકવું. આ સિવાય નિયમિત જોગીંગ અને વોકિંગ કે એકસરસાઇઝને મિત્ર બનાવવા.. રોજિંદા જીવનમાં દરેક વ્યક્તિ યોગ્ય ફેરફાર લાવે તો મણકા અને કરોડરજ્જુની બિમારીથી દૂર રહી શકે.
 
જો એક વખત સ્પાઇનને લગતી બિમારી શરીરમાં ઘુસી જાય અને તેના પ્રત્યે પહેલેથીજ ધ્યાન ન આપે તો મણકા અને કરોડરજ્જુના દુખાવાથી દર્દીની જિંદગી નકર્ગિાર બની જાય છે ત્યારે આવા સંજોગોમાં સાયન્સના વિકાસના લીધે સ્પાઇન સર્જરી સરળતાથી શકય બને છે. સામાન્ય રીતે દર્દીઓ એવું વિચારે છે કે સર્જરી ન કરાવી જોઇએ પરંતુ અમુક પ્રકારના સ્પાઇન દર્દોમાં સર્જરી આવશ્યક બની જતી હોય છે. ઘણાં દર્દીઓને કરોડરજ્જુની નસ દબાઇ જવાના કારણે પગના દુ:ખાવાની તકલીફ હોય છે. તેઓને ઘરની અંદર ચાલવામાં પણ કારમી વેદના અને ખાલી ચડી જવાની તકલીફ હોય છે. આવા સંજોગોમાં મણકાના ઓપરેશનની તબીબી સલાહ આપે છે પરંતુ ઓપરેશનની સફળતા વિશેની શંકા અને નિષ્ફળ જવાના ભયને કારણે તેઓ ઓપરેશન કરાવતા ડરતા હોય છે તેથી શકય એટલા બધાજ પ્રયાસો જેમ કે દવાઓ, ફિઝિયોથેરાપી, એકયુપ્રેશર, આયુર્વેદિક, મસાજ તેમજ હાડવૈદ પણ કરાવી લીધા બાદ પણ તેમની તકલીફ દિવસેને દિવસે વધતી જતી હોય છે.
 
ઘણાં દર્દીઓ મણકા કે કરોડરજ્જુના ઓપરેશનથી ગભરાતા હોય તે કોઇ નવી વાત નથી. આજે મણકા કે કરોડરજ્જુની સર્જરી વિશે ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે જેના કારણે દર્દીને જ્યારે પણ મણકા કે કરોડરજ્જુના ઓપરેશનની વાત કરવામાં આવે છે ત્યારે તેને હંમેશા એક જ વિચાર આવે છે કે, મણકા કે કરોડરજ્જુના ઓપરેશન ન કરાવાય, કેમ કે તેનાથી જિંદગીભર પેરેલીસીસ થઇ જશે આ ગેરમાન્યતા વિશે જો ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવે તો મણકા કે કરોડરજ્જુના ઓપરેશનની સલાહ ડોકટર દ્વારા ત્યારે જ આપવામાં આવતી હોય છે જ્યારે અન્ય કોઇપણ સારવારથી દર્દીની તકલીફને મટાડવી શકય હોતી નથી. મણકા અને કરોડરજ્જુની સર્જરીની જર હોવા છતાં જો સલાહ આપ્યા બાદ પણ જો સમયસર સર્જરી ન કરવામાં આવે તો બિમારી વધવાના કારણે ઘણીવાર પેરાલીસીસ થઇ શકે તેમ હોય છે અને તેને કારણે ઘણાં દર્દીઓને પેરાલીસીસ થઇ જાય અને પરિસ્થિતિ બગડી જાય ત્યાં સુધી મોડું કરતા હોય છે અને ત્યારબાદ ઓપરેશન કરવા છતાં પણ નબળું પરિણામ મળતું હોય છે અને એટલે જ માણકા કે કરોડરજ્જુના ઓપરેશન જો યોગ્ય તબકકામાં કરવામાં આવે તો 99 ટકા સારા પરિણામો આવતા હોય છે. મણકાના કે કરોડરજ્જુના ઓપરેશનો જોખમી હોય છે એવી ગેરમાન્યતાને દૂર કરવા માટે તેમજ જાહેર જનતામાં જાગૃતતા લાવવા માટે તાજેતરમાં જ ‘એસોસિએશન ઓફ સ્પાઇન સર્જન્સ ઓફ ઇન્ડિયા’ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ‘સ્પાઇન સર્જરી સલામત છે’ એવું નિવેદન આપવામાં આવેલ છે. આ નિવેદનમાં જાહેર જનતાને સપષ્ટપણે જણાવવામાં આવેલ છે. મણકા કે કરોડરજ્જુની સર્જરીના વિરોધમાં પ્રચલિત માન્યતાઓ ખોટી છે અને તે ઓપરેશન માટે જરિયાતમંદ દર્દીઓને ગેરમાર્ગે દોરે છે. આ પ્રકારની માન્યતાઓ પ્રથમ હરોળના સંશોધનોમાં સંપૂર્ણપણે ખોટી સાબિત થઇ ચૂકેલ છે. મણકા અને કરોડરજ્જુની સર્જરી ક્ષેત્રે થયેલા હાલના સંશોધનો જણાવે છે કે ઝડપથી વિકસી રહેલી ટેકનોલોજી, અત્યાધુનિક સાધનો, સર્જનોની ઉચ્ચ તાલીમ, વિકાસશીલ પધ્ધતિઓ તેમજ સચોટ ઇન્ટ્રાઓપરેટીવ ઇમેજીંગના કારણે જોખમોનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયેલ છે. આજ કારણોસર સ્પાઇન સર્જરીની સફળતાનો દર બીજા કોઇપણ જનરલ ઓપરેશનો જેટલો જ ઉંચો છે. હાલના સંશોધનો મુજબ મણકા કે કરોડરજ્જુના ઓપરેશનોમાં પેરાલીસીસ કે નસને ઇજા થવાનો દર એક ટકાથી પણ ઓછો છે જે પેરાલીસીસના ભય વિશેની દર્દીની માન્યતાને ખોટી ઠેરવે છે અને આ પ્રકારના ઓપરેશનો સલામત છે તેનો પુરાવો રજૂ કરે છે.મણકા કે કરોડરજ્જુની મોટા ભાગની બિમારીઓને દવાથી મટાડવી શકય છે પરંતુ જ્યારે અન્ય કોઇપણ સારવાર શકય ન હોય ત્યારે જ અનુભવી અને યોગ્ય સ્પાઇન સર્જન ઓપરેશનની સલાહ આપતા હોય છે અને જો સમયસર ઓપરેશન કરવામાં ન આવે તો ઘણીવાર વધુ મોટા જોખમો ઉભા થવાનો ભય રહેતો હોય છે. ‘એસોસિએશન ઓફ સ્પાઇન સર્જન્સ ઓફ ઇન્ડિયા’ના નિવેદન અનુસાર ઓપરેશનની નિષ્ફળતાનો દર યોગ્ય અને તાલીમબધ્ધ સ્પાઇન સર્જનોના હાથમાં ભલે ઓછો હોય પરંતુ આ જ ઓપરેશન જો બિનઅનુભવી સ્પાઇન સર્જન દ્વારા કરવામાં આવે તો નિષ્ફળતાનો દર વધી શકે છે જેની જાહેર જનતાએ ચકાસણી કરી પછી જ અનુભવી સ્પાઇન સર્જન પાસે જ ઓપરેશન કરાવવું જોઇએ.
 
આજના મશીનયુગમાં કમરના દુખાવાનો દર ખુબ જ વધી ગયો છે. હાલમાં જ પ્રસિધ્ધ થયેલ ‘ગ્લોબલ બર્ડન ઓફ ડીસીઝ સ્ટડી’ સર્વેમાં કમરનો દુખાવો એ વિકલાંગનું પ્રથમ કારણ જાહેર કરવામાં આવે છે. 70 ટકાથી પણ વધારે લોકોને જીવનના કોઇ એક તબકકામાં કમર કે ડોકનો દુખાવો થતો હોય છે. લોકોના વધતા આયુષ્ય સાથે મણકા અને કરોડરજ્જુની બિમારીઓનું પ્રમાણ વધ્યું છે. જો આપણે યુવા વર્ગ નાની ઉંમરથી જ યોગ્ય જીવનશૈલી અને કામ કરવાની ઢબ વિશે જાગૃત થાય તો તેમને મોટી ઉંમરે થતી વિવિધ મણકાની બિમારીથી બચાવી શકાય છે.
સ્પાઇન સર્જરી ક્ષેત્રે હાલમાં ઝડપભેર વિકાસ થઇ રહ્યો છે. મણકા અને કરોડરજ્જુની ઇજા પામેલ દર્દીઓમાં સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશનના સંશોધનો પૂરજોશમાં ચાલી રહ્યા છે. ડો.અમિષ સંઘવી આ બાબતે જણાવે છે કે હજી પણ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન દ્વારા મનુષ્યની કરોડરજ્જુની ઇજામાં થતાં પેરાલીસીસની રીકવરી શકય બનતી જણાતી નથી. ખૂબ દુ:ખ સાથે તેઓ જણાવે છે કે ઘણા ડોકટરો દ્વારા ખોટી આશા જગાડી સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપરેશનો કરવામાં આવી રહ્યાં છે જે યોગ્ય નથી ‘એસોસિએશન ઓફ સ્પાઇન સર્જન્સ ઓફ ઇન્ડિયા’ દ્વારા જાહેર નિવેદનમાં આ પ્રકારની સ્ટેમ સેલ ‘સારવાર’ને અનૈતિક અને ગેરકાયદેસર જણાવવામાં આવેલ છે અને સ્ટેમ સેલ સારવારને કરોડરજ્જુની ઇજાની રીકવરી માટે હજી માન્યતા મળેલ નથી તેમ જણાવાયું છે. ભવિષ્યમાં સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશનના પ્રયોગો દર્દીઓ માટે આશાનું કિરણ લાવે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.
મણકા અને કરોડરજ્જુની સર્જરી માટે હાલમાં રોબોટસનો ઉપયોગ શ થતાં ઓપરેશનની ચોકસાઇ ખૂબ વધી ગઇ છે.