શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ દેવતા
Written By વેબ દુનિયા|

કચ્છપ અવતાર

W.D
પ્રાચીન સમયની વાત છે. દેવતાઓ અને રાક્ષસોમાં મતભેદને લીધે શત્રુતા વધી ગઈ. રોજ બંને પક્ષની વચ્ચે લડાઈ થતી હતી. એક દિવસના રાક્ષસોના આક્રમણથી બધા જ દેવતાઓ ભયભીત થઈ ગયાં. તેઓ દોડતં દોડતાં બ્રહ્માજીની પાસે આવ્યાં. બ્રહ્માજીએ તેમને જગદગુરૂની પાસે જઈને પ્રાર્થના કરવા કહ્યું. દેવતાઓની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાને કહ્યું કે તમે લોકો દાનવરાજ બલીને પ્રેમથી મળો. તેમને પોતાના નેતા માનીને સમુદ્ર મંથનની તૈયારી કરો. સમુદ્ર મંથનના અંતમાં અમૃત મળશે તેને પીને તમે અમર થઈ જશો આટલુ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયાં.

ત્યાર બાદ દેવતાઓએ બલિને નેતા માનીને વાસુકી નાગનું દોરડું અને મંદરાચલને રવાઈ બનાવીને સમુદ્ર-મંથન શરૂ કર્યું. પરંતુ જેવું સમુદ્ર મંથન શરૂ થયું કે મદરાંચલ સમુદ્રમાં ડુબવા લાગ્યો તો બધા હેરાન થઈ ગયાં. અંતે નિરાશ થઈને બધાએ ભગવાનનો સહારો લીધો. ભગવાન બધુ જ જાણતાં હતાં તેથી તેમણે દેવતાઓને સલાહ આપી કે દરેક કાર્યની શરૂઆતમાં ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. તેમની પૂજા વિના કોઈ પણ કાર્ય સિદ્ધ નથી થતું. આ સાંભળીને બધા જ દેવતાઓ ગણેશની પૂજા કરવા લાગ્યાં. એક બાજુ ગણેશજીની પૂજા થઈ રહી હતી તો બીજી બાજુ ભગવાને કાચબાનું સ્વરૂપ લઈને મંદરાચલને પોતાની પીઠ પર ઉઠાવી લીધો.

ત્યાર બાદ સમુદ્ર મંથન શરૂ થયું. ઘણાં સમય સુધી મથવા છતાં પણ જ્યારે અમૃત ન નીકળ્યું ત્યારે ભગવાને સહસ્ત્રબાહુ થઈને પોતાના બંને હાથ વડે મથવાનું શરૂ કરી દિધું. તે દરમિયાન ભયંકર વિષ નીકળ્યું જેને પીને ભગવાન શીવ નીલકંઠ કહેવાયા.

આ જ રીતે કામધેનું, ઉચ્ચૈ:શ્રવા નામનો ઘોડો, ઐરાવત હાથી, કૌસ્તુભ મણિ, કલ્પવૃક્ષ, અપ્સરાઓ, ભગવતી લક્ષ્મી, વારૂણી, ધનુષ, ચંદ્રમા, શંખ, ધંવંતરિ અને અંતે અમૃત નીકળ્યું.

અમૃત માટે દેવતા અને દાનવો બંને લડવા લાગ્યાં. ત્યારે ભગવાને એવી લીલા રચી કે જેનાથી અમૃત દેવતાઓને જ મળ્યું. અમૃત પીને દેવતાઓ અમર થઈ ગયાં અને યુદ્ધમાં વિજયી બન્યાં.

વિજયી થઈને દેવતાઓ કચ્છપ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. તેમની સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાને દેવતાઓને કહ્યું જે લોકો ભગવાનને આશ્રિત થઈને કાર્ય કરે છે તે જ દેવતા કહેવાય છે. તેમને જ સાચી સુખ શાંતિ, અમૃત અને અમૃત તત્વની પ્રાપ્તિ થાય છે. પરંતુ જે અભિમાનના સહારે રહીને કાર્ય કરે છે તેમને ક્યારેય પણ અમૃતની પ્રાપ્તિ નથી થતી. આટલુ કહીને કાચબા સ્વરૂપ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયાં.