શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

હોમ ટિપ્સ : હળદર એક ફાયદા અનેક

ભારતમાં હળદરનો પ્રયોગ લગભગ દરેક ખાવામાં થાય છે. તમે પણ જાણતા જ હશો કે હળદર માત્ર રસોડામાં વપરાતો એક મસાલો નથી તે આપણા સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ બહુ ગુણકારી છે. જેમ શરદી-ખાંસીમાં તેમજ કોઇ ઘા પડ્યો હોય તો તેને ભરવા માટે હળદરનો પ્રયોગ થાય છે તેમ ત્વચાને નિખારવા માટે પણ વર્ષોથી આપણે ત્યાં હળદરનો પ્રયોગ કરવામાં આવે છે. હિન્દુ લગ્ન પ્રસંગે પીઠી ચોળવાની વિધિ તો તમને યાદ જ હશે. તેમાં પણ હળદરનો પ્રયોગ થાય છે. જોકે, આજકાલ માર્કેટમાં ઘણી એવી ક્રીમ મળતી થઇ ગઇ છે કે લોકો આ પ્રાકૃતિક તત્વનો ઉપયોગ કરતા બંધ થઇ ગયા છે. પણ અમે તમને હળદરના એવા કેટલાક ફાયદા જણાવીશું કે તમે તેનો તુરંત જ પ્રયોગ કરતા થઇ જશો.

હળદરના ફાયદા -

1. હળદર શરીર કે ત્વચા પર પડેલા પિગમન્ટેશનને દૂર કરવામાં મદદ કરે છે. તેનો પ્રયોગ કરવા માટે થોડી હળદરને વાટીને તેમાં લીંબુના કેટલાક ટીંપા મિક્સ કરો અને પછી ઇચ્છો તો તેમાં કાકડી મિક્સ કરી દો. આ રીતે કરવામાં આવતો હળદરનો પ્રયોગ તમને એક નહીં, અનેક સારા પરિણામો આપશે. જોકે, સારું રિઝલ્ટ મેળવવા માટે સતત તેનો પ્રયોગ કરતા રહેવું.

2. ચહેરા પર ખીલ થઇ ગયા હોય તો હળદરના પાવડરમાં ચંદન તથા પાણી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો અને ચહેરા પર લગાવો. આનાથી ખીલ ધીમે-ધીમે દૂર થશે. બજારમાં ખીલ દૂર કરવા માટે મળતી વિવિધ ક્રીમોની સરખામણીએ હળદર વધુ લાભદાયક છે.

3. હળદર બોડી સ્ક્રબનું કામ પણ કરે છે. બસ નાહ્યા પહેલા હળદરનો પાવડર, પાણી અને લોટની પેસ્ટ બનાવી શરીર પર ઘસો. આવું નિયમિતપણે કરવાથી તમારું શરીર ચમકી ઉઠશે અને સ્વસ્થ પણ રહેશે. જો નજીકના ભવિષ્યમાં તમારા લગ્ન થવાના છે તો આ પેસ્ટનો પ્રયોગ અત્યારથી જ શરૂ કરી દો.

4. જો ગર્ભાવસ્થા દરમિયાન તમારા પેટ પર સ્ટ્રેચ માર્ક્સ થઇ ગયા છે અને હવે દૂર નથી થઇ રહ્યા તો હળદરને દહીં સાથે મિક્સ કરી રોજ તમારા પેટ પર 5થી 7 મિનિટ સુધી લગાવેલી રાખો. આના સતત પ્રયોગથી સ્ટ્રેચ માર્ક્સ ધીમે-ધીમે દૂર થશે.

5. જેઓ પોતાના ચહેરા પરના અનિચ્છનિય વાળથી પરેશાન છે તેમણે હળદર લગાવવી જોઇએ. સતત તેના પ્રયોગથી ચહેરા પરના વાળ ઝાંખા થશે અને ધીમે-ધીમે દૂર પણ થઇ જશે.

6. જો તમારા હાથ રસોડામાં ભોજન બનાવતી વખતે દાઝી ગયા છે તો તેના પર હળદર અને એલોવીરા જેલ લગાવી દો. આનાથી બળતરા ઓછી થશે અને હાથ પર ડાઘા નહીં રહે.

7. હળદરની મદદથી દાંતને લગતી બીમારી પણ દૂર થઇ જાય છે. જો ઇન્ફેક્શન હોય તો હળદર, સિંધાલૂણ અને સરસવના તેલની પેસ્ટ બનાવો અને તેને દિવસમાં ત્રણવાર ઇન્ફેક્શન ફેલાયું હોય તે જગ્યા પર લગાવો. ત્યારપછી ગરમ પાણીથી તમારું મોઢું ધોઇ લો આનાથી તમારો રોગ દૂર થઇ જશે.

8. જો તમને સુસ્તી અને થાક લાગી ગયો હોય તો હળદર અને મધ મિક્સ કરી પીઓ. જો તમારી અંદર લોહીની ઉણપ હોય તો પણ આ મિશ્રણ તમારા માટે રામબાણથી કમ નથી.