બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. જૈન
  4. »
  5. જૈન તીર્થ સ્થળ
Written By કુ. પ્રિયંકા શાહ|

શંખેશ્વર પાર્શ્વનાથ

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સમુદાયના પવિત્ર તીર્થસ્થળો માથી એક છે. આ તીર્થ સ્થળ મહેસાણા જીલ્લાનું બીજું મહત્વનું તીર્થ સ્થળ છે. મંદિરના મૂળ ગભારામાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની ભવ્ય અને રમણીય મૂર્તિ છે. આ જિનાલય લગભગ એક હજાર વર્ષ જેટલું પ્રાચીન ગણાય છે.

14મી સદીમાં અલાઉદ્દીન ખીલજીએ આ દેરાસરનો નાશ કર્યો હતો. વિક્રમ સંવત 1155માં મહામંત્રી સજ્જન શાહે શંખેશ્વરજી મંદિર બંધાવ્યું હતું. દેરાસરમાં પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાની બાજુમાં પદ્માવતી દેવીની પ્રતિમા બિરાજમાન છે.

વિવિધ આચાર્યો આ પવિત્ર સ્થળ પર વિહાર કરતા-કરતા આવીને વસવાટ કરતા હતા. આચાર્ય શ્રી સર્વદેવસૂરિજી મહારાજ અહીં ચાર્તુમાસ વિતાવતા હતાં. શંખેશ્વર પાર્શ્વનાથજીનું આ દેરાસર બેઠી બાંધણીનું વિશાળ અને સુંદર છે. મનોહર શ્રી નેમિનાથ અને શ્રી આદિનાથની એક એક ઊભી મૂર્તિ સ્‍થાપિત છે. તેની બાજુમાં પદ્મવતી દેવીની દેરી છે.

દેરાસરની આસપાસ ધર્મશાળાઓ છે, જેમા રહેવાની ઉત્તમ સુવિધા છે. જેમા ભોજનશાળા પણ ચાલે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થ અમદાવાદથી હવાઈ મથક 125 કિ.મી. અને રેલ માર્ગે વીરમગામ થઈને લગભગ 90 કિ.મી. દૂર છે. દેરાસરમાંના સુંદર અને ભવ્ય શિલ્પ સ્થાપત્યોની દૃષ્ટિએ પણ જોવાલાયક છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ મહાતીર્થ દરેક ભાવિકો માટે મહાતીર્થ છે.