મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

'જરા યાદ કરો એ કુરબાની'

વિજય દિવસે તેઓને કેમ ભૂલી શકાય ?

W.D
W.D
''જ્યારે પણ તમે ઘરે જાઓ, ત્યારે આપણા લોકોને એ વાત જરૂર કહેજો કે, તમારી આવતીકાલ માટે અમે અમારી આજ આપી રહ્યાં છીએ.''

આજથી દસ વર્ષ પૂર્વે કારગિલ યુદ્ધમાં પોતાના પ્રાણોની આહૂતી આપનારા એ 533 શહીદોના મુખે બસ આ એક જ વાત હતી. 'ગમે તે થઈ જાય પરંતુ પાકિસ્તાની ઘૂસણખોરોને અમારા દેશના આંગણામાં ફરકવા પણ નહીં દઈએ'

આ શહીદો પૈકીનો એક જાંબાઝ સિપાહી હતો સૌરભ કાલિયા. આજે તેના મૃત્યુને દસ વર્ષ પ્રસાર થઈ ગયાં છે. કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સૈનાના આ જવાન પર પાકિસ્તાની આર્મીએ ઘણા અત્યાચાર કર્યા અને અંતે હિમાચલ પ્રદેશની પલમપુર હીલ પર તે મૃત્યુને ભેટ્યો.

22 વર્ષીય સૌરભ સાથે જાટ રેજિમેન્ટના અન્ય સૈનિકો અર્જુન રામ, ભનવર લાલ બગારિયા, ભીકારામ, મૌલા રામ અને નરેન્દ્ર સિંગ પણ હતાં જેઓનું પાકિસ્તાની સેનાએ અપહરણ કરી લીધેલું અને સતત ત્રણ સપ્તાહ સુધી શારીરિક યાતનાઓ આપ્યા બાદ તેઓની હત્યા કરી નાખી.

નવ જૂન 1999 ના રોજ કારગિલના કક્સર સેક્ટરમાં તે સમયના પાકિસ્તાનના વિદેશ સચિવ શરતાજ અજીજ એક શાંતિ વાર્તા માટે આવ્યાં ત્યારે આ શહીદોના મૃતદેહો ભારતીય સૈનાને સોંપવામાં આવ્યાં.

ખૈર આજે કારગિલ યુદ્ધમાં ભારતની જીતને દસ વર્ષ પૂર્ણ થઈ ગયાં છે. દ્રાસ સેક્ટરના ઉમ્બાલામાં આજે વિજય દિવસની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોના પરિજનો પોતાના પ્રિયજનોની કર્મભૂમિને જોવા માટે એક્ત્ર થયાં છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, આ વિજય સમારોહ ક્યાંક નામ માત્રનો તો વિજય સમારોહ નથી ને ?

કારણ કે, કાલિયા અને તેની ટીમના પાંચ સૈનિકો એવા સૈનિકો છે જેઓને હજુ સુધી ભારત સરકાર દ્વારા મરણોપરાંત શોર્ય પુરસ્કાર આપવામાં આવ્યો નથી. આ એ સૈનિકો છે જે કાળની ગર્તામાં ક્યાંક ખોવાઈ ગયાં છે. આવા અનેક સૈનિકો છે જેઓએ કારગિલ યુદ્ધમાં પોતાની શહીદી વહોરી છે પરંતુ તેઓના નામ કદી પણ સામે આવ્યાં નથી.

કાલિયાનો પરિવાર કહે છે કે, '' અમારા પુત્રને શોર્ય પુરસ્કાર મળે કે, પછી ન મળે બસ અમે તો એટલું જ ઈચ્છીએ છીએ કે, તે સમયે ભારતના વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીજી અને રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાડિસે તેઓને જે વચન આપેલું તેનું યોગ્ય પાલન ભારતની સરકાર કરે. ભાજપની સરકારના શાસનકાળમાં આ શહીદના પરિજનોને કહેવામાં આવેલું કે, ભારતીય સૈનિકોને આપવામાં આવેલી શારીરિક યાતાનાઓ અને માનવાધિકારનું ઉલ્લંઘન કરવાની પાકિસ્તાનની ભૂલને તેઓની સરકાર આંતરરાષ્ટ્રીય ફોરમમાં લઈ જશે.''

અફસોસ, સરકારો બદલાઈ અને એ વચન અધુરું જ રહી ગયું. સૌરભની માતા વિજયાને જ્યારે પોતાના પુત્રના મૃત્યુના સમાચાર મળ્યાં તો તે હાર્ટએટેકનો ભોગ બની. તબીબી સારવાર બાદ તેણે હિમાચલ પ્રદેશના કૃષિ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપંકની નોકરી છોડી દીધી અને હાલ તે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા શહીદ સૌરભની સ્મૃતિ અર્થે અપાયેલી એલપીજીને એજન્સી ચલાવી રહી છે.

W.D
W.D
સૌરભના પિતા એન. કે. કાલિયા કહે છે કે, કદાચ અમારો પુત્ર કુંભનિંદ્રામાં સુતેલા આપણા રાષ્ટ્રને પોતાના બલીદાન થકી જગાડવા માટે જ આ દુનિયામાં આવ્યો હતો. મુજાહિદ્દીનોની ઘુસણખોરી અંગે સૌપ્રથમ સમાચાર આપનારો તે ભારતીય સૈનાનો એવો સૈનિક હતો જેનું અપહરણ કરી લેવામાં આવ્યું. તેઓ કહે છે કે, અમને જે પણ મળ્યું તે બધુ અમે દાન કરી દીધું.

આજે પણ જ્યારે આ શહીદના ઘરે જઈએ તો તેમના ઘરના ચાર ઔરડાઓમાંનો એક ઓરડો સૌરભ માટે અલગ રાખવામાં આવ્યો છે જ્યાં પ્રવેશતા જ સૌરભની સ્મિતસ્ભર તસવીર આંખો સામે નજરે ચડે છે. જાણે એ કહી રહી હોય કે, 'અમે અમારુ વચન પાળ્યું. તમારા ભવિષ્ય માટે અમે અમારું વર્તમાન કુરબાન કરી નાખ્યું.''

અત્યાર સુધીમાં આ શહીદ નામે આશરે દોઢ લાખ જેટલા ઈ-મેલ અને 40,000 જેટલા લૈખિત પત્રો આ ઘરમાં આવી ચૂક્યાં છે. અહીં દરરોજ દેશ-વિદેશના અંસખ્ય લોકો આ પરિવારની મુલાકાત અર્થે આવે છે. ધન્ય છે દેશના આ જવાનો ને ! ધન્ય છે ભારતમાતાના આ વિરલાને ! ધન્ય છે.