ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

મોદી ભાઈની સાઈકલ ચાલી પમ..પમ..પમ

સાઈકલ ચલાવવી સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક વસ્તુ છે. કહેવામાં આવે છે કે, એક કલાક સાઈક્લિંગ કરવાથી તમારી 350 થી 600 ગ્રામ કેલેરી બળી જાય છે.
W.D
W.D
સાઈકલ ચલાવવાનો ફરી એક નવો ટ્રેંડ શરૂ થઈ ચૂક્યો છે જે ગરવા ગુજરાત સુધી જઈ પહોંચ્યો છે. સાઈકલ ચલાવવાથી જ્યાં એક તરફ આપનું સ્વાસ્થ્ય કુશળ રહે છે ત્યાં બીજી તરફ પર્યાવરણમાં ઓક્સિજનનું સ્તર પણ જળવાઈ રહે છે તો ત્રીજી તરફ તે આપણા ગુજરાતી ભાઈઓના પેટ્રોલનો ખર્ચ પણ બચાવે છે.


તાજેતરમાં એક સમાચાર સાભળેલા કે, ગુજરાત વિદ્યાપીઠમાં પણ હવે દરેક વિદ્યાર્થીઓ પણ પોતાના શરીરને ચુસ્ત તદુરસ્ત રાખવા માટે 'પેંડલિંગ' શરૂ કર્યું છે. વિદ્યાપીઠ માં રહેલો 'અંબર ચરખો' જે આજદિવસ સુધી સોલર પેનલ વડે ચાલતો હતો તે હવે પગ વડે ચાલવા લાગ્યો છે તેનાથી એક તરફ સોલર ઉર્જાને લગતા ખર્ચની બચત તો થઈ જ છે સાથોસાથ કાપડનું ઉત્પાદન પણ વધવા લાગ્યું છે.

ખૈર, હું અહીં ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની નહીં પરંતુ આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરવા જઈ રહ્યો છું. ગાંધીનગરમાં તારીખ 2 ઓગસ્ટના રોજ નમો (નરેન્દ્ર મોદીનું હુલામણું નામ) તમને નવા જ મિજાજમાં જોવા મળશે. કારણ કે, આ દિવસે રાજધાનીનો 45 મો જન્મદિવસ છે. આ દિવસે આપને એક એવું દૃશ્ય જોવા મળશે જેને જોઈને આપ સૌ કોઈ આશ્વર્યચક્તિ થઈ જશો, જોનારાઓને એક મિનિટ માટે વિશ્વાસ પણ નહીં આવે કે, શું આ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ છે ?

જે વ્યક્તિ ગુજરાતમાં ટાટાની નૈનો કારને લાવ્યો છે, જેનું ગાંધીનગરમાં અલગ હેલીપેડ છે, જે હમેશા બુલેટ પ્રૂફ કારોમાં ઝેડ પ્લસ સિક્યુરિટી સાથે ફરતો રહે છે તેવો આપણો આ મુખ્યમંત્રી આ દિવસે સાઈકલ ચલાવતો જોવા મળશે. છ કિલોમીટર સુધીની આ સાઈકલ યાત્રા સચિવાલયની સામે આવેલી ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમા ખાતેથી શરૂ થવા જઈ રહી છે જે જીએચ 5 સર્કલ પર આવેલા રવિશંકર મહારાજની પ્રતિભાએ પહોંચીને સંપન્ન થશે. આ યાત્રામાં માત્ર નમો એકલા નથી તેમની સાથે હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો અને ગુજરાતની જનતા પણ છે.

મોદી એકલા સાઈકલ ન ચલાવે તે માટે સમગ્ર ગુજરાતમાંથી આ યાત્રામાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં 9000 હજાર જેટલી અરજીઓ સચિવાલય ખાતે પહોંચી ચૂકી છે.

એક પ્રશ્ન લોકોના મનમાં જરૂર ઉપસ્થિત થતો હશે કે, શું મોદીજીને સાઈકલ ચલાવવાની પ્રેક્ટિસની જરૂર છે ? તો જણાવી દઉ, ના ભાઈ ના. નમોએ તો પોતાના ભૂતકાળનું પુનરાવર્તન કર્યું છે. 70 દાયકામાં મોદીએ ખુબ જ સાઈકલ ચલાવેલી. બસ ચિંતા એક જ વાતની છે કે, હાલના સંજોગોને જોતા મુખ્યમંત્રીના ઝેડ પ્લસ સિક્યુરિટી કર્મચારીઓએ આ યાત્રાના રૂટનું અગાઉથી પૂરતું નિરીક્ષણ કરીને રાખ્યું હોય.