30 ડિસેમ્બર પછી કોઈની પણ પાસે જૂની નોટ મળી આવશે તો તેના પર ભારે પેનલ્ટી
કેન્દ્રીય કેબિનેટ રદ કરવામાં આવેલ રૂ. 500 અને રૂ. 1000ની જૂની નોટ રાખવાની મર્યાદાને લઈને આજે વટહુકમને મંજૂરી આપી છે. આ વટહુકમ દ્વારા આરબીઆઈમાં માત્ર કેટલાક ખાસ કિસ્સાઓમાં જ જૂની નોટ જમા કરાવવાની મંજૂરી આપી શકાશે. આ ઉપરાંત હવે 30 ડિસેમ્બર પછી જો કોઈની પણ પાસે જૂની નોટ મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. વટહુકમ દ્વારા લોકોએ કેટલી જૂની નોટો રાખવી તેની પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે અને જો કોઈની પાસે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં જૂની નોટ મળશે તો તેના પર ભારે પેનલ્ટી લગાવવામાં આવશે. જૂની નોટ રાખવાની મર્યાદા રૂ. 10,000 સુધી નક્કી કરવામાં આવશે.
સરકારે એવું નક્કી કર્યું છે કે કોઈની પાસે રદ થયેલી 500 કે 1000ની નોટો રહે નહીં. જૂની નોટો બેન્કમાં અને પોસ્ટ ઓફિસોમાં જમા કરાવવાની 30મી ડિસેમ્બરની ડેડલાઈન નજીક છે. જો કે ત્યારબાદ આ રદ થયેલી નોટો 31મી માર્ચ 2017 સુધી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના કાઉન્ટરો પર સીધી જમા કરાવી શકાય છે.