ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 3 સપ્ટેમ્બર 2018 (11:56 IST)

હાર્દિક પટેલની વસિયતમાં કોણ છે વારસદાર, કોંગ્રેસનું હાર્દિકને સમર્થન

આમરણાંત ઉપવાસના નવમા દિવસે હાર્દિક પટેલે પોતાનું વસિયતનામું જાહેર કર્યું છે.હવે કોઈપણ ક્ષણે પોતાનું મૃત્યુ થઈ શકે છે તેવી માન્યતાના કારણે હાર્દિકે વસિયતનામું જાહેર કર્યું છે. હાર્દિકના આંદોલનકારી સાથી મનોજ પનારાએ વસિયતનામું જાહેર કર્યું છે. હાર્દિકે પોતાની સંપત્તિ પોતાના માતા-પિતા, બહેન, વતનની ગૌશાળા અને અનામત આંદોલનમાં શહીદ થયેલા 14 યુવાનોના પરિવારને આપવાનું જાહેર કર્યું છે.તેમજ ઉપવાસ દરમિયાન મૃત્યુ થાય તો પોતાના નેત્રોનું દાન કરવાનું જાહેર કર્યું છે. પોતાની સંપત્તિમાં હાર્દિક પટેલે બેંકમાં પડેલા 50 હજાર રૂપિયા, એક લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી, એક કાર અને તેમના જીવન પર લખાઈ રહેલી ‘હું ટૂક માય જોબ’ નામની બૂકમાંથી મળનારી રોયલ્ટી જાહેર કરી છે. 

પોતાના મૃત્યુ બાદ બેંકમાં રહેલા રૂ. 50 હજાર પૈકી 20 હજાર તેના માતા- પિતાને અને 30 હજાર પોતાના વતનમાં રહેલી ગૌશાળામાં આપવાનું વસિયતનામાં જણાવ્યું છે.જ્યારે કારમાંથી મળનારી રકમ, ઇન્સ્યોરન્સ પોલિસીમાંથી મળનાર રકમ અને બૂકની રોયલ્ટી તરીકે મળનાર રકમ પૈકી 15 ટકા રકમ તેના માતા- પિતાને, 15 ટકા રકમ નાની બહેનને અને બાકીની રકમ આંદોલનમાં શહિદ થયેલા 14 યુવાનોના પરિવારોને આપવાનું વસિયતનામાં લખ્યું છે.હાર્દિકનું આ વસિયતનામુ તેના આંદોલનકારી સાથી મનોજ પનારાએ જાહેર કર્યું છે.હાર્દિક પટેલના ઉપવાસને પરેશ ધાનણીનું સમર્થન મળ્યું છે. વિપક્ષનેતા પરેશ ધાનાણીએ હાર્દિક સાથે મુલાકાત કરી છે. હાર્દિક પટેલના ઉપવાસ મામલે પરેશ ધાનાણીએ ઘણા નિવેદન આપ્યા છે. જેમાં વિપક્ષનેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ભાજપ સરકાર લોકોના અવાજને દબાવે છે. ખેડૂતોને મારી નાખવાની સોપારી લીધી હોય તેવો વર્તાવ સરકાર કરી રહી છે. અધિકાર મેળવવા માટે લોકોએ આંદોલન કરવુ પડે તેવી સ્થિતિ આ સરકારે પેદા કરી છે.

અંગ્રેજના શાસનમાં પણ આંદોલનની અરજી નહોતી લેવી પડતી તેમજ આંદોલનથી આઝાદી મળી હતી. તથા સરકારને વિનંતી કે હાર્દિકની માંગણી અંગે ચર્ચા કરે તેમજ સરકાર આંદોલનને કચડવાના પ્રયાસો કરી રહી છે તે બંધ કરે. ગુજરાતમાં નાના અને સિમાંત ખેડૂતોની હાલત કફોડી છે. જેથી સરકારે સકારાત્મક અભિગમ અપનાવો જોઈએ. આંદોલકનકારીઓની વાતમાં દમ છે માટે સરકાર ડરી ગઈ છે. તેમજ ધાનાણીએ જણાવ્યું હતુ કે ખેડૂતોના દેવા માફ કરો નહીં તો ભાજપને સાફ કરો તેવા આકરા નિવેદનો કર્યા હતા. 
પોલીસને એન્ટ્રી કરાવ્યા વિના ધાનાણી હાર્દિકને મળવા પહોંચ્યા હતા. તે દરમિયાન તેમણે કહ્યુ હતુ કે આ સરકારની જગ્યા નથી. તેમજ કોંગ્રેસ MLA પ્રતાપ દુધાતે પણ હાર્દિક સાથે મુલાકાત કરી હતી. તો એક તરફ હાર્દિક પટેલના આમરાણંત ઉપવાસનો મામલો ગરમાયો છે. હાર્દિક પટેલને મળવા માટે પહોંચેલા સમર્થકો પર પોલીસે હળવો લાઠી ચાર્જ કરવો પડયો છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખી કલમ 144 પણ લાગુ કરાઈ છે. મહત્વનું છે કે હાર્દિકના સમર્થકોએ સરકાર વિરૂદ્ધ સુત્રોચાર કરતા પોલીસે સમર્થકો પર હળવો લાઠીચાર્જ કર્યો હતો.