ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 29 જાન્યુઆરી 2017 (16:35 IST)

'મન કી બાત'માં મોદીનો વિદ્યાર્થીઓને સદેશ - "સ્માઈલ મોર સ્કોર મોર"

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનાં મન કી બાતમાં વડાપ્રધાને ધો. 10 અને 12ના પરીક્ષાર્થીઓને સંબોધી બળ-હિંમત કેળવવા અને પરીક્ષાને ઉમંગ ઉત્‍સાહનો માહોલ બનાવવા અપીલ કરી   પીએમએ વિદ્યાર્થીઓને કહ્યું કે પરિક્ષાની એક ઉત્સવની જેમ ઉજવણી કરો. બોર્ડની પરિક્ષાઓ દરમિયાન સમગ્ર ઘર-મહોલ્લાઓમાં ડર અને તણાવનો માહોલ હોય છે. પરિક્ષાને એક તહેવારની જેમ મનાવો, તેમાંથી પ્લેઝર લો, પ્રેશર નહીં.


પીએમએ વિદ્યાર્થીઓને કહ્યું કે પરિક્ષા એ કોઈ જીવન મરણનો પ્રશ્ન નથી, ક્યારેક ક્યારેક આપણે પરિક્ષાઓને યોગ્ય નજરે જોઈ શકતા નથી. પરિક્ષાને સફળતા અને નિષ્ફળતા સાથે ક્યારેય જોડવી જોઈએ નહીં. પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેનના નામથી મશહૂર અબ્દુલ કલામનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે કલામ સાહેબ વાયુસેનામાં જોડાવા ગયા પરંતુ ફેલ ગયા. આમ છતાં જો તેમણે આ નિષ્ફળતાથી હાર માની હોત તો ભારતને શું આટલો મોટો વૈજ્ઞાનિક મળત ખરા?  પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી,  જીવન છે તે પરીક્ષા આવતી જ રહેશે

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી વિદ્યાર્થીઓને કહ્યું કે માર્કસ નહીં પરંતુ જ્ઞાન કામ આવે છે, માર્ક્સ પાછળ ભાગવાની જરૂર નથી. જીવનમાં સ્કિલ અને જ્ઞાન જ કામ આવશે. પીએમ મોદીએ પૂછયું કે શું ડોક્ટર પાસે જતી વખતે આપણે તેમની માર્કશીટ જોઈએ છીએ? લોકો ડોક્ટરનો અનુભવ અને જ્ઞાન જુએ છે. જો તમે માર્ક્સની પાછળ પડી જશો તો શોર્ટકટ અપનાવશો. માર્ક્સની પાછળ પડી જવાથી તમે સંકોચાઈ જશો

પીએમ મોદીએ વિદ્યાર્થીઓને સલાહ આપી કે પ્રતિસ્પર્ધા નહીં પરંતુ અનુસ્પર્ધા અપનાવો એટલે કે બીજાની સાથે નહીં પરંતુ પોતાની જાત સાથે જ સ્પર્ધા કરો. ગઈ કાલ કરતા આજે પોતાની જાતને વધુ સારી બનાવતા શીખો. સચિનનું ઉદાહરણ આપતા પીએમ મોદીએ કહ્યું કે 20 વર્ષ સુધી તેઓ પોતાની જાત સાથે અનુસ્પર્ધા કરતા રહ્યાં અને પોતાના જ વિક્રમો તોડીને નવા વિક્રમો બનાવતા રહ્યાં. પ્રતિસ્પર્ધામાં પરાજય નિરાશાને જન્મ આપે છે જ્યારે અનુસ્પર્ધામાં આત્મચિંતન થાય છે.

વડાપ્રધાને કહ્યું કે માતા પિતાએ ત્રણ વસ્તુઓ પર ભાર મૂકવો જોઈએ. સ્વીકારો, શિખવાડો અને સમય આપો. જે જેવા છે તેમને એવા જ સ્વીકાર કરો. અપેક્ષાઓ રસ્તાઓને મુશ્કેલ બનાવે છે,  આથી જે જેવા છે તેને તેવા જ સ્વીકાર કરો. સ્વીકારશો તો બોજમુક્ત બનશો.

વડાપ્રધાને વિદ્યાર્થીઓને કહ્યું કે પુસ્તકોની બહાર પણ દુનિયા હોય છે. ભણતર સાથે ખેલકૂદ પણ જરૂરી છે. પીએમએ સફળતા માટે આરામ, ઊંઘ અને ખેલકૂદને જરૂરી ગણાવ્યાં. તેમણે કહ્યું કે જે રમે છે તે જ ચમકે છે, જે ખેલે છે તે ખિલે છે. વિદ્યાર્થીઓને પરિક્ષાના તણાવથી મુક્ત થવા માટે ઊંડા શ્વાસ લેવાની પણ સલાહ આપી.