ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: મંગળવાર, 5 સપ્ટેમ્બર 2017 (11:39 IST)

હાર્દિક પટેલને જેલમુક્ત કરવા સુરતમાં પાટીદારોની મોટી રેલી યોજાશે

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓને જેલમુક્ત કરવાની માંગ સાથે વરાછા મીનીબજારથી આવનારા સમયમાં પાટીદારો વિશાળ  રેલી કાઢશે. મીનીબજાર સરદારની પ્રતિમા પાસે ૫૦૦ જેટલા ગણેશ મંડળો ભેગા થશે. ત્યારબાદ ત્યાંથી વિશાળ વિસર્જનયાત્રા કાઢી નાનાવરાછા રામજી ઓવાર પરથી બાપાને વિદાય આપશે. બપોરે ૨.૦૦ વાગ્યાના અરસામાં મીનીબજારથી શ્રીજીની વિસર્જનયાત્રા નિકળશે. જે વિસર્જનયાત્રા જેમ જેમ આગળ વધશે તેમ તેમ અન્ય મંડળો પણ જોડાતા જશે.

રાજદ્રોહના ગુનામાં હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓના જામીન થયા બાદ પાટીદાર અનામત આંદોલન મંથરગતિએ આગળ ધપી રહ્યું હતું. જોકે, હાર્દિક પટેલ,દિનેશ બાંભમણિયા સહિતના આંદોલનકારીઓ સામે ગુનો નોંધી ફરી જેલમાં મોકલી દેવાતા આંદોલનમાં નવા પ્રાણ ફૂંકાયા છે. સુરતમાં પણ આંદોલન સમિતિના કન્વીનરો દ્વારા હાર્દિક પટેલ સહિતનાઓ છોડાવવાની માંગ સાથે વિભન્ન કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે. શુક્રવારે વિઘ્નહર્તા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પણ મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આજે વિઘ્નહર્તાની વિશાળ વિસર્જનયાત્રાનું આયોજન કરાયું છે. એકસાથે વરાછા વિસ્તારના નાના-મોટા ૫૦૦થી વધુ મંડળો ભેગાં થઇને બાપાની વિશાળ વિસર્જનયાત્રા કાઢશે. આ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓને છોડાવવાની માંગ સાથે મીનીબજાર સરદારની પ્રતિમા પાસેથી વિસર્જનયાત્રા કાઢવામાં આવશે. બપોરે ૨.૦૦ વાગ્યાના અરસામાં સરદારની પ્રતિમા પાસે ૫૦૦થી વધુ ગણેશ મંડળો શ્રીજીની પ્રતિમા સાથે ભેગાં થશે. ત્યારબાદ ત્યાંથી વિવિધ વિસ્તારોમાંથી પસાર થઇને વિઘ્નહર્તાની વિસર્જનયાત્રા નાનાવરાછા રામજી ઓવારા ખાતે પહોંચશે. જ્યાં બાપાને ભાવભીની આંખે વિદાય આપવામાં આવશે. આ ઉપરાંત રૃટમાં અન્ય મંડળો પર જોડાતા થશે. પાટીદારોની વિસર્જનયાત્રાને લઇને આખા માર્ગ પર ચુસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.