ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

અમદાવાદની ઓળખ : જગન્નાથ મંદિર અને રથયાત્રા

આપણા મંદિરો ભવ્યતા અને દિવ્યતાથી શોભતા હોય છે. સંજોગની વાત છે કે અમદાવાદના ભગવાન જગન્નાથના મંદિરમાં આ બંનેનો અનોખો સમન્વય થયો છે. આમ પ્રાચીન એવું આ મંદિર આજે અમદાવાદની ઓળખ બન્યું છે.

અષાઢી બીજના દિવસે નીકળતી વિશાળ અને લાબી રથયાત્રાને લીધે સમગ્ર દેશમાં જાણીતા બનેલા અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિર મંદિરની મહત્તા ઘણી છે. ધર્મના વિશાળ વડલા તરીકે દીપી રહેલા આ મંદિરમાં ધાર્મિકતાની સાથેસાથે સામાજિક પ્રવૃતિઓ પણ વિકસી રહી છે.

મહામંડલેશ્વર મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા ભૂખ્યાને અન્ન ભાવથી સદાવ્રત ચાલુ કર્યું હતું. જ્યાં હાલમાં રોજના બે હજાર જેટલા ગરીબ, ભિખારી તથા જરૂરીયાતમંદ લોકો ભોજન લે છે. આ ઉપરાતં અહીં ગૌ-મૂત્ર આધારિત આર્યુવેદિક ઉપચાર કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે. જ્યાં રોગગ્રસ્ત લોકો સારવાર મેળવે છે.

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલું આ અદભૂત મંદિરનો ઇતિહાસ પણ અનોખો અને દિવ્ય શક્તિથી ભરેલો છે. અંદાજે સાડા ચારસો વરસ અગાઉ એક સાધુ સાબરમતીના પટમાં વિહાર કરી રહ્યા હતા. હનુમાન ભક્ત એવા આ મહાત્મા અહીં એક ઝુંપડી બનાવી તેઓ પ્રભુ ભક્તિ કરી રહ્યા હતા.

એક દિવસે તેઓ નદીના પટ ઉપર વિહરી રહ્યા હતા ત્યારે કેટલાક ડાઘુઓ રોકકળ કરતા કરતા આવી રહ્યા હતા. આ લાકોનો વિલાપ જોઇ તેમનું હ્રદય પણ દ્રવી ઉઠ્યું, પાસે તેમણે પૃચ્છા કરતાં નવયુવાનનું મોત થયાનું જાણવા મળ્યું, મૃતક યુવાનના સ્નેહીજનોને સાત્વન આપતાં મહાત્માએ કેટલાક મંત્રોચ્ચાર કર્યા અને યુવાન ઉપર પાણીનો છંટકાવ કર્યો અને તેઓ પોતાની ઝુંપડીમાં ચાલ્યા ગયા.

તેમના ગયાના કેટલાક સમયબાદ યુવાન જાણે કે ઉંઘમાંથી આળસ મરડી ઉભો થયો, આ ચમત્કાર જોઇ સૌ કોઇ ચોંકી ગયા અને મહાત્માના ચરણોમાં જઇ પ્રણામ કર્યા. આ વાત ગામમાં ફેલાતાં ગામલોકોએ મહાત્માને અહીં જ રોકાઇ જવા વિનંતી કરી.

ગામલોકોનો ભાવ જોઇ સાધુએ અહી હનુમાનજીનુ નાનકડું મંદિર બનાવ્યું અને ત્યાં રહી ગયા. સમય જતાં તેમના શિષ્ય સારંગદાસજીએ પણ પોતાના ગુરૂની જેમ જ લોકોમાં અનોખી ચાહના મેળવી અને આ વિસ્તારમાં દૂધની સમસ્યાના નિવારણ માટે ગૌ શાળા શરૂ કરી. ત્યારબાદ આવેલા નરસિંહદાસજી મહારાજ પણ સાદગીની મૂર્તિ હતા. આજનું મંદિર એ આ મહંતને આભારી છે.

W.D
એક દિવસે મહંત નરસિંહદાસજીને ભગવાન જગન્નાથજીનું સ્વપન આવ્યું, જેમાં ભગવાને એવો ઇશારો કર્યો કે, અહીં ભાઇ બળદેવ તથા બહેન સુભદ્રા સાથે મારૂ મંદિર બનાવો. આ વાત ગામલોકો સમક્ષ કરતાં સૌએ તૈયારી દર્શાવી અને પુરીના ભગવાન જગન્નાથની અમદાવાદમાં પઘરામણી થઇ. ત્યાર પછી તો આ વિસ્તારની ભવ્યતામાં ચાર ચાંદ લાગ્યા અને 1878માં શરૂ કરાયેલી રથયાત્રા આજે અમદાવાદની ઓળખ બની ગઇ છે. નીજ મંદિરમાંથી અષાઢી બીજે નીકળતી આ રથયાત્રામાં જોડાઇ શ્રધ્ધાળુઓ પોતાની જાતને ધન્ય માને છે. આ દિવસે સમગ્ર શહેર જય રણછોડ...માખણ ચોર સહિતના નાદથી ભગવાન જગન્નાથની રથયાત્રામાં રંગાઇ જાય છે......


મંદિર કેવી રીતે પહોંચશ

વિમાન દ્વારા-
અમદાવાદ એરપોર્ટ મોટા તમામ એરપોર્ટ સાથે જોડાયંલું છે. આપ દેશના કોઇપણ સ્થળે અહી આવી શકો છે. એરપોર્ટથી આપ ટેક્ષી મારફતે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરના દર્શને જઇ શકો છો.

ટ્રેન મારફત
દેશના મોટા શહેરો તથા નાના શહેરો સાથે પણ અમદાવાદ જોડાયેલું છે. અહીંના મોટા સ્ટેશન કાલુપુર આપ ઉતરી શકો છો ત્યાંથી 3 કિલોમીટરના અંતરે જ આ મંદિર આવેલું છે. આપ મણીનગર અને સાબરમતી રેલવે સ્ટેશને પણ ઉતરી શકો એ અને ત્યાંથી ટેક્ષી મારફતે કે ઓટો દ્વારા મંદિરે પહોંચી શકો છો.

બસ દ્વારા
ગુજરાત એસ.ટી બસ સેવા રાજ્ય સહિત નજીકના રાજ્યો સાથે જોડાયેલ છે. ગીતામંદિર સ્થિત મોટા બસ ડેપોમાં ઉતરી આપ ઓટો દ્વારા મંદિર જઇ શકો છો.